ગુજરાત

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કડી તાલુકાના ઝુલાસણ ખાતે નવનિર્મિત અનુપમ પ્રાથમિક શાળાનું લોકાર્પણ સંપન્ન

શાળા માટે દાન આપનાર દાતાશ્રીઓને મુખ્યમંત્રીશ્રીના હસ્તે સન્માનિત કરાયામહેસાણા જિલ્લાના કડી તાલુકાના ઝુલાસણ ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે મહેસાણા જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત નવનિર્મિત પટેલ કુસુમબેન ભરતભાઈ ભક્તિદાસ ડૉ. પરિવાર અનુપમ પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે ગામના વિકાસ માટે કોઈપણ જરૂરિયાત હોય તો તેનું સુચારું આયોજન કરીને તમામ કામગીરી પૂર્ણ કરવા માં રાજ્ય સરકાર સહયોગ માટે તત્પર છે.વધુમાં તેમણે જણાવ્યું કે તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વિકાસની કેડી કંડારી છે.

તેઓએ ગુજરાતના ગામેગામ વીજળી અને પાણી મળી રહે તેવી વ્યવસ્થા ઉભી કરી છે. ગુજરાતના દરેક બાળકને શિક્ષણ મળી રહે તેવી પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે શાળા પ્રવેશોત્સવ જેવા આયોજનો થકી અગાઉના સમયમાં શાળા ડ્રોપઆઉટ રેશિયો ૩૫% હતો, જે આજે ઘટીને ૧.૯૮% સુધી પહોંચ્યો છે. આ તકે મહેસાણા જિલ્લાનો વિશેષ ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે મહેસાણા જિલ્લામાં દીકરીઓનો શાળામાં એનરોલમેન્ટ રેશિયો ૯૯.૮૮% છે. જે આપણા સૌ માટે ગૌરવની વાત છે. શિક્ષણમાં સરકાર તો પૂરતું ધ્યાન આપી જ રહી છે પણ સરકાર સાથે જ્યારે જનભાગીદારી જાેડાય ત્યારે વિકાસ હંમેશા બેવડાતો હોય છે, જેનું ઝુલાસણ અનુપમ પ્રાથમિક શાળા ઉત્તમ ઉદાહરણ છે.

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, વરસાદી પાણીના સંગ્રહ માટે વડાપ્રધાનશ્રીએ દેશમાં ‘કેચ ધ રેઇન’ ઝુંબેશ શરૂ કરાવી છે. જે અંતર્ગત વરસાદનું પાણી જમીનમાં ઉતરે તેવી વ્યવસ્થા આ શાળામાં પણ કરવી જાેઈએ અને શાળાની સાથે સાથે ગામમાં પણ વરસાદી પાણી જમીનમાં ઉતરે તેવી વ્યવસ્થા કરવા મુખ્યમંત્રીશ્રીએ સૂચવ્યું હતું.
ગ્લોબલ વોર્મિંગ સામે જેટલા વધુ વૃક્ષો વાવીશું તેટલો આપણને જ વધુ લાભ થશે તેમ જણાવી દરેકે પોતાની માતાના નામે એક વૃક્ષ વાવીને, તેનો ઉછેર કરીને વડાપ્રધાનશ્રીના ‘એક પેડ માઁ કે નામ’ અભિયાનમાં સહભાગી થવા સૌને મુખ્યમંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો.

સ્વચ્છતા ઉપર ભાર મુકતા મુખ્યમંત્રીશ્રી એ જણાવ્યું હતું કે દરેક લોકોએ સ્વચ્છતાને સ્વભાવમાં વણી લેવી જાેઈએ. જાે આ સ્વચ્છતા સ્વભાવમાં આવશે તો વિકાસ દીપી ઉઠશે.આ તકે મુખ્યમંત્રીશ્રીએ નવનિર્મિત શાળામાં દાન આપનાર દાતાશ્રીઓને અભિનંદન પાઠવી સન્માનિત કર્યા હતા. કાર્યક્રમ બાદ મુખ્યમંત્રીશ્રીએ શાળાના વર્ગખંડોની મુલાકાત લીધી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આ અનુપમ પ્રાથમિક શાળામાં ૧૮ ક્લાસરૂમ, ૨ કોમ્પ્યુટર રૂમ, ૧ સ્માર્ટ ક્લાસ, મેદાન સહિતની સુવિધાઓ છે.

મુખ્યમંત્રીશ્રી એ આ અનુપમ શાળા નવીનીકરણ માં આર્થિક સહાય આપનારા દાતાઓ નું સન્માન પણ કર્યું હતું.
આ પ્રસંગે સાયલા ગુરુગાદી લાલજી મહારાજની જગ્યાના મહંતશ્રી દુર્ગાદાસજી, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી શ્રીમતી તૃષાબેન પટેલ, મહેસાણા ધારાસભ્યશ્રી મુકેશભાઈ પટેલ, કલોલ ધારાસભ્યશ્રી લક્ષ્મણજી ઠાકોર, અગ્રણીશ્રી ગીરીશભાઈ રાજગોર, તાલુકા પંચાયત પ્રમુખશ્રી કવિતાબેન પટેલ, જિલ્લા કલેકટરશ્રી એસ. કે. પ્રજાપતિ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ. હસરત જૈસમીન તેમજ દાતાશ્રીઓ સહિત સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts