જન આક્રોશ યાત્રા દિવસ 15 (લીમખેડાથી દાહોદ)
• કરોડોની ગ્રાન્ટ છતાં પણ ભાજપના રાજમાં 3.21 લાખ બાળકો કુપોષિત, સૌથી વધુ આદિવાસી વિસ્તારના બાળકો અસરગ્રસ્ત, બાળકોને પોષણ આપવાની યોજનાના પૈસા પણ ભાજપના નેતાઓ અને અધિકારીઓ ખાઈ ગયા : શ્રી અમિતભાઈ ચાવડા
• ભ્રષ્ટાચારી ભાજપના નેતાઓ અને અધિકારીઓ સામે આવકથી વધુ સંપતિની તપાસ કરવામાં આવે: શ્રી અમિતભાઈ ચાવડા
• જ્યાં સુધી એક એક ભ્રષ્ટાચારીને જેલભેગા ન કરીએ, દારૂ અને ડ્રગ્સના દૂષણનો અંત ન લાવીએ ત્યાં સુધી આ લડત ચાલુ રહેશે : શ્રી અમિતભાઈ ચાવડા
• આદિવાસી યુવાનોને સ્થાનિક રોજગારી માટે દરેક તાલુકામાં જીઆઇડીસી બનાવવા માંગ કરીએ છે: શ્રી અમિતભાઈ ચાવડા
• ભાજપના શાસકોએ દાહોદ શહેરમાં સ્માર્ટ સીટીના નામે કરોડોનો ભ્રષ્ટાચાર કર્યો, વિકાસના નામે વેપારીઓની દુકાનો તોડી વેપારીઓને ધંધા રોજગાર વગરના કર્યા: શ્રી અમિતભાઈ ચાવડા
• ભ્રષ્ટાચારના કેસમાં નાની માછલીઓ સામે કાર્યવાહી થાય પણ ગાંધીનગરની સત્તામાં બેઠેલા મગરમચ્છ સામે કોઈ કાર્યવાહી નથી થતી : ડૉ તુષારભાઈ ચૌધરી
જન આક્રોશ યાત્રાના પંદરમા દિવસની શરૂઆત લીમખેડાથી કરવામાં આવી. ત્યારબાદ યાત્રા પીપલોદ, દેવગઢ બારીયા, વેદ ચોકડી, ધાનપુર, વાસીયા ડુંગરી, કાળાખુંટ, ગાંગરડી, ગરબાડા, પાંચવાડા માર્ગે દાહોદ તરફ આગળ વધી. યાત્રા દરમિયાન રસ્તામાં સ્થાનિક નાગરિકોએ ઠેરઠેર યાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું.
આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડાએ જણાવ્યું કે બચુભાઈ ખાબડ વર્ષોથી ધારાસભ્ય રહ્યા છે અને સરકારમાં મંત્રી પણ રહ્યા છે. છતાં પણ વિસ્તારના સ્ટેટ હાઈવેના ખાડાઓ રિપેર થયા નથી, કોઈ નવો રોડ બનાવ્યો નથી કે અન્ય કોઈ વિકાસના કામો કર્યા નથી. પરંતુ જનહિતની યોજનાઓમાં ઉઘાડી લૂંટ થઈ છે. આખી દુનિયાને ખબર છે કે ભાજપ સરકારમાં તત્કાલીન મંત્રીએ કેટલું મોટું કોભાંડ કર્યું. આ મામલે હજુ તો માત્ર મંત્રીના પુત્રો જ જેલમાં ગયા છે, પરંતુ તેમની પોતાની 7/12 ની નકલમાં નામ છે એમાં પણ કરોડો રૂપિયા ખાઈ ગયા છે, હજુ એનો વારો પણ આવશે.
રાજ્યમાં સરકાર “કુપોષણમુક્ત ગુજરાત” ના સૂત્રો આપે છે પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે તાજેતરમાં જે આંકડા સામે આવ્યા છે એ મુજબ રાજ્યમાં 3.21 લાખ બાળકો કુપોષિત છે. ગુજરાતમાં કુપોષણ માત્ર કોઈ એક વિસ્તારની સમસ્યા નથી પરંતુ રાજ્યવ્યાપી ગંભીર સંકટ બની ગયું છે. જે આંકડાઓ આવ્યા છે એમાં પણ મોટા ભાગના બાળકો આદિવાસી અને ગરીબ વિસ્તારોમાં રહે છે. અને સૌથી વધુ પંચમહાલ અને દાહોદના અસરગ્રસ્ત છે કરોડો રૂપિયાનું બજેટ અને અનેક યોજનાઓ હોવા છતાં સ્થિતિમાં સુધારો ન થવો એ ભાજપ સરકારની નીતિગત નિષ્ફળતાનું સ્પષ્ટ ઉદાહરણ છે.
આ આંકડા એ સાબિત કરે છે કે ICDS, પોષણ અભિયાન અને માતા-બાળ કલ્યાણ જેવી યોજનાઓ માત્ર કાગળ પર ચાલી રહી છે. જમીન પર યોગ્ય અમલ, દેખરેખ અને જવાબદારીના અભાવના કારણે ગરીબ અને આદિવાસી બાળકોનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે. કુપોષણથી માત્ર બાળકોનું આરોગ્ય નહીં પરંતુ આવતી પેઢીનું સમગ્ર વિકાસ પણ અસરગ્રસ્ત થઈ રહ્યું છે
આ મામલે કોંગ્રેસની માંગ છે કે સરકાર કુપોષણના મુદ્દે માત્ર પ્રચાર નહીં પરંતુ તાત્કાલિક કાર્યવાહી કરે. સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓમાં ખાસ એક્શન પ્લાન બનાવવામાં આવે, જવાબદાર અધિકારીઓ અને ભ્રષ્ટાચાર સામે કડક પગલાં લેવાય અને દરેક બાળકને પૂરતું પોષણ અને સ્વસ્થ જીવનનો અધિકાર સુનિશ્ચિત કરવામાં આવે.
વધુમાં સમગ્ર યાત્રા દરમિયાન મહિલાઓની એક જ રજૂઆત છે કે ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સનું દૂષણ બંધ થવું જોઈએ. આના કારણે યુવા પેઢી બરબાદ થઈ રહી છે અને આ બાબતે પોલીસ પણ કોઈ કાર્યવાહી કરતી નથી, કારણ કે ભાજપના મળતિયાઓ બૂટલેગરો છે. દારૂની ગાડીઓ પણ ખુદ પોલીસ જ મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી એસ્કોર્ટ સાથે ગુજરાતમાં દારૂ ઘુસાડે છે.
CLP નેતા ડૉ. તુષારભાઈ ચૌધરીએ જણાવ્યું કે તાજેતરમાં ભ્રષ્ટાચારના કેસમાં સુરેન્દ્રનગરના કલેક્ટરને સસ્પેન્ડ કર્યા, પરંતુ જો અમારી સરકાર આવશે તો અમે તેમને ફરી નોકરીમાં લઈશું. જે પ્રમોશન આપવાનું થતું હશે તે પણ આપીશું, પરંતુ એમને પહેલા કહેવું પડશે કે એમણે કયા ભાજપના નેતાઓના દબાણથી આ કામ કર્યું અને કોના ઈશારે આ કામ કર્યું? કારણ કે 10 ટકા જ કલેક્ટર સુધી આવે છે અને 90 ટકા તો ગાંધીનગરમાં બેઠેલા ભાજપના લોકો ખાઈ જાય છે. એમને ખુલ્લા પાડવા એ આપણો મુખ્ય ઉદ્દેશ્ય છે.
આ પ્રસંગે CLP નેતા ડૉ. તુષારભાઈ ચૌધરી, સહપ્રભારી શ્રી રામકિશન ઓઝા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી હર્ષદભાઈ નિનામા, દાંતા ધારાસભ્ય શ્રી કાંતિભાઈ ખરાડી, લુણાવાડા ધારાસભ્ય શ્રી ગુલાબસિંહ ચૌહાણ, આદિવાસી વિભાગના વડા શ્રી રાજુભાઈ પારધી, પૂર્વ ધારાસભ્યો, પૂર્વ સાંસદ, વરિષ્ઠ આગેવાનો તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો જોડાયા..


















Recent Comments