ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ, અમરેલી દ્વારા લાઠી-બાબરા તાલુકાના કૃષિ સખી-CRP માટે તા. ૧૧.૦૨.૨૦૨૬ના રોજ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, અમરેલી તથા કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ, અમરેલી ખાતે એક દિવસીય વિશેષ તાલીમ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
આ તાલીમ કાર્યક્રમમાં પ્રોજેક્ટ ડિરેક્ટરશ્રી મહેશ ઝીડ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પ્રાકૃતિક ખેતીનું મહત્વ, તેના લાભો તેમજ ખેડૂતની આવક વધારવામાં તેની ભૂમિકા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.
કાર્યક્રમમાં લાઠી તાલુકાના એગ્રી આસિસ્ટન્ટશ્રી પ્રકાશભાઈ ગોહિલ તથા બાબરા તાલુકાના ટી.પી.એમ શ્રી, રાજેશભાઈ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે તાલુકા સ્તરે ચાલી રહેલી પ્રાકૃતિક ખેતીની પ્રવૃત્તિઓ અંગે માહિતી આપી હતી.
તાલીમ દરમિયાન કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, અમરેલીના વૈજ્ઞાનિકો દ્વારા પ્રાકૃતિક ખેતીના પાંચ આધારસ્તંભો, વિવિધ પાકોની નવી અને સુધારેલી જાતો, ખેતી પદ્ધતિ, પોષણ વ્યવસ્થાપન તથા ઉત્પાદન ખર્ચ ઘટાડવાના ઉપાયો અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
આ ઉપરાંત કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ ખાતે ખેડૂતોને વિવિધ પાકોમાં ઉપયોગમાં લેવાતી પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓ અંગે પ્રાયોગિક રીતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં જીવામૃત, ઘનજીવામૃત, બીજામૃત, દશપર્ણી અર્ક, નીમાસ્ત્ર જેવી ઇનપુટ્સની તૈયારી અને ઉપયોગ અંગે સીધી માહિતી આપવામાં આવી હતી.
પ્રાકૃતિક ખેતી દ્વારા રોગ તથા જીવાત નિયંત્રણ, જમીનની જીવંતતા વધારવી, ખર્ચ ઘટાડવો તેમજ પર્યાવરણ સંરક્ષણ જેવા વિષયો પર પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રકારની તાલીમોથી પ્રાકૃતિક ખેતીને વધુ વેગ મળશે અને ખેડૂતોને ટકાઉ, ખર્ચ ઘટાડતી તથા પર્યાવરણ મિત્ર ખેતી તરફ આગળ વધવાની પ્રેરણા મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.


















Recent Comments