ઈઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ શુક્રવારે તેઓની કેબિનેટને જણાવ્યું હતું કે, ગાઝા પટ્ટીમાં બંદીવાન રખાયેલા અપહ્યતોની મુકિત માટે સાથે સમજૂતી સધાઈ ગઈ છે. આ પૂર્વે વડાપ્રધાનના કાર્યાલયે જણાવ્યું હતું કે, વડાપ્રધાને રજૂ કરેલી યુદ્ધ વિરામ દરખાસ્ત અંગે છેલ્લી મિનિટે ઉપસ્થિત થયેલા અવરોધો દૂર કરવામાં આવ્યા છે. દરમિયાન નેતન્યાહૂએ જણાવ્યું હતું કે તેઓ તેમની સિક્યોરિટી કાઉન્સિલની આજે સાંજે બેઠક બોલાવવાના છે. નેતન્યાહૂએ વધુમાં જણાવ્યું હતું કે, ઈઝરાયલ યુદ્ધનાં તમામ ધ્યેયો સિદ્ધ કરવા પ્રતિબદ્ધ છે. તેમાં બંદીવાન રખાયેલા તમામ બંધકો જીવંત કે મૃતને પરત મેળવવામાં આવશે. ૭ ઓકટો. ૨૦૨૩ના દિને ગાઝામાંથી આવેલા આતંકીઓએ ૧૨૦૦ જેટલા ઈઝરાયલી નાગરિકોની હત્યા કરી હતી અને ૨૫૦ જેટલા નાગરિકોને બંદીવાન બનાવ્યા હતા.
ત્યારથી ઈઝરાયલ હમાસ વચ્ચે ખૂનખાર યુદ્ધ ચાલી રહ્યું છે. તેમાં ૪૬૦૦૦ થી વધુ પેલેસ્ટાઈનીઓએ જાન ગુમાવ્યા છે. આ યુદ્ધ અંગે ઘણા ઘણા રાઈટસ ગુ્રપે ઈઝરાયલ ઉપર વોર ક્રાઇમ્સના આક્ષેપો કર્યા છે. જેનો ઈઝરાયલે સતત ઇનકાર કરે રાખ્યો છે. આ પરિસ્થિતિમાં પણ ઈઝરાયલી વડાપ્રધાનનું આ નિવેદન કોઈ સમજૂતી સધાઈ તેવી આશા જન્માવે છે. સાથે જે હજ્જારો પેલેસ્ટાઈનીયન્સ પોતાના ઘરબાર છોડી ચાલ્યા ગયા હતા, નાસી ગયા હતા, તેઓ હવે ફરીથી પોતાનાં રહ્યા સહ્યા ઘરમાં પાછા ફરી શકશે. ગાઝા પટ્ટી ફરી જીવંત બની રહેશે. આ સમજૂતી શુક્રવારે સધાઈ તે પૂર્વે થોડો અવરોધ ઊભો થયો હતો. હમાસે કેટલાક કારણો પણ તે અંગે દર્શાવ્યા હતા. પરંતુ હવે તે દૂર કરાયા છે.
તે માટે બાયડેન અને ટ્રમ્પે કતારમાં યુદ્ધ વિરામ મંત્રણા માટે મોકલેલી ટુકડીઓએ મહત્વની ભૂમિકા ભજવી હોવાનું માનવામાં આવે છે. આ પૂર્વે હમાસે આક્ષેપો કર્યા હતા તે સામે ઈઝરાયલે પણ આક્ષેપો કર્યા હતા. પરંતુ હવે સામ સામી આક્ષેપબાજી બંધ થઈ હોય તેવું લાગે છે. અને તત્કાળ પુરતો તો આ યુદ્ધ વિરામ અમલી બની શકશે અને અપહ્યતો મુક્ત થઈ શકશે. તેવું આશાનું કિરણ દેખાઈ રહ્યું છે. જાે કે આ પૂર્વે ઈજીપ્તની સરહદે આવેલો ગાઝા પટ્ટીનો ફીલાડેલ્ફીયા કોરિડોર પણ ઈઝરાયલે હાથમાં લઈ લીધો છે. કેટલાક વિશ્લેષકોનું માનવું છે કે ટ્રમ્પ ૨૦મી જાન્યુ. પૂર્વે સત્તા સંભાળે તેપહેલા યુદ્ધ વિરામ કરી બંધકોને સોંપી દેવાનું હમાસે વિચાર્યું હશે. કારણ કે તેને ભીતિ હશે કે ટ્રમ્પ સત્તાધીશ બન્યા પછી તો તેઓ તૂટી પડવા શપથબદ્ધ હતા. તેથી હમાસને નમતું જાેખ્યા સિવાય બીજાે ઉપાય જ ન હતો.
Recent Comments