રાજ્યમાં ૯ દિવસથી ચાલતી આરોગ્ય વિભાગનાકર્મચારીઓની માંગને વિધાનસભા કોંગ્રેસ પક્ષનું સમર્થન : અમિત ચાવડા

રાજ્યભરમાં સતત ૯ દિવસથી ચાલી રહેલ આરોગ્ય વિભાગના કર્મચારીઓની હડતાળને ટેકો આપતા અને સરકારને આ કર્મચારીઓની માંગણી પૂરી કરવા રજુઆત કરતા ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શ્રી અમિત ચાવડાએ જણાવ્યું કે ઠંડી હોય, ગરમી હોય, વરસાદ હોય, લોકોના આરોગ્ય માટે દિવસ રાત મહેનત કરતા ગુજરાતના આરોગ્ય વિભાગના જે કર્મચારીઓ છે, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર હોય, ફિમેલ હેલ્થ વર્કર હોય, મલ્ટી પર્પઝ સુપર વાઇઝર હોય, ફીમેલ હેલ્થ સુપર વાઇઝર હોય કે તાલુકા કે જિલ્લાના સુપર વાઇઝર હોય, આરોગ્ય વિભાગ અને પંચાયત વિભાગના જે પણ કર્મચારીઓ છે જેમણે કોરાનાના કપરા સમયમાં પણ પોતાના કે પરિવારના જીવની ચિંતા કર્યા વગર આ ગુજરાતના લોકોને કોરોનામાંથી બચાવવા માટે ખૂબ મહેનત અને સંઘર્ષ કર્યો છે.
લાંબા સમયથી આ કર્મચારીઓ પોતાની નાણાકીય માંગણીઓ, વહીવટી માંગણીઓને લઈને સરકારને સતત રજુઆત કરતા આવ્યા છે અને સરકારે પણ અનેક વાર વાટાઘાટો કરી, કર્મચારીઓને માત્ર આશ્વાસનો આપ્યા, એના માટે એક કમિટી પણ બનાવી અને એ કમિટીએ જે ભલામણો કરી એ ભલામણનો અમલ સરકાર કરવા માંગતી નથી.
શ્રી અમિત ચાવડાએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે આખા ગુજરાતમાંથી આરોગ્ય વિભાગના કર્મચારીઓ પોતાની નાણાકીય અને વહીવટી માંગણીઓને લઈ, છેલ્લા ૯ દિવસથી ગાંધીનગરમાં ધામા નાખીને આંદોલન કરી રહ્યા છે, છતાંય સરકારના પેટનું પાણી હલતું નથી. આ આરોગ્ય કર્મીઓની જે વ્યાજબી માંગણીઓ છે, એમને ટેકનિકલ ગ્રેડ પે મળવો જોઈએ, ખાતાકીય પરીક્ષાઓ થાય છે એમાં આરોગ્ય વિભાગના સિવાયના પ્રશ્નો પૂછાય છે એવી ખાતાકીય પરીક્ષાઓ નાબૂદ થવી જોઈએ.
રાજ્ય સરકારી નીતિને અંગ્રેજો સાથે સરખાવતા શ્રી અમિત ચાવડાએ જણાવ્યું કે આ આરોગ્ય કર્મીઓ નાણાકીય અને વહીવટી માંગણીઓને લઈ આંદોલનના ૯ માં દિવસ થયો હોવા છતાં સરકાર એની સાથે વાટાઘાટ કરવા પણ તૈયાર નથી, ઊલટું અંગ્રેજોની નીતિ મુજબ સરકાર વર્તન કરી રહી છે જેમ કે ભારતના બંધારણે દરેક વ્યક્તિને અભિવ્યક્તિની આઝાદી આપી છે, પણ આ સરકાર હવે નવા અંગ્રેજો રૂપે લોકોને વિરોધ કરવાનો નહી, અભિવ્યક્તિ રજૂ નહી કરવાની અને એ રીતે એમની પર કાયદા અને કાનૂન લગાવી, લોકોને નોકરીમાંથી સસ્પેન્ડ કરવાના અને ટર્મિનેટ કરવાના આદેશો કરી રહ્યા છે.
વિધાનસભા ગૃહમાં કરવામાં આવેલી રજૂઆત મુદ્દે શ્રી અમિત ચાવડાએ જણાવ્યું કે આજે વિધાનસભામાં આરોગ્ય વિભાગની ચર્ચામાં પક્ષના ધારાસભ્યો ડો. કિરીટ પટેલ અને શ્રી વિમલ ચુડાસમાએ આ આરોગ્ય વિભાગના કર્મચારીઓની વ્યાજબી માંગણીઓ છે, એને માટે સરકાર તેમને તાત્કાલિક વાટાઘાટો માટે બોલાવે અને તેમની માંગણીઓનો સ્વીકાર કરે અને હડતાળને સમાપ્ત કરે.
આરોગ્ય કર્મીઓની માંગને સમર્થન આપતા શ્રી અમિત ચાવડાએ જણાવ્યું કે અમે વિધાનસભા કોંગ્રેસ પક્ષ તરીકે આખા ગુજરાતના લોકોની આરોગ્યની ચિંતા કરવાવાળા, કામ કરવા વાળા જે હજારો આરોગ્ય વિભાગ અને પંચાયત વિભાગના કર્મચારીઓની માંગણીઓને સમર્થન કરીએ છીએ. અમે સરકારને પણ ફરી વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક આ લોકોને ચર્ચા કરવા માટે બોલાવો, એમની તમામ માંગણીઓ જે કમિટીએ ભલામણ કરી છે એ મુજબ એનો સુખદ ઉકેલ આવે અને ગુજરાત આખામાં એ ગ્રામ્ય વિસ્તાર હોય કે તાલુકા મથક હોય કે જિલ્લા મથક હોય બધી જ જગ્યાએ જે આરોગ્ય સેવાઓ ખોરવાઈ ગઈ છે અને લોકોએ અત્યારે હેરાન પરેશાન થઈ રહ્યા છે એમાંથી મુક્તિ અપાવો અને આંદોલનનો અંત લાવો અને જે લોકો સામે પગલા લીધા છે એ તમામ પગલાંના હુકમો અને નોટિસો પરત ખેંચો એવી માંગણી કરી છે.
Recent Comments