અમરેલી

સાવરકુંડલામાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિએ ‘અંત્યોદય’ના વિચારને સાર્થક કરવા ઉઠી માંગ

આજરોજ પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિત્તે સાવરકુંડલા શહેરના નાગરિકો દ્વારા તેમને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ તકે શહેરના રાજકીય અને સામાજિક અગ્રણીઓ તેમજ સામાન્ય જનતાએ પંડિતજીના બલિદાન અને તેમના ‘એકાત્મ માનવવાદ’ના સિદ્ધાંતોને યાદ કર્યા હતા. જોકે, આ શ્રદ્ધાંજલિની સાથે જ શહેરના પ્રબુદ્ધ નાગરિકોમાં એક મહત્વની માંગણીએ જોર પકડ્યું છે.

​શહેરની મધ્યમાં આવેલ ‘પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઉપવન’ (જનતા બાગ) ખાતે હાલમાં પ્રતિ વ્યક્તિ પાંચ રૂપિયા પ્રવેશ ફી વસૂલવામાં આવે છે. આજની આ કાળઝાળ મોંઘવારીમાં સામાન્ય શ્રમિક વર્ગ, ગરીબ અને વંચિત પરિવારો માટે પોતાના બાળકો સાથે આ બગીચામાં પ્રવેશ કરવો આર્થિક રીતે ઘણો કપરો સાબિત થઈ રહ્યો છે. જે પંડિતજીના નામે આ ઉપવન છે, તેમના જ આદર્શો મુજબ સમાજના છેવાડાના માણસને સુખ-સુવિધા મળવી જોઈએ, તેના બદલે અહીં આર્થિક અવરોધ જોવા મળી રહ્યો છે.

​અંત્યોદયની વિભાવના ક્યારે ચરિતાર્થ થશે?

​સ્થાનિક નાગરિકોનું માનવું છે કે:ઓછામાં ઓછું પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ જેવા ખાસ દિવસોએ તો પ્રવેશ ફી સંપૂર્ણ નાબૂદ કરવી જોઈએ.

​જ્યારે નાના બાળકો, જેમના માટે બગીચો એ મનોરંજનનું એકમાત્ર સાધન છે, તેમના માટે કાયમી ધોરણે પ્રવેશ ફી માફ કરવી જોઈએ.

​ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો દિવસભરના શારીરિક અને માનસિક થાક બાદ થોડી ક્ષણો શાંતિની માણી શકે તે માટે તંત્રએ ઉદારતા દાખવવી જોઈએ.

​”જો છેવાડાના માનવીને મનોરંજન માટે પણ સંઘર્ષ કરવો પડે, તો પંડિતજીના અંત્યોદયના સપનાનું શું??? તંત્રએ આ બાબતે ગંભીરતાથી વિચારીને ગરીબ જનતાને પ્રવેશ ફીમાંથી મુક્તિ આપવી જોઈએ.” – 

​સાવરકુંડલાના જાગૃત નાગરિકોની માંગ છે કે નગરપાલિકા કે સંબંધિત તંત્ર આ દિશામાં હકારાત્મક નિર્ણય લે. જો ગરીબો અને જરૂરિયાતમંદોને આ જનતા બાગમાં વિનામૂલ્યે પ્રવેશ મળે, તો જ સાચા અર્થમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીના આદર્શો ચરિતાર્થ થયા ગણાશે.

Related Posts