ઇમરજન્સી સારવાર કરનાર હોસ્પિટલનાં પાંચ કર્મચારીઓનાં નામે રું ૨૫,૦૦૦/- નું દાન આપ્યુ.
-બાબત એવી છે કે સાવરકુંડલા સ્થિત સૂર્યોદય કેળવણી અને સાંસ્કૃતિક ટ્રસ્ટનાં મેનેજિંગ ટ્રસ્ટી, ફ્રી લાન્સ પત્રકાર પ્રતાપભાઇ ખુમાણને અકસ્માતે રાત્રે ગંભીર ઇજા થતાં,તાત્કાલિક સારવાર મેળવવા,ખાનગી તથા સરકારી સિવિલ હોસ્પિટલમાં દોડી ગયા પરંતુ સારવાર મળી નહિ,ત્યારે વાગેલા ઘા માંથી ખૂબજ મોટા પ્રમાણમાં લોહી વહી જતાં, ધીમે ધીમે તબિયત ગંભીર બનતી જતી હતી. આવા સમયે ખ્યાલ આવ્યો કે, વિદ્યાગુરુ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર સાવરકુંડલામાં તમામ પ્રકારની ઈમરજન્સી સારવાર ૨૪×૭ સતત ચાલુ છે. પ્રતાપભાઇ રાત્રે લગભગ ૧૨ વાગ્યાનાં સુમારે ત્યાં પહોંચી ગયા અને ત્યાં ઓપરેશન થિયેટરમાં તમામ સ્ટાફ હાજર જ હતો.
ડો.ચિરાગ પિપલોતર, ડો.રજનીશ ધારૈયા, ડો. લગધીર કામળીયા, વોર્ડ બોય અર્જુન નેપાળી, અનુભા ભાંભળા સહિતનાં એ તાબડતોબ સારવાર આપી, રક્તસ્રાવ બંધ કરી, જોખમમાંથી પેશન્ટને મુક્ત કર્યા. ખાસ નોંધનીય બાબત એ છે કે, આ હોસ્પિટલ તો તદ્દન નિશુલ્ક છે. અહી કોઈપણ સારવાર, દવા, ઓપરેશન, ડાયાલિસિસ, કેન્સર માટે કીમોથેરાપી,એક્સરે, લેબ ટેસ્ટ, ફિજીયોથેરાપી જેવી તમામ મેડિકલ સુવિધા તદ્દન ફ્રી છે, અરે કેશ (રોકડ) બારી જ નથી, એટલે આ સ્ટાફને તો જે ફિક્સ પગાર મળતો હોય તે સિવાય કોઈ આશા કે અપેક્ષા ન હોય, છતાં એક પ્રોફેશનલ ડોકટરની જેમ સારવાર આપી.જેનાંથી પ્રતાપભાઇએ મનમાં સંકલ્પ કર્યો કે, આ પાંચેય કર્મચારીઓનું ઋણ ચૂકવવું. સામાન્ય રીતે વર્ષો જુની એક ઉક્તિછે કે,ખાચર, ખુમાણ અને વાળા આ ત્રણ મુખ્ય કાઠી ક્ષત્રિય ભાઈઓ કહેવાય છે,જેમા ખાચરની ભક્તિ, ખુમાણની દાતારી અને વાળાની વિરતા વખણાય છે ત્યારે હવે આ સંસ્થાના નિયમ મુજબ કોઈ કર્મચારીને રોકડ કે ગિફ્ટ આપી શકાય નહીં. એટલે પ્રતાપભાઇ એ પાંચેય કર્મચારી દીઠ રું ૫૦૦૦/- એટલે કે કુલ રું ૨૫૦૦૦/- ડોનેશનનો ચેક પૂ શ્રી મોરારિબાપુનાં હસ્તે સંસ્થાના પ્રમુખ હરેશ મહેતા અને દિવ્યકાંત સૂચકને સોંપ્યો. પૂ બાપુએ સમગ્ર ઘટના સાંભળી ખૂબજ રાજીપો વ્યક્ત કર્યો.આ સમાચાર પાંચેય કર્મચારીઓને મળતા જ તેમનો ઉત્સાહ બેવડાઈ ગયો.
Recent Comments