ગુજરાત

સરદાર સરોવર નર્મદા યોજના પડતર પ્રશ્નોનો નિકાલ ન થતાં નર્મદા ડેમના યુવાન-મહિલા મોબાઇલ ટાવર પર ચઢતાં તંત્રમાં દોડધામ

સરદાર સરોવર નર્મદા યોજનાના અસરગ્રસ્તની માગણીઓ ન સંતોષાતાં તેઓ ટાવર પર ચઢ્યાં છે. સરદાર સરોવર નર્મદા નિગમના અસરગ્રસ્ત એક યુવાન અને એક મહિલા મોબાઇલના ટાવર પર ચઢી ગયાં છે, જેનો વીડિયો ખૂબ જ વાઈરલ થઇ રહ્યો છે. આ બે વ્યક્તિ મોબાઇલના ટાવર પર ચઢી જતાં તંત્ર દોડતું થઇ ગયું છે. સરદાર સરોવર નર્મદા ડેમ યોજના બનવાની શરૂઆત થઈ ત્યારે સરકારે અસરગ્રસ્ત પરિવારના એક બાળકને નોકરી મળશે એવું જણાવેલું પણ હજુ સુધી કોઈને નોકરી મળી નથી. નર્મદા ડેમ બન્યો ગુજરાતમાં, પણ એની અસર ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં થઈ છે. દરેક રાજ્ય માટે પોલિસી એકસરખી હોવી જાેઈએ, જે નથી. ગુજરાતમાં ૧૯૮૦, ૧૯૮૧, ૧૯૮૨ અને છેલ્લે ૨૦૦૩માં જમીન સંપાદન થયું હતું.

નિયમ મુજબ કટ ઓફ ડેટથી જ્યારે સંપાદન થાય ત્યારથી ૧૮ વર્ષની ઉંમર થાય તેને જમીન આપવી એવી પોલિસી છે. હવે મધ્યપ્રદેશમાં ૩૦-૪૦ વર્ષનાને જમીન મળે છે, જ્યારે ગુજરાતમાં ૫૦-૫૫ વર્ષના લોકોને જમીન મળી નથી. સરદાર સરોવર નર્મદા યોજનાના અસરગ્રસ્તની માગણીઓ ન સંતોષાતાં તેઓ ટાવર પર ચઢ્યાં છે. સરદાર સરોવર નર્મદા ડેમના બે અસરગ્રસ્તમાં એકનું નામ દિનેશ પસિયાભાઈ તડવી ગામ ચિચડિયા વસાહતના છે, જ્યારે બીજા નવાગામ લીમડી ચિચડિયા ગામના બબીતા બચુભાઈ તડવી છે. બંને ઉપર ચઢ્યાની જાણ થતાં તંત્ર, પોલીસમાં દોડધામ જાેવા મળી છે. હાલ ફાયર વિભાગ અને પોલીસ સમજાવટની કોશિશ કરી રહ્યાં છે.

૨૦૧૬-૧૭માં સરદાર સરોવર નર્મદા યોજનાના અસરગ્રસ્તો પોતાની સંપાદિત કરેલી જમીનની જગ્યાએ અન્ય સ્થળે જમીન ફાળવવી અને તેમના પરિવારમાંથી એક વ્યક્તિને નોકરી આપવાની માગને લઈને પ્રતીક ઉપવાસ પર બેઠા હતા. એ સમયે તત્કાલીન મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા અને ભરત પંડ્યા એ માગણી સંતોષાશે એવી ખાતરી આપી હતી. નોકરી અને કટ એફ ડેટના મુદ્દે તેઓ ૨૦૧૬-૧૭માં હડતાળ પર ઊતર્યાં હતાં. આ બાબતે એક લેખિત બોર્ડ મારવામાં આવ્યું છે, જેમાં જણાવ્યું છે કે આ પ્રશ્નોને લઈને આ અસરગ્રસ્તો ઉપવાસમાં બેઠા હતા. ત્યારે તત્કાલીન મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા ૧૫-૦૭-૦૨૦૧૬ના રોજ આવ્યા હતા અને ૧૭-૦૭-૨૦૧૭ના રોજ ભરત પંડ્યા આવ્યા હતા.

તેમણે જણાવ્યું હતું કે તમારી દરેક માગણી સંતોષાશેની ખાતરી આપી, પરંતુ આ વાતને આઠ વર્ષ વીત્યાં છતાં અમારી માગણી સંતોષાઈ નથી. એ માટે અમે આ ટાવર પર ચઢ્યાં છીએ. જાે માગણી નહિ સંતોષાઈ તો ટાવર પરથી ઊતરીશું નહીં. નર્મદા ડેમ બની ગયો અને ગેટ લાગી ગયા બાદ પાણી વધતાં આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકોનાં ઘર અને જમીનો સંપાદન કર્યા વગર પાણીમાં ડૂબી ગયાં છે. અત્યારે પણ તેમની જમીનો અને મકાનો પાસે પાણી છે. આવવા-જવાના રસ્તાઓ બંધ થઈ ગયા છે. અમારી માગ એવી છે કે વિસ્તારની જમીનો સંપાદિત કરો અને અમને પણ અસરગ્રસ્તના લાભ આપો. રાજ્યપાલના ૧૯૭૩ના પરિપત્ર મુજબ ૧ છોકરાને નોકરી આપો તથા અસરગ્રસ્તોની અન્ય માગણીઓ પૂર્ણ કરો એવી માગણી છે.

Related Posts