ગુજરાત

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની હરિયાણાના મુખ્યમંત્રી શ્રી નાયબ સિંહ સૈનીજી સાથે શુભેચ્છા મુલાકાત : પ્રાકૃતિક ખેતી અંગે વિસ્તૃત ચર્ચા કરી

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ હરિયાણાના મુખ્યમંત્રી શ્રી નાયબ સિંહ સૈનીજી સાથે ચંદીગઢમાં તેમના નિવાસસ્થાન, સંત કબીર કુટિર (મુખ્યમંત્રી નિવાસ) ખાતે શુભેચ્છા મુલાકાત કરી હતી. મુખ્યમંત્રી શ્રી નાયબ સિંહ સૈનીજીએ શ્રી આચાર્ય દેવવ્રતજીનું હાર્દિક સ્વાગત અને અભિવાદન કર્યું હતું. આ મુલાકાત દરમિયાન બંને મહાનુભાવો વચ્ચે વિવિધ વિષયો પર સાર્થક ચર્ચા થઈ હતી.
મુખ્યમંત્રી શ્રી સૈનીજીએ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક ખેતીના ક્ષેત્રમાં આપેલી સેવા, પ્રેરણાદાયી યોગદાન અને સમર્પણભાવની પ્રશંસા કરી હતી.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આ અવસરે જણાવ્યું કે, પ્રાકૃતિક ખેતી માત્ર કૃષિ પદ્ધતિ નહિ, પરંતુ પર્યાવરણ, આરોગ્ય અને ખેડૂતોની સમૃદ્ધિ સાથે જાેડાયેલું એક વ્યાપક જનઆંદોલન છે. તેમણે કહ્યું કે, આજની પરિસ્થિતિમાં ખેતીની આ પદ્ધતિ જમીનની ફળદ્રુપતા બચાવી રાખવા માટે અત્યંત જરૂરી છે. એટલું જ નહીં, ખેડૂતનો ઉત્પાદન ખર્ચ ઘટાડીને આવક વધારવાનો માર્ગ પણ મોકળો કરે છે.
મુલાકાત દરમિયાન હરિયાણા રાજ્યમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા, ખેડૂતોને તાલીમ આપવા, મોડેલ ફાર્મ્સ વિકસાવવા અને નીતિ વિષયક સહયોગાત્મક પગલાં લેવા જેવા મુદ્દાઓ પર પણ વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો.

Related Posts