હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાત રાજ્યના કચ્છ, બનાસકાંઠા, પાટણ, જામનગર, મોરબી તથા દેવભૂમિ દ્વારકા સહિતના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
આ સંજોગોમાં વાદળછાયું વાતાવરણ તથા સંભવિત વરસાદને કારણે પાકને નુકસાન થવાની શક્યતા હોવાથી રાજ્યના ખેડૂત મિત્રોને પાક સંરક્ષણ માટે આગોતરી તકેદારી રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે. ખેતરમાં કાપણી કરેલ અથવા ખુલ્લામાં રહેલ ખેત ઉત્પાદનને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવા અથવા પ્લાસ્ટિક કે તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવા તેમજ ઢગલાની આસપાસ માટીનાં પાળા બનાવી વરસાદી પાણી ઢગલાની નીચે ન જાય તે રીતે વ્યવસ્થા કરવા જણાવવામાં આવે છે.
આ સમયગાળા દરમિયાન જંતુનાશક દવાઓ તથા ખાતરનો ઉપયોગ ટાળવા તેમજ ખાતર અને બિયારણનો જથ્થો પલળી ન જાય તે રીતે સુરક્ષિત સ્થળે સંગ્રહિત રાખવા અનુરોધ કરવામાં આવે છે. સાથે જ એ.પી.એમ.સી.માં વેપારી તથા ખેડૂત મિત્રોએ આગોતરા સાવચેતી રાખી અનાજ અને ખેત પેદાશોને ઢાંકીને અથવા શેડ હેઠળ સુરક્ષિત રાખવા જણાવાયું છે. સંભવ હોય ત્યાં સુધી આ દિવસોમાં એ.પી.એમ.સી.માં વેચાણ અર્થે પેદાશ લાવવાનું ટાળવા અથવા સંપૂર્ણ સુરક્ષા સાથે લાવવાની સૂચના આપવામાં આવે છે.
આ અંગે વધુ માહિતી માટે આપના વિસ્તારના ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક (તા.મુ.), જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, નાયબ ખેતી નિયામકશ્રી (તાલીમ), કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (KVK) અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૧૮૦ ૧૫૫૧ પર સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, અમરેલીએ એક યાદીમાં જણાવ્યું છે


















Recent Comments