અમરેલી

ગુજરાતના રત્નકલાકારોને આર્થિક પેકેજ આપવાની માંગ કરતા:- અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરી

ગુજરાતમાં સૌથી મોટો ઉદ્યોગ હોય તો તે હીરા ઉદ્યોગ છે, ગુજરાતના અર્થતંત્રમાં ખેતી પછી સૌથી વધુ યોગદાન હોય તો તે હીરા ઉદ્યોગનું છે અને આ હીરા ઉદ્યોગમાં છેલ્લા ત્રણ વર્ષથી મંદી ચાલી રહી છે,એમાય છેલ્લા દોઢ વર્ષથી હીરા ઉદ્યોગમાં ભયંકર મંદી ચાલી રહી છે અને આ મંદીને લીધે સુરત, અમદાવાદ, જેવા મહાનગરોમાં વસવાટ કરતા સૌરાષ્ટ્રના લોકોને પોતાના ઘરનું ગુજરાન ચલાવવું ખૂબ જ મુશ્કેલ બની ગયું છે, હીરા ઉદ્યોગમાં મંદીના માહોલને લીધે રત્ન કલાકારોને પોતાના ઘરનું ગુજરાન ચલાવવું, દવાખાનાના ખર્ચ ઉઠાવવા, પોતાના બાળકોની શાળાઓની ફી ભરવી, લોન ઉપર લીધેલ મકાન કે વાહનોના હપ્તાઓ ભરવા, વગેરે બાબતોમાં રત્ન કલાકારો ખૂબ જ આર્થિક સંકળામણમાંથી પસાર થઈ રહ્યા છે,

આર્થિક સંકળામણમાંથી બહાર નીકળવાનો જ્યારે કોઈ રસ્તો રત્ન કલાકારોને દેખાતો ન હોય ત્યારે તે આત્મહત્યા કરવા પ્રેરિત થાય છે અને આમ ઘરના મોભી જે કમાતા હોય તે આર્થિક સંકળામણને લીધે આત્મહત્યા કરી લે તો પરિવારનો માળો વિખાઈ જાય છે, જો ખરેખર ગુજરાતની આ ભાજપ સરકાર હીરા ઉદ્યોગને બચાવવા માગતી હોય તો તાત્કાલિક ધોરણે હીરા ઉદ્યોગ માટે આર્થિક પેકેજ જાહેર કરવું જોઈએ, અને આ આર્થિક પેકેજમાં જે રત્ન કલાકારો સુરત, અમદાવાદ, જેવા મહાનગરોમાં પોતાના પરિવાર સાથે વસવાટ કરતા હોય તેવા રત્ન કલાકારોને દર મહિને ૩૦,૦૦૦ રૂપિયા લેખે બેરોજગારી ભથ્થું, તથા નગરપાલિકા વિસ્તાર કે ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરતા રત્ન કલાકારો માટે દર મહિને ૧૫,૦૦૦ રૂપિયા બેરોજગારી ભથ્થુ રાજ્ય સરકાર દ્વારા આપવું જોઈએ તેવી માંગ અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરીએ કરી છે.

Related Posts