ગુજરાત

અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જાેશીએ મીડિયાના માધ્યમથી મૃતકોના પરિવારજનોને સાંત્વના સંદેશ પાઠવ્યો

અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જાેશીએ મીડિયા બ્રિફિંગ દરમિયાન મૃતકોના પરિવારજનોને સાંત્વના સંદેશ પાઠવ્યો હતો.
ડૉ. રાકેશ જાેશીએ મીડિયાના માધ્યમથી જણાવ્યું હતું કે સમગ્ર આરોગ્ય વિભાગ પરિવારજનોના દુ:ખમાં સામેલ છે અને ઝડપથી તેમને સ્વજનોના પાર્થિવ દેહ સોંપવા પ્રતિબદ્ધ છે. સિવિલ હોસ્પિટલ તંત્ર તરફથી જાહેર કરવામાં આવેલા ૧૦ જેટલા સંપર્ક નંબરો દ્વારા પરિવારજનો સાથે સતત સંપર્કમાં છે.
ડૉ. જાેશીએ ઉમેર્યું હતું કે, ડીએનએ સેમ્પલ મેચિંગની પ્રક્રિયા અત્યંત સંવેદનશીલ હોવાથી અને કાયદાકીય બાબતો પણ સંકળાયેલી હોવાથી આ પ્રક્રિયા ખૂબ જ ગંભીરતાપૂર્વક અને ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહી છે. જેમ જેમ પરિણામો આવતાં જશે તેમ તેમ મેચિંગનો દર વધશે અને પ્રક્રિયા ઝડપી બનશે તથા ઓછો સમય લેશે, એમ તેમણે જણાવ્યું હતું.
સાથે જ, તેમણે પરિવારજનો પાર્થિવ દેહ સ્વીકારવા આવે, ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા તેમને જરૂરી પ્રમાણપત્રો અને અન્ય દસ્તાવેજી પ્રક્રિયા સત્વરે પૂર્ણ કરવા માટે કરવામાં આવેલી વિવિધ જરૂરી વ્યવસ્થાઓ વિશે પણ માહિતી પૂરી પાડી હતી.

Related Posts