અમરેલી, તા.૧૩ જૂન, ૨૦૨૫ (શુક્રવાર) અમરેલી જિલ્લા વાહન વ્યવહાર કચેરી અને જિલ્લા શિક્ષણ કચેરી દ્વારા જિલ્લાની વિવિધ શાળા-કોલેજમાં માર્ગ સલામતી વિષયક તાલીમ કાર્યક્રમ તેમજ ટ્રાફિક ડ્રાઇવ યોજવામાં આવી હતી. માર્ગ સલામતી માટે નાગરિકો જાગૃત્ત થાય, માર્ગ અકસ્માતની સંખ્યા ઘટે તે ઉદ્દેશ્ય સાથે વિવિધ જનજાગૃત્તિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
સમાજમાં માર્ગ સલામતી અંગેની જાગૃત્તિ આવે તે માટે શાળા કક્ષાએ વિદ્યાર્થીઓને તે અંગેની સમજ અને કેળવણી આપવા માટે શાળા કક્ષાએ વિવિધ જાગૃત્તિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
જૂન માસના બીજા સપ્તાહથી વેકેશન પૂર્ણ થતાં જિલ્લાની તમામ સરકારી અને ખાનગી શાળામાં નવા સત્રથી બાળકોના અકસ્માત ઘટે તે માટે સગીર વયના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.
અમરેલી જિલ્લા વાહન વ્યવહાર કચેરી અને જિલ્લા શિક્ષણ કચેરી દ્વારા યોજવામાં આવી રહેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થી અને તેમના વાલીઓને વાહન ચલાવવા વિષયક અને માર્ગ પર રાખવાની સાવચેતી વિશે સમજૂતી આપવામાં આવી.
શાળાએ જતાં વિદ્યાર્થીઓ શાળાએ જવા દ્વિ ચક્રી વાહન લઈ ન જાય તે માટે તેમને સુશિક્ષિત કરવા પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા છે.
જિલ્લાની સરકારી અને ખાનગી શાળાએ જતાં વિદ્યાર્થીઓ શાળાએ આવવા અને જવા માટે સ્કુલ વાન કે ઓટોનો ઉપયોગ કરે અને તે વાહનમાં ક્ષમતાથી વધુ વિદ્યાર્થીઓ ન બેસે તે માટે જાગૃત્ત બનવા અનુરોધ કરવામાં આવ્યો છે.
શાળાએ જતું સ્કુલ બસ /વાન કે ઓટો રિક્ષા સહિતના વાહનમાં નિયમોનુસાર ક્ષમતા મુજબ વિદ્યાર્થી બેસે અને વાહન સલામત રીતે ચલાવવામાં આવે તે માટે વિદ્યાર્થીઓ અને તેના વાલીઓને સતર્ક રહેવા જણાવવામાં આવ્યું.
શૈક્ષણિક વર્ષના નવા સત્રના પ્રારંભે જિલ્લાભરની શાળાઓમાં વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ તેમજ સ્કુલ માટે ઉપયોગમાં લેવામાં આવતા વાહન ચાલકમાં જન જાગૃત્તિ લાવવા આજે શુક્રવારના રોજ યોજાયેલ શાળાઓની પ્રાર્થનામાં આ અંગે એક સેશન ગોઠવવામાં આવ્યું હતું.
માર્ગ સલામતી માટે શાળાના સ્ટાફ, વાલીઓ, વિદ્યાર્થીઓ, તેમજ ડ્રાઇવર સ્ટાફને માર્ગ સલામતી વિષયક બાબત, ટ્રાફિકના નિયમો, તેમજ સેફ ડ્રાઇવિંગ અંગેની જાણકારી અને સમજ આપવામાં આવી.
આ ઉપરાંત માર્ગ સલામતીના તજજ્ઞની બેઠકનું આયોજન કરી માર્ગ સલામતી વિષયક તાલીમ અને વિદ્યાર્થીઓ વિવિધ પ્રકારના ટ્રાફિક સાઈન બોર્ડ વિશે અવગત થાય તે માટે શાળા કક્ષાએ પોસ્ટર મેકિંગ કે પોસ્ટર પ્રદર્શન કે માર્ગ સલામતીને લગતા વ્યાખ્યાયન સહિતના કાર્યક્રમનું આયોજન થશે.
એક અહેવાલ મુજબ મૃત્યુના કિસ્સામાં, દ્વિ ચક્રી વાહનચાલકોનાં માર્ગ અકસ્માતમાં થતાં મૃત્યુના કિસ્સા બને છે તેનો અંદાજ ૪૫% જેટલો છે. તે કિસ્સામાં ૧૮ થી ૪૫ વર્ષના વય જૂથના યુવા વર્ગની સંખ્યા વધારે છે.
આથી, માર્ગ સલામતી વિષયક કાર્યક્રમમાં વધુમાં વધુ વિધાર્થીઓ અને વાલીઓને જોડાય વાહન ચલાવવા માટે અને માર્ગ પર રાખવાની સાવચેતી માટે જાગૃત્ત થવા અમરેલી જિલ્લા શિક્ષણાધિકારી શ્રી ગોહિલે એક અખબારી યાદીમાં અનુરોધ કર્યો છે.
Recent Comments