અમરેલી

ચરખા ગામે ભાવનગર-રાજકોટ હાઇવે ઉપર બસના ડ્રાયવરે માર માર્યો

કોટડાપીઠાથી બાબરા તરફ પોતાના મોટરસાયકલ પર જઈ રહેલા એક વ્યક્તિ પર ચરખા ગામ નજીક હુમલો થયાની ઘટના સામે આવી હતી. બનાવ અંગે કોટડાપીઠા ગામે રહેતા બ્રિજેશભાઇ માલજીભાઇ ખુમાણ (ઉ.વ.૪૯)એ હાર્દીકભાઇ છૈયા રહે.ચરખા તા.બાબરા તથા એક અજાણ્યા પુરૂષ ઇસમ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેઓ તેમના મોટરસાયકલ પર સવાર થઈને કોટડાપીઠાથી બાબરા તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન, ચરખા ગામ પાસે આવેલી રઘુવીર હોટલની સામે રોડ પર રામકૃપા ટ્રાવેલ્સ નામની એક લક્ઝરી બસ ઊભી હતી. તેઓ બસની આગળથી પસાર થવા જઈ રહ્યા હતા ત્યારે બસના ડ્રાયવરે અચાનક બસને રોડ પર ચઢાવી હતી. આના કારણે તેમણે તાત્કાલિક પોતાનું મોટરસાયકલ નિયંત્રિત કરીને રોડના ડિવાઈડર પાસે લઈ જવું પડ્‌યું હતું, જેથી મોટો અકસ્માત ટળ્યો હતો. આ બાબતે તેમણે આરોપીને બસ વ્યવસ્થિત ચલાવવાનું કહેતા સારું નહોતું લાગ્યું. ત્યારબાદ બંને આરોપીએ ભેગા મળીને જાહેરમાં બિભત્સ શબ્દોમાં ગાળો આપી હતી. એટલું જ નહીં, બંને આરોપીઓએ તેમને ઢીકાપાટુ વડે માર માર્યો હતો. અમરેલી એસસી એસટી સેલના નાયબ પોલીસ અધિક્ષક એન.બી. ગોરડીયા વધુ તપાસ કરી રહ્યા છે.

Related Posts