અમરેલી-વડિયા-કુંકાવાવ મતવિસ્તારના ધારાસભ્યશ્રી અને કાયદો અને ન્યાય તેમજ ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ તેમજ વૈધાનિક અને સંસદીય બાબતોના રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે અમરેલી તાલુકામાં અંદાજિત રૂપિયા ૧૦.૮૪ કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું.
આ વિકાસકાર્યોમાં વાંકીયા-ચાંદગઢ વચ્ચે ૧૯ કિલોમીટરના માર્ગનું રૂ. ૮.૫૦ કરોડના ખર્ચે રિ-સર્ફેસીંગ થશે. ગીરીયામાં અંદાજિત રૂ. ૧.૮૮ કરોડના ખર્ચે ૧૨૦૦ મીટરનો સુવિધાપથ તૈયાર થશે. જ્યારે ચક્કરગઢમાં અંદાજિત રૂ. ૪૬ લાખના ખર્ચે પશુ દવાખાનું તૈયાર થશે.
આ પ્રસંગે ગીરીયા મુકામે સંબોધન કરતા રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઉદારહાથે અમરેલીને વિકાસકાર્યોની ભેટ આપી છે. આ વિસ્તારમાં ‘સુવિધા પથ’ની સુવિધા ફક્ત ગીરીયા જ નહીં અમરેલી-વડિયા-કુંકાવાવના ૩૦ ગામોમાં ‘સુવિધા પથ’ મંજૂર થયા છે. આ સરકારમાં જે ખાતમુહૂર્ત થાય છે તેના લોકાર્પણ કરવાનો વિકાસનો અનોખો ચીલો ચાતરવામાં આવ્યો છે.
આ પ્રસંગે તમામ કામો સમયમર્યાદામાં અને ગુણવત્તાયુક્ત થાય તેવી તાકીદ રાજ્યમંત્રીશ્રીએ કોન્ટ્રાક્ટર અને સંલગ્નના વિભાગના અધિકારીશ્રીઓને કરી હતી. આ કાર્યક્રમોમાં જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેનશ્રી, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી કિશોરભાઈ કાનપરિયા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, પીઠવાજાળ, ચક્કરગઢ, ગીરીયાના સરપંચશ્રી, માર્ગ મકાન વિભાગ રાજ્ય અને પંચાયત, પશુપાલન વિભાગના અધિકારીશ્રીઓ અને કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા.


















Recent Comments