ગુજરાત

‘સ્વચ્છ હવા જીવન’ માટે ખૂબ જરૂરી; તેના માટે સંયુક્ત પ્રયાસો કરીએ- પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા

‘સ્વચ્છ હવા જીવન’ માટે અતિ જરૂરી; તેના માટે આપણે સૌ સંયુક્ત પ્રયાસો કરવા પડશે. દેશમાં પર્યાવરણની જાળવણી માટે આપણા પ્રધાનમંત્રીશ્રીએ આપણને અનેક નવા નવા અભિગમો થકી નવીન દિશા આપી છે. ગુજરાતમાં પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સતત માર્ગદર્શનમાં સ્વચ્છતા અભિયાન, સર્ક્યુલર ઈકોનોમી,નેશનલ ક્લીન એર પ્રોગ્રામ, ‘એક પેડ મા કે નામ’ ‘વન મહોત્સવ’ જેવા વિવિધ પર્યાવરણ લક્ષી કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે તેમ,વન અને પર્યાવરણ, કલાઈમેટ ચેન્જ મંત્રી શ્રી મુળુભાઇ બેરાએ જણાવ્યું હતું.

વન અને પર્યાવરણ, કલાઈમેટ ચેન્જ મંત્રી શ્રી મુળુભાઇ બેરા અને રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ- GPCB દ્વારા ગત તા. ૭ સપ્ટેમ્બરના ઉપલક્ષમાં ‘રેસિંગ ફોર એર,એવરી બ્રિથ મેટર્સ’ની થીમ સાથે ગાંધીનગર ખાતે આજે ‘આંતરરાષ્ટ્રીય સ્વચ્છ વાયુ દિવસ -બ્લૂ સ્કાય ડે’ નિમિત્તે કાર્યક્રમ યોજાયો હતો. 

આ કાર્યક્રમમાં મંત્રીશ્રી સહિત મહાનુભાવોના હસ્તે ગાંધીનગરથી વધુ બે નવીન વાયુ પ્રદૂષણ માપક ‘પર્યાવરણ મોનિટરીંગ મોબાઈલ વાન’ને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવાયું હતું.

મંત્રી શ્રી મુળુભાઈએ કહ્યું હતું કે, આપણા રાજ્યમાં દર વર્ષે ભાદરવી પૂનમે માં અંબાની આરાધના કરવા લાખો શ્રદ્ધાળુઓ અંબાજીની પદયાત્રા કરીને માં અંબાના દર્શને જાય છે. આ પદયાત્રા દરમિયાન ઉદ્દભવતા ઘન કચરાને એકઠો કરી તેનું યોગ્ય વ્યવસ્થાપન માટે વર્ષોથી GPCB  તથા નેપ્રા જેવી બિન સરકારી સંસ્થાઓને સામેલ કરીને નવી જ સફળ પહેલ હાથ ધરી રહ્યું છે, ગૌરવ સમાન છે. આ પ્રમાણે દ્વારકા ખાતે પણ વહીવટી તંત્રને સાથે રાખીને વિવિધ સેવા કેન્દ્ર દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવે છે તેમ તેમણે ઉમેર્યું હતું.

મંત્રીશ્રીએ વધુમાં કહ્યું હતું કે, વિધાનસભા સત્ર પૂર્ણ થયા બાદ આજે આપણે ‘આંતરરાષ્ટ્રીય સ્વચ્છ હવા દિવસ’ની ઉજવણી કરી રહ્યા છીએ જે દર વર્ષે તા. ૭ સપ્ટેમ્બરના રોજ સમગ્ર વિશ્વમાં મનાવવામાં આવે છે. આ દિવસે સ્વચ્છ હવાના મહત્વ અંગે વ્યક્તિગત અને સામૂહિક રીતે જાગૃતિ લાવવા અને વાયુ પ્રદૂષણ ઘટાડવા માટે વિશ્વ સ્તરે સહીયારા પ્રયત્નો કરવા સૌને પ્રેરિત કરવામાં આવે છે.

મંત્રીશ્રીએ આ પ્રસંગે મોરબીના ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા દ્વારા ઔદ્યોગિક નગરી મોરબીને વૃક્ષ નગરી બનાવવા માટે કરેલા પ્રયાસોને બિરદાવતા કહ્યું હતું કે  વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસના ઉપલક્ષમાં તેમણે સંયુક્ત પ્રયત્નો દ્વારા માત્ર ૩૭ દિવસમાં ૪૦ હેક્ટર જમીનમાં વન કવચ તૈયાર કર્યું છે જેમાં ૮.૭૦ લાખ વૃક્ષો ઉઘાડીને નવો કીર્તિમાન સ્થાપ્યો છે. આ વન કવચનું આગામી સમયમાં મુખ્યમંત્રીશ્રી દ્વારા ઉદઘાટન પણ કરાશે.

તેમણે કહ્યું હતું કે,રાષ્ટ્રીય સ્વચ્છ હવા કાર્યક્રમ (NCAP) ના પ્રોગ્રામ હેઠળ ગુજરાતના ચાર શહેરો અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા શહેર આવરી લેવામાં આવ્યા છે. આ શહેરોમાં હવા પ્રદૂષણની માત્રામાં ૩૦ થી ૪૦ % ઘટાડો કરવાનો લક્ષ્યાંક છે. નવા ઉમેરાયેલા છ શહેરો ભાવનગર, ભરૂચ, જામનગર, ગાંધીનગર, જુનાગઢ તથા અંકલેશ્વર માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. ૧૦૦ કરોડનું બજેટ હવાની ગુણવત્તા સુધારવા મંજૂર કરવામાં આવ્યું છે.

નેશનલ ક્લીન એર પ્રોગ્રામ – NCAP હેઠળ રાજયમાં વાયુ પ્રદૂષણ ઘટાડવા માટે, સારી બાંધકામ પદ્ધતિઓ, ગ્રીન કવર વધારવું, જાહેર પરિવહન સ્વચ્છ ઈંધણ વપરાશ વધારવું, નવીનીકરણીય ઊર્જા વપરાશ, ઘન કચરાનું વ્યવસ્થાપન, જૂના અનફિટ વાહનોને સ્ક્રેપ કરવા તેમજ હોટસ્પોટ વિસ્તારમાં ધુમ્મસ દૂર કરવાની પ્રવૃતિઓની કામગીરી કરવામાં આવી રહી છે. વન કવચ વધારવા પર્યાવરણ પ્રેમીઓ દ્વારા કરોડો રૂપિયાનું દાન કરવામાં આવી રહ્યું છે.  રાજ્યમાં જીઆઇડીસી સહિતના  વિસ્તારોમાં હવા, પાણી અને જમીનમાં પ્રદૂષણ અટકાવવા માટે આપણે સૌએ સંકલિત પ્રયાસો હાથ ધરવા મંત્રીશ્રીએ સૌને અનુરોધ કર્યો હતો.

તેમણે કહ્યું હતું કે, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા હવાની ગુણવત્તાના સતત મોનીટરીંગ માટે વધુ ત્રણ નવા CAAQMS સુરત, મહેસાણા અને રાજકોટ ખાતે સ્થાપિત થવા જઈ રહ્યા છે. જેમાં વિવિધ વાયુ પ્રદૂષકોની માપણી કરવામાં આવશે. આનાથી હવા પ્રદૂષણ મોનિટરિંગ કામગીરી વધુ પારદર્શક અને અસરકારક બનશે, ડેટા કવરેજ વધશે, શહેરોમાં પ્રદૂષણના “હોટસ્પોટ” ઓળખી શકાશે અને શહેરી તંત્ર અને નાગરિકોને “રિયલ-ટાઈમ” માહિતી મળવાની સુવિધા ઉપલબ્ધ થશે.

મંત્રીશ્રીએ શ્રેષ્ઠ કામગીરી કરનાર જીપીસીબીના કર્મયોગીઓને આ પ્રસંગે સન્માનિત કરી અન્ય માટે પ્રેરણારૂપ ગણાવ્યા હતા.

વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી શ્રી મુકેશ પટેલે કહ્યુ હતું કે, શુદ્ધ હવાના માપદંડો જાળવવા સુરતની જેમ અન્ય શહેરોએ પણ તે દિશામાં પ્રયાસ કરવા જોઇએ. વડાપ્રધાન શ્રી મોદી સ્વચ્છ ભારત અભિયાનને પ્રાધાન્ય આપી રહ્યા છે ત્યારે હવામાં આવતા રજકણો આપણે દૂર કરવા પડશે. આ રજકણોના કારણે નાગરિકોમાં કેન્સરનું જોખમ વધ્યું છે જે ભાવિ પેઢી માટે ચિંતાજનક છે. ગુજરાત ઔદ્યોગિક રાજ્ય હોવાના પરિણામે વાયુ પ્રદૂષણ પ્રત્યે વધુ ધ્યાન કેન્દ્રીત કરવુ પડશે. તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશમાં સૌ પ્રથમ ગુજરાતમાં ક્લાઇમેટ ચેન્જ વિભાગ શરૂ કર્યો હતો.

મંત્રીશ્રી પટેલે કહ્યું હતું કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં શુદ્ધ હવા ધરાવતા શહેરોમાં સુરત સતત ત્રીજા વર્ષે પસંદગી પામ્યુ છે.  સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટના પાણીમાંથી સુરત મહાનગર પાલિકા વર્ષે કરોડોની આવક મેળવે છે. ગુજરાતે રાજ્યમાં વન કવચ વધારવા માટે એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત અંદાજે ૬ કરોડ વૃક્ષો વાવીને નવો રેકોર્ડ બનાવ્યો છે.  વડાપ્રધાનશ્રીના ૭૫મા જન્મદિવસ નિમિત્તે દરેકે ૭૫ વૃક્ષ વાવીને ગુજરાતને વધુ ગ્રીન બનાવવામાં સહયોગ આપવો જોઇએ. આ વર્ષે વન વિભાગે અંદાજે ૪૦૦ હેક્ટર વિસ્તારમાં વન કવચ તૈયાર કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે.  શહેરોમાં બની રહેલી નવી બાંધકામ સાઇટો ઉપર ફરજિયાત વૃક્ષો વવાય તેવી જોગવાઇ પણ કરવી જોઇએ તેમ જણાવી હવા પ્રદૂષણ અટકાવવા માટે કાર્યરત સૌને મંત્રીશ્રીએ આ પ્રસંગે અભિનંદન પાઠવ્યા હતા. 

વન અને પર્યાવરણ વિભાગના અગ્ર સચિવ શ્રી સંકુમારે સ્વચ્છ હવા દિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવતા કહ્યું હતું કે, કેન્દ્રના નેશનલ ક્લીન એર પ્રોગ્રામના અમલીકરણ માટે તમામ વિભાગોએ સંયુક્ત પ્રયાસ કરવા પડશે. આ પોગ્રામ અંતર્ગત શરૂઆતમાં ગુજરાતની ચાર મહાનગરપાલિકાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. શુદ્ધ હવા એ માનવ અધિકાર છે, પર્યાવરણના સંતુલન માટે શુદ્ધ હવા જરૂરી છે. ગુજરાતમાં એમિશન ટ્રેડીંગ સ્કીમનો પ્રથમ અમલ સુરતમાં અને ત્યારબાદ બીજા સ્થાને અમદાવાદ શહેરમાં કરવામાં આવ્યો છે. આ વર્ષે વન વિભાગ દ્વારા શહેરી અને ગ્રામીણ એમ અંદાજે ૪૬૪ હેક્ટર વિસ્તારમાં મિયાવાંકી વન તૈયાર કરવામાં આવ્યું છે જે વાયુ પ્રદૂષણ અટકાવવામાં મદદરૂપ થશે.

શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગના અગ્ર સચિવ શ્રી એમ.થેન્નારસને કહ્યું હતું કે ભારતના શુદ્ધ હવા ધરાવતા કુલ ૧૩૫ શહેરો પૈકી ગુજરાતના સુરત,અમદાવાદ અને વડોદરાનો સમાવેશ થયો છે જે આપણા માટે ગૌરવ સમાન છે. આગામી સમયમાં ગુજરાતના વધુ ૬ શહેરોનો આમાં સમાવેશ થાય તે માટે સંયુક્ત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ભારતમાં આગામી સમયમાં ૬૫ થી ૭૦ ટકા લોકો શહેરી વિસ્તારમાં વસવાટ કરતા હશે ત્યારે તેમના માટે વાયુ પ્રદૂષણ મુક્ત લીવેબલ સિટીનું નિર્માણ કરવું પડશે. ગુજરાત સરકાર વર્ષ ૨૦૨૫ને શહેરી વિકાસ વર્ષ ઉજવી રહી છે ત્યારે તમામ મોટા શહેરોને પ્રદૂષણ મુક્ત બનાવવા આપણે સૌએ સંયુક્ત પ્રયત્નો હાથ ધરવા પડશે.

GPCBના ચેરમેન શ્રી આર.બી.બારડે સૌને આવકારતા કહ્યું હતુ કે, ગુજરાતના અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટને વધુ શુદ્ધ હવા મળી રહે તે માટે વિવિધ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યા છે. બાંધકામ સાઇટ માટેની એસઓપી લોન્ચ કરવાથી વાયુ પ્રદૂષણ અટકાવવામાં મદદરૂપ થશે. આ એક દિવસીય કાર્યક્રમમાં શુદ્ધ હવા સંદર્ભે વિવિધ પાંચ ટેકનિકલ શેસન યોજાયા હતા.

સ્વચ્છ વાયુ સર્વેક્ષણ-૨૦૨૫માં રાષ્ટ્રીય કક્ષાએ શ્રેષ્ઠ શહેરોની યાદીમાં સુરતનો સમાવેશ થવા બદલ સુરત મહાનગરપાલિકાના કમિશનર શ્રી શાલિની અગ્રવાલનું  મંત્રીશ્રી સહિત મહાનુભાવોના હસ્તે સન્માન કરાયુ હતું.

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા હવાની ગુણવત્તાના સતત મોનીટરીંગ માટે સુરત, મહેસાણા અને રાજકોટ ખાતે ત્રણ નવા કન્ટિન્યુઅસ એબિઅન્ટ એર ક્વોલીટી મોનીટરીંગ સ્ટેશન(CAAQMS) નું મહાનુભાવોના હસ્તે વર્ચ્યુઅલ ઉદઘાટન કરવામાં આવ્યું હતું. 

  બાંધકામની જગ્યાઓએ ઉડતા રજકણોના નિયંત્રણ માટે સૂચારુ પદ્ધતિઓ વિકસાવવા GPCB દ્વારા તૈયાર કરાયેલા પુસ્તક ‘સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીઝર ફોર ડસ્ટ મેનેજમેન્ટ એટ કન્સ્ટ્રકશન સાઇટ્સ ઇન ગુજરાત’નું મંત્રીશ્રી સહિત મહાનુભાવોના હસ્તે લોન્ચ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં મોરબીના ધારાસભ્ય શ્રી કાંતિભાઇ અમૃતિયા, વન વિભાગના વડા શ્રી ડૉ. એ.પી.સિંઘ, સી.પી.સી.બી.ના ડૉ.અરવિંદકુમાર ઝા, GPCBના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉ.યોગેશકુમાર સહિત GPCBના સભ્યશ્રીઓ, અધિકારીઓ, ઉદ્યોગપતિઓ, વૈજ્ઞાનિકો, પર્યાવરણ પ્રેમીઓ સહભાગી થયા હતા.

Related Posts