અમરેલી

જનનાયક ભગવાન બિરસા મુંડાજીની ૧૫૦મી જન્મ જયંતીની ઉજવણી

સમગ્ર ભારતમાં આગામી તા. ૧૫ નવેમ્બરના રોજ મુંડા જનજાતિના મહાન જનનાયક ભગવાન બિરસા મુંડાજીની ૧૫૦મી જન્મ જયંતીની ભવ્ય ઉજવણી હાથ ધરવાનું આયોજન કરવામાં આવ્યુ છે. આ અંતર્ગત આજરોજ જિલ્લા સેવા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર શ્રી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી પરિમલ પંડ્યાની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી. બેઠકના પ્રારંભે નિવાસી અધિક કલેક્ટર શ્રી દિલિપસિંહ ગોહિલે સંબંધિત અધિકારીશ્રીઓ સાથે જિલ્લા કક્ષા અને તાલુકા કક્ષાએ કાર્યક્રમના સુચારું આયોજન સંદર્ભે વિસ્તૃત ચર્ચા કરી હતી.

જિલ્લાના દરેક તાલુકામાં કાર્યક્રમોનું આયોજન સુચારું રીતે થાય તે માટે જિલ્લા કલેક્ટરશ્રી વિકલ્પ ભારદ્વાજે સૂચનાઓ આપી હતી. ઉલ્લેખનીય છે કે, અમરેલી ખાતે જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાશે જેમાં સરકારની વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને લાભનું વિતરણ કરવામાં આવશે. જિલ્લાની પ્રાથમિક શાળાઓ અને કોલેજ કક્ષાએ વકૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા સહિતની સ્પર્ધાઓ, વિવિધ દેશી રમત ગમત સ્પર્ધાઓનું આયોજન હાથ ધરવામાં આવશે. ઉપરાંત આરોગ્ય તપાસણી કેમ્પ પણ યોજાશે. સાથે સેવાસેતુ કાર્યક્રમ પણ યોજાશે. અમરેલી ખાતે યોગ શિબિરનું પણ આયોજન હાથ ધરવાની સૂચનાઓ જિલ્લા કલેક્ટરશ્રીએ સંબંધિત અધિકારીશ્રીઓને આપી હતી.

મહાન જનનાયક ભગવાન બિરસા મુંડાજીની ૧૫૦મી જન્મ જયંતીની ભવ્ય ઉજવણી સંદર્ભે આયોજિત બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર શ્રી દિલિપસિંહ ગોહિલ, અમરેલી શહેર પ્રાંત અધિકારી શ્રી મહેશ નાકીયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી ગોહિલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી જોષી,  જિલ્લા રમતગમત અધિકારી શ્રી પૂનમ ફુમકિયા સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts