તાઉ’ તે વાવાઝોડાથી અસરગ્રસ્ત કતપર ગામની મુલાકાત લેતા શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા
શિક્ષણ મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આજે ભાવનગર જિલ્લાની મુલાકાતના બીજા દિવસે સવારે તાઉ’ તે વાવાઝોડાથી અસરગ્રસ્ત ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કતપર ગામના લાઈટહાઉસની જાત મુલાકાત લઇ થયેલ થયેલ નુકસાન અંગેની ઝીણવટભરી માહિતી મેળવી હતી.
મંત્રીશ્રીએ લાઈટ હાઉસ વિસ્તારમાં રહેતાં વાવાઝોડાથી અસરગ્રસ્ત લોકોને અનાજની કિટનું વિતરણ કરવામાં કર્યું હતું. અનાજ, તેલ, લોટ સહિતની ઘરાવખરીની જીવનજરૂરિયાતની વસ્તુઓની ૩૫૦ કીટ આ અવસરે લોકોને વિતરીત કરવામાં આવી હતી.
આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, તાઉ’ તે વાવાઝોડાના કારણે થયેલ મકાનોની નુકસાનીનો ખૂબ ઝડપથી સર્વે કરીને કાચા- પાકા ઝૂંપડા ના આધારે આ માટેની રાહત- સહાયની ચૂકવણી પણ કરી દેવામાં આવી છે. કોઇ દસ્તાવેજી પુરાવાના અભાવે બાકી હોય તો તેઓને પણ ઝડપથી સહાય મળી જાય તે માટે તંત્ર રાત-દિવસ કાર્ય કરી રહ્યું છે.
આ પ્રસંગે મહુવાના ધારાસભ્યશ્રી આર.સી.મકવાણા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભરતસિંહ ગોહિલ, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી મુકેશભાઈ લંગાળીયા, લોક સાહિત્યકારશ્રી માયાભાઈ આહીર, મહુવા એ.પી.એમ.સી.ના ચેરમેનશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી- મહુવા સહિતના પદાધિકારીશ્રીઓ-અધિકારીશ્રીઓ, સંતો-મહંતો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.
Recent Comments