મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ત્વરિત અને પારદર્શી નિર્ણાયક્તાનો આગવો અભિગમ

રાજ્યના નગરો-મહાનગરોમાં ઈઝ ઓફ લિવિંગ વધારવા એક જ દિવસમાં એકસાથે ૫૩૭ કરોડ રૂપિયા વિવિધ વિકાસ કામો માટે મંજૂર કર્યા
,
- અમદાવાદ મહાનગરપાલિકાને મળશે નવી ૨૬૭ ઈલેક્ટ્રિક બસ
- અમદાવાદ સહિત ચાર મહાનગરપાલિકાઓ માટે રૂ.૩૦૯.૭૮ કરોડ
- નવરચિત પોરબંદર મહાનગરપાલિકાને સિટી બ્યુટીફિકેશન અને સફાઈ કામગીરી માટે રૂ.૧૩.૩૫ કરોડ સહિત ૨૫ કરોડ રૂપિયા મંજૂર
- દ્વારકા નગરપાલિકાને મુખ્યમંત્રી શહેરી સડક યોજનાના કામો માટે રૂ.૧૩૧.૭૬ કરોડ ફાળવાશે
- બેટ દ્વારકા, નાગેશ્વર અને શિવરાજપુર પ્રવાસનધામની મુલાકાતે આવનારા પ્રવાસીઓ તથા દ્વારકાના નગરજનોને ટ્રાફિક જામની સમસ્યાથી મુક્તિ મળશે
- વિસનગર-પાલનપુર-ટંકારા-કેશોદ-સિદ્ધપુર અને માંડવી નગરપાલિકાઓને કુલ રૂ.૭૦.૪૮ કરોડ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરો-મહાનગરોમાં વસવાટ કરતા નાગરિકોના ઈઝ ઓફ લિવિંગ વધારવાના હેતુથી શહેરી જનસુખાકારીના કામો માટે નાણાં ફાળવણીનો ઉદાત્ત અભિગમ અપનાવ્યો છે.મુખ્યમંત્રીશ્રીએ તેમની સમક્ષ મહાનગરપાલિકાઓ, નવરચિત મહાનગરપાલિકા અને નગરપાલિકાઓના જનસુખાકારી વિકાસ કામો માટે શહેરી વિકાસ વિભાગ દ્વારા રજૂ થયેલી દરખાસ્તોના અનુસંધાને એક જ દિવસમાં એક સાથે કુલ ૫૩૭.૨૧ કરોડ રૂપિયા મંજૂર કરીને પારદર્શી અને ઝડપી ર્નિણય શક્તિનું વધુ એક દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે.
આ સંદર્ભમાં તેમણે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના વિવિધ ઘટકો અંતર્ગત ગાંધીનગર, અમદાવાદ, રાજકોટ અને ભાવનગર એમ ચાર મહાનગરપાલિકાઓને કુલ રૂ.૩૦૯.૭૨ કરોડ જનસુખાકારીના કામો માટે ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.તદનુસાર, ગાંધીનગર મહાનગરપાલિકાને ખાનગી સોસાયટી જનભાગીદારીના ૧૦ કામો માટે રૂ.૩.૯૮ કરોડ, ભાવનગર મહાનગરપાલિકાને ડ્રેનેજ નેટવર્ક, વોટર સપ્લાય, રોડ અને સ્ટ્રીટ લાઈટના કામો માટે આંતરમાળખાકીય સુવિધા વૃદ્ધિ અન્વયે રૂ.૩૫ કરોડ ફાળવવામાં આવશે.
આ ઉપરાંત રાજકોટ મહાનગરમાં રાજકોટ-જેતપુર માર્ગ ફોર લેનથી સિક્સ લેનમાં દ્ગૐછૈં દ્વારા રૂપાંતરિત કરવાની ચાલી રહેલી કામગીરીના સંદર્ભમાં પાણી પુરવઠા આધારિત પાઇપલાઇન શિફ્ટ કરવાના કામો માટે રૂ.૨૧૨.૫૦ કરોડ ફાળવવામાં આવ્યા છે.મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મહાનગરપાલિકાને મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન યોજના અંતર્ગત ૨૬૦ ઈલેક્ટ્રિક બસ અને ૭ ઇલેક્ટ્રિક ડબલ ડેકર બસ માટે અનુદાન તરીકે ૫૮.૪૭ કરોડ રૂપિયાની ફાળવણી માટે મંજૂરી આપી છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે નવરચિત પોરબંદર મહાનગરપાલિકાને સિટી બ્યુટીફિકેશન તથા સફાઈ કામગીરી માટે રૂ.૧૩.૩૫ કરોડ અને વહીવટી ક્ષમતા વૃદ્ધિના કામો માટે રૂ.૧૧.૬૯ કરોડ મળીને કુલ ૨૫ કરોડ રૂપિયા ફાળવવા અનુમતિ આપી છે.આ ઉપરાંત રાજ્યની અન્ય સાત નગરપાલિકાઓમાં વિસનગરને ખાનગી સોસાયટી જનભાગીદારી અંતર્ગત સી.સી. રોડ તથા પેવર બ્લોક લગાવવાના ૧૦ કામો માટે રૂ.૧.૫૨ કરોડ, પાલનપુરમાં ઘરોની ગટર લાઈનને મુખ્ય ગટર લાઈન સાથે જાેડવાના ૧૬૬ કામો માટે રૂ.૧૧.૬૧ લાખ તથા સ્ટ્રોર્મ વોટર ડ્રેનેજ કામ માટે રૂ.૫૫.૮૬ કરોડ, સિદ્ધપુરમાં વોટર વર્કસ અને ડ્રેનેજ હાઉસ માટે નવી પમ્પિંગ મશીનરી માટે રૂ.૩.૫૬ કરોડ તેમજ આઉટ ગ્રોથ એરિયા વિકાસ કામો અંતર્ગત સી.સી. રોડ બનાવવા માટે ટંકારાને રૂ.૧.૯૧ કરોડ તથા કેશોદને રૂ.૫.૯૯ કરોડ ફાળવવાની મુખ્યમંત્રીશ્રીએ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
મુખ્યમંત્રી શહેરી સડક યોજના અન્વયે દ્વારકા નગરપાલિકાને રૂ.૧૩૧.૭૬ કરોડ ફાળવવામાં આવશે. આ રકમમાંથી દ્વારકા શહેરથી આશરે બે કિલોમીટર પૂર્વે નેશનલ હાઈવે પરથી રૂપેણ બંદર એક્ઝિટ આપી નવા ફોર લેન રોડને કનેક્ટ કરાશે. જેમાં વરસાદી પાણીનો નિકાલ, ફૂટપાથ, સાયકલ ટ્રેક વગેરે સુવિધાના કામો હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત દ્વારકા નગરના રુક્ષમણી માતા મંદિર પાસેથી માઈનોર બ્રીજ અને અન્ય સુવિધાઓથી બાયપાસ રિંગરોડ બનાવવાનો પણ મુખ્યમંત્રી શહેરી સડક યોજનાના કામોમાં સમાવેશ કરાશે.
આના પરીણામે દ્વારકાધીશના દર્શન માટે આવતા યાત્રિકો તેમજ શિવરાજપુર પ્રવાસનધામની મુલાકાતે આવનારા પ્રવાસન પ્રેમીઓ અને નાગેશ્વર, બેટ દ્વારકા તથા ઓખા તરફ આવતા-જતા નાગરિકોને વાહનવ્યવહાર માટે વધુ સુવિધા મળશે. આ ઉપરાંત દ્વારકાધીશને ધજા ચડાવવા આવતા યાત્રિકો માટે પણ દ્વારકા નગરમાં થતી ટ્રાફિક જામની સમસ્યાનું નિવારણ થશે.
મુખ્યમંત્રીશ્રીએ કચ્છ જિલ્લાની માંડવી નગરપાલિકામાં ચોમાસાને કારણે નુકસાન પામેલા માર્ગોના રિસરફેસિંગ માટે વધારાની ગ્રાન્ટ તરીકે રૂ.૧.૭૦ કરોડ ફાળવ્યા છે.
Recent Comments