જૂન ૨૦૨૫થી ભારતીય પાસપોર્ટ ધારકો વિઝા ફ્રી પ્રવાસ કરી શકશે ઃ રશિયાના આર્થિક વિકાસ મંત્રાલયે કહ્યું
રશિયા અને ભારત વચ્ચેના ગાઢ સંબંધો વચ્ચે ભારતીયો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. હવે ભારતના લોકો ટૂંક સમયમાં વિઝા વિના રશિયાની મુલાકાત લઈ શકશે. વિઝા ફ્રી નિયમ લાગુ કરવા માટે રશિયા અને ભારત વચ્ચે ચર્ચા ચાલી રહી છે. તો આ સંદર્ભમાં રશિયાના આર્થિક વિકાસ મંત્રાલયે કહ્યું છે કે જૂન ૨૦૨૫થી ભારતીય પાસપોર્ટ ધારકો વિઝા ફ્રી પ્રવાસ કરી શકશે. અગાઉ જૂનમાં એવા અહેવાલો આવ્યા હતા કે ભારત અને રશિયાએ વિઝા મુક્ત ટ્રાવેલ માટે એકબીજાના વિઝા પ્રતિબંધોને ઘટાડવા માટે દ્વિપક્ષીય કરાર પર ચર્ચા કરી છે.
રશિયાએ ઓગસ્ટ ૨૦૨૩થી ભારતીયો માટે ઇ-વિઝા શરૂ કર્યા, જેની પ્રક્રિયા પૂર્ણ થવામાં લગભગ ૪ દિવસનો સમય લાગે છે. મીડિયા અહેવાલ મુજબ ગયા વર્ષે રશિયા દ્વારા ઈ-વિઝા ઈશ્યુ કરવામાં આવતા ટોચના પાંચ દેશોમાં ભારત સામેલ હતું. રશિયાએ ભારતીયોને ૯,૫૦૦ ઈ-વિઝા આપ્યા હતા. હાલમાં ભારતીય નાગરિકોને રશિયા જવા, રહેવા અને બહાર નીકળવા માટે રશિયન એમ્બેસી અથવા કોન્સ્યુલેટ દ્વારા જારી કરાયેલ વિઝા મેળવવાની જરૂર પડે છે, જે એક લાંબી પ્રક્રિયા છે. જેમાં સમય પણ લાગે છે. જાે કે, ભારતથી રશિયા જનારાઓમાં મોટાભાગે કામ કરતા લોકો અને અધિકારીઓ વગેરેનો સમાવેશ થાય છે. પર્યટન માટે ભારતથી રશિયા તરફ ખૂબ જ ઓછો ટ્રાફિક છે.
પરંતુ વિઝા ફ્રી ટ્રાવેલને કારણે ટુરીઝમ વધી શકે છે. મોટાભાગના ભારતીયો વેપાર કે કામ માટે રશિયા જાય છે. ૨૦૨૩માં ૬૦,૦૦૦ થી વધુ ભારતીયોએ રશિયાની મુલાકાત લીધી, જે ૨૦૨૨ કરતા ૨૬ ટકા વધુ છે. રશિયા તેના વિઝા ફ્રી ટૂરિસ્ટ એક્સચેન્જ હેઠળ ચીન અને ઈરાનના પ્રવાસીઓને વિઝા ફ્રી એન્ટ્રી આપી રહ્યું છે. ચીન અને ઈરાન સાથે રશિયાનો સહયોગ સફળ રહ્યો છે, જેને જાેતા માનવામાં આવે છે કે ભારત સાથે પણ આવી જ સિસ્ટમ શરૂ કરવામાં આવશે. હાલમાં ભારતીય પાસપોર્ટ ધારકોને ૬૨ દેશોમાં વિઝા ફ્રી એન્ટ્રીનો અધિકાર છે. હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સ ૨૦૨૪માં ભારતનો પાસપોર્ટ ૮૨મા ક્રમે છે, જેની મદદથી ભારતીયો ઈન્ડોનેશિયા, માલદીવ્સ અને થાઈલેન્ડ જેવા પ્રવાસના સ્થળોની વિઝા વિના મુસાફરી કરી શકે છે.



















Recent Comments