આંબલા તથા ખડસલીમાં ‘માતૃભાષા ગુજરાતી’ વિષય ઉપર યોજાશે શિક્ષણ સજ્જતા સંગોષ્ઠિ સૌરાષ્ટ્ર લોકશાળા સંઘ દ્વારા આયોજનમાં થશે વક્તવ્ય અને ચર્ચા સંવાદ ઈશ્વરિયા શનિવાર તા.૨૮-૧૨-૨૦૨૪ (મૂકેશ પંડિત) સૌરાષ્ટ્ર લોકશાળા સંઘ દ્વારા આંબલા તથા ખડસલીમાં ‘માતૃભાષા ગુજરાતી’ વિષય ઉપર શિક્ષણ સજ્જતા સંગોષ્ઠિ યોજાશે. રવિકૃપા સંસ્થા તથા લોકભારતી ગ્રામવિદ્યાપીઠનાં સૌજન્યથી થયેલ આયોજનમાં શિક્ષણવિદ્ નિષ્ણાતો દ્વારા વક્તવ્ય અને ચર્ચા સંવાદ થશે. સૌરાષ્ટ્ર લોકશાળા સંઘ દ્વારા સૌરાષ્ટ્રમાં ૮૫ જેટલી લોકશાળાઓને ગુણવત્તા અને ક્ષમતાનાં આધારે અનેકવિધ કાર્યક્રમોથી આદર્શ નમૂનો પૂરો પાડવામાં આવી રહ્યો છે, જે ૬૭ વર્ષથી અનોખો શિક્ષણ પ્રયોગ એટલે આ શિક્ષણ સજ્જતા સંગોષ્ઠિ કાર્યક્રમ યોજાય છે.
સંઘ પ્રમુખ શ્રી રાજેન્દ્રભાઈ ખીમાણી, ઉપપ્રમુખ શ્રી ખોડાભાઈ ખસિયા અને મંત્રી શ્રી સંજયભાઈ કાત્રોડિયા તથા શ્રી જસવંતભાઈ કાકડિયાનાં આયોજન સાથે આંબલા તથા ખડસલીમાં આગામી મંગળવાર તા.૩૧થી રવિવાર તા.૫ દરમિયાન ‘માતૃભાષા ગુજરાતી’ વિષય ઉપર શિક્ષણ સજ્જતા સંગોષ્ઠિ યોજાશે. રવિકૃપા સંસ્થા તથા શિક્ષણ ગુણવત્તા સંવર્ધન એકમ, લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરાનાં સૌજન્યથી ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા આંબલા તથા લોકશાળા ખડસલીમાં શિક્ષણવિદ્ નિષ્ણાતો દ્વારા વક્તવ્ય અને ચર્ચા સંવાદ થશે. બંને સંસ્થાઓમાં બુધવારે ઉદઘાટન સંમેલન તેમજ રવિવારે પૂર્ણાહુતિ સંમેલન યોજાશે. આ સંગોષ્ઠિમાં માર્ગદર્શકશ્રીઓ, નિમંત્રિત મહેમાનશ્રીઓ તથા નિમંત્રિત વકતાશ્રીઓનો લાભ મળશે. યજમાન શાળાઓનાં આચાર્ય શ્રી વાઘજીભાઈ કરમટિયા તથા શ્રી નાનજીભાઈ મકવાણા સાથે સંસ્થા પરિવાર આયોજન તૈયારીમાં રહેલ છે.
Recent Comments