ગુજરાત

બામણાસા ગીરના મહિલા સરપંચના પુત્રએ વનતંત્રના ત્રાસથી ઝેર પીધું

છેલ્લા ઘણા સમયથી ગીર પંથકમાં લાગુ થનાર ઇકો સેન્સિટીવ ઝોન મુદે વન વિભાગ સામે ગામે-ગામ આંદોલન ચાલી રહ્યા છે. એવા માહોલમાં જ તાલાલા તાલુકાનાં બામણાસા ગીર ગામના મહિલા સરપંચના પુત્ર નિલેશભાઈ કાનજીભાઈ અઘેરા એ વનવિભાગના ત્રાસથી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા ભારે ચકચાર ફેલાઇ છે. આ અંગે પ્રાપ્ત થયેલ વિગત પ્રમાણે બામણાસા ગીર ગામના શ્રમજીવી ભરતભાઈ ભીખાભાઈ તથા જયેશભાઈ દશેક દિવસ પહેલા એકટીવા મોટરસાયકલ ઉપર બળતણ તથા કુહાડો લઈ શ્રી વિલા ફાર્મ પાસેથી પસાર થતા હતા

તે વખતે ફોરેસ્ટ વિભાગના મહિલા કર્મચારીએ અટકાવીને મજુર પાસેથી કુહાડો લઇ લીધો હતો.જે કુવાડો પરત લેવા માટે સરપંચના પુત્ર નિલેશભાઈ અઘેરાએ આર.એફ.ઓ. સાથે વાત કરી હતી. પણ તેમણે પણ કુહાડો આપવાનીનાં પાડી હતી. જેથી નિલેશભાઈને મનમાં લાગી આવ્યું હતું.આ અગાઉ નિલેશભાઈએ વનવિભાગની ગેરરીતિઓ સામે રજૂઆતો કરી હતી. જેથી વનવિભાગના અધિકારીઓએ ધમકી આપી હતી. આમ જંગલખાતાના અધિકારીઓનાં ત્રાસથી કંટાળી ગઈ કાલે સાંજે કેસર કેરીના બગીચામાં સ્યુસાઈડ નોટ લખી ઝેરી દવા પી લીધી હતી ત્યાંથી પસાર થતા ગામના ખેડૂતને જાણ થતાં તાલાલા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવેલ હતા. આ બનાવની જાણ થતાં પોલીસ અને મામલતદારે હોસ્પિટલે જઈ નિલેશભાઈનું નિવેદન લઈ સ્યુસાઈડ નોટ કબજે કરી હતી.આ બનાવ અંગે સત્ય બહાર લાવવા આંકોલવાડી ગીરનાં હેડ કોન્સ્ટેબલ દેવેન્દ્રભાઈ ગાઘે એ આગળની તપાસ શરૃ કરી છે.આ બનાવથી તાલાલા પંથકમાં ભારે ચકચાર ફેલાઇ છે.

Related Posts