લાઠી: પૂજ્ય ધીરગુરુદેવની પ્રેરણાથી શ્રી વર્ધમાન ચેરીટેબલ ટ્રસ્ટ અને ડીવાઈન ચેરીટેબલ ટ્રસ્ટ – રાજકોટના સંયુક્ત ઉપક્રમે લાઠી અને આજુબાજુના ગામોના લોકો માટે નિઃશુલ્ક દંતરોગ ચિકિત્સા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કેમ્પ આગામી તારીખ ૧૬મી મે, ૨૦૨૫ ને શુક્રવારના રોજ સવારે ૯:૦૦ થી ૧:૦૦ કલાક દરમિયાન લાઠીના વાણીયા શેરી સ્થિત “નંદ મધુ ભવન” – બહુચર ધામ મંદિર પાસે યોજાશે.
આ કેમ્પમાં દાંત અને પેઢાના રોગોથી પીડિત દર્દીઓની તપાસ કરવામાં આવશે અને તેમને યોગ્ય સારવાર તેમજ સલાહ આપવામાં આવશે. જે દર્દીઓને દાંત કઢાવવાની જરૂરિયાત હશે, તેમના માટે આયુર્વેદની “જાલધર બંધ” પદ્ધતિથી નિઃશુલ્ક દાંત કાઢી આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. એટલું જ નહીં, જેમના મોઢામાં દાંત નથી તેમને રાહત દરે અથવા જરૂરિયાતમંદ લોકોને વિનામૂલ્યે દાંતનું ચોકઠું (બત્રીસી) બનાવી આપવાની પણ વ્યવસ્થા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે.
ડીવાઈન ચેરીટેબલ ટ્રસ્ટ ફોર હેલ્પ એન્ડ એજ્યુકેશન રાજકોટના ડો. જયસુખભાઈ મકવાણા અને તેમની નિષ્ણાત ટીમ જેમાં મોનીકાબેન ભટ્ટ, જાગૃતિ ચૌહાણ, ડો. સંજય અગ્રાવત, ડો. હરેશ માળી, ડો. કુશ રાજ સિંહ સિસોદીયા, રાજુભાઈ વરીયા અને રાજેશભાઈ ભૂટક આ કેમ્પમાં પોતાની સેવાઓ આપશે.
લાભાર્થી હીનાબેન રાજેશભાઈ ભીમાણી અને તમામ સ્વયંસેવક ભાઈ-બહેનો આ કેમ્પની સમગ્ર વ્યવસ્થાને સુચારુ રૂપે પાર પાડવા માટે તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. આયોજકો દ્વારા લાઠી અને આજુબાજુના ગામોના તમામ લોકોને આ નિઃશુલ્ક દંતરોગ ચિકિત્સા કેમ્પનો લાભ લેવા માટે હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
સ્થળ: નંદ-મધુ ભવન, વાણીયા શેરી, લાઠી જી. અમરેલી.તારીખ: ૧૬-૦૫-૨૦૨૫, શુક્રવાર
સમય: સવારે ૯:૦૦ થી ૧:૦૦
Recent Comments