અમરેલી

વાહન ચાલકોની સલામતી માટે અમરેલી જિલ્લાના વિવિધ માર્ગો પર આવશ્યકતા મુજબ જરુરી સૂચનાઓ સાથેના સાઈન બોર્ડ, શાળાઓના બોર્ડ, ક્રેશ બેરિયર, રેડિયમ લગાડવા દિશાનિર્દેશ આપતા જિલ્લા કલેકટરશ્રી

 અમરેલી, તા.૨૭ જૂન, ૨૦૨૫ (શુક્રવાર)  અમરેલી જિલ્લા કલેકટર શ્રી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ હતી.  આ બેઠકમાં કલેકટરશ્રીએ માર્ગ સલામતીની કામગીરીની સમીક્ષા કરતા વાહન ચાલકોની સલામતી માટે સંબંધિત અધિકારીશ્રીઓને જરુરી દિશાનિર્દેશ આપ્યા હતા.

અમરેલી જિલ્લા સેવા સદન કલેકટર કચેરી ખાતે યોજાયેલ આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રીએ, વાહન ચાલકોની સલામતી માટે અમરેલી જિલ્લાના વિવિધ રસ્તા પર આવશ્યકતા મુજબ જરુરી સૂચનાઓ સાથેના સાઈન બોર્ડ, સ્પીડ બ્રેકર, સ્પીડ લિમિટ દર્શાવતા બોર્ડ, રેડિયમ, માર્કિંગ પટ્ટા, બેરિયર લગાવવા સહિતની સૂચના આપી હતી.

જિલ્લામાં વિવિધ સ્થળોએ પસાર થતા માર્ગો પર આવેલી શાળાઓ પર તકેદારીના ભાગરૂપે શાળાના નિશાન દર્શાવતા બોર્ડ મૂકવામાં આવી રહ્યા છે. આ કામગીરીને બનતી ત્વરાએ પૂર્ણ કરવા માટે જિલ્લા કલેકટરશ્રીએ દિશાનિર્દેશ આપ્યા હતા.

જિલ્લામાં થતા અકસ્માતોના અહેવાલમાં અકસ્માત રોડ એન્જિનિયરિંગની સમસ્યાના લીધે થયો છે કે ચાલકની ભૂલના કારણે તેનું માર્ગની તપાસણી કરી અને કાળજીપૂર્વક વિશ્લેષણ કરવા માટે જિલ્લા કલેકટરશ્રીએ સૂચન કર્યુ હતુ.

સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી પઢિયાર અને શ્રી શાહે માર્ગ સલામતી માટે વિવિધ કચેરીઓ દ્વારા થયેલી કામગીરીની સંકલિત વિગતો પ્રેઝન્ટેશનના માધ્યમથી રજૂ કરી હતી.

જિલ્લા કલેકટરશ્રીએ અમરેલી જિલ્લામાંથી પસાર થતાં ઉના-ભાવનગર નેશનલ હાઇવે પર જરુરી કામગીરી પૂર્ણ કરી માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા માટે સૂચના આપી હતી.  

આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા શ્રી સંજય ખરાત, સુપરન્યૂમરરી આસિસ્ટન્ટ કલેક્ટરશ્રી અતુલ સિંઘ,  નિવાસી અધિક કલેકટરશ્રી દિલિપસિંહ ગોહિલ,  માર્ગ અને મકાન રાજ્ય અને પંચાયત, પોલીસ, આરોગ્ય, નેશનલ હાઈ-વે ઓથોરિટી,  ઇમરજન્સી સેવા ૧૦૮ સહિત કચેરીના અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts