ગુજરાત

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ગાંધીનગરથી અમદાવાદ સુધી મેટ્રો ટ્રેનમાં મુસાફરી

ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની સાદગીપૂર્ણ જીવનશૈલીની વધુ એક ઝલક લોકોને જોવા મળી છે. આજરોજ રાજ્યપાલશ્રીએ ગાંધી આશ્રમ પુનરુદ્ધાર યોજનાની સમીક્ષા અર્થે સચિવાલય મેટ્રો સ્ટેશનથી રાણીપ મેટ્રો સુધી મુસાફરી કરી હતી.

રાજ્યપાલશ્રી ગાંધીનગરના સચિવાલય મેટ્રો સ્ટેશને સામાન્ય મુસાફરની જેમ લાઈનમાં ઉભા રહીને જાતે ટિકિટ ખરીદીને પ્લેટફોર્મ પર પહોંચ્યા હતા. ત્યારબાદ તેઓએ અન્ય મુસાફરોની સાથે મેટ્રોમાં મુસાફરી કરી હતી.

રાજ્યપાલશ્રી મેટ્રોમાં મુસાફરી કરતા હોવાની જાણ થતા જ અન્ય મુસાફરોમાં પણ કુતુહલ સર્જાયું હતું. રાજ્યપાલશ્રી મુસાફરો સાથે સહજ સંવાદ કરી મેટ્રોની મુસાફરીમાં સહભાગી બન્યા હતા. રાજ્યપાલશ્રીએ મેટ્રોમાં મુસાફરી વિશે લોકોના અનુભવો જાણ્યા હતા. લોકોએ રાજ્યપાલશ્રી સાથે ફોટો પડાવીને પોતાની સફરને જીવનભર માટે યાદગાર બનાવી હતી.

મહત્વનું છે કે, રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અનેકવાર એસ.ટી. બસ અને ટ્રેન જેવી જાહેર પરિવહન સેવાનો ઉપયોગ કરીને પોતાની સાદગીનો પરિચય આપે છે. આજે તેમણે સામાન્ય નાગરીકોની જેમ મેટ્રોમાં મુસાફરી કરીને ખરા અર્થમાં જનતાના રાજ્યપાલ હોવાનું વધુ એક ઉદાહરણ પૂરું પાડ્યું છે.
*****

Related Posts