નવા સંશોધનોથી આ જગત આખું મલકવાનું,
બની વિજ્ઞાનની જ્યોત, અંધારું હઠાવવાનું.
ગુરુકુળના આ આંગણે ખીલ્યા છે બાળ-વૈજ્ઞાનિક,
ગગન વિંધવા માટે હવે ડગલું માંડવાનું.
–“પાંધી સર”
આધુનિક યુગમાં વિજ્ઞાનના મહત્વને ઉજાગર કરવાના હેતુથી સાવરકુંડલા ખાતે આવેલી પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક (સાયન્સ વિભાગ) દ્વારા ૨૮ ફેબ્રુઆરી, ‘નેશનલ સાયન્સ ડે’ ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.
આ અવસરે શાળામાં વિજ્ઞાનના વિવિધ મોડલોનું સુંદર પ્રદર્શન યોજાયું હતું. જેમાં ધોરણ ૯ અને ૧૧ ના વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની સૂઝબૂઝથી તૈયાર કરેલા વિવિધ પ્રોજેક્ટ્સ રજૂ કર્યા હતા. આ પ્રદર્શન દ્વારા વિદ્યાર્થીઓએ વર્તમાન સમયમાં વિજ્ઞાન અને ટેકનોલોજીની અનિવાર્યતા સમજાવી હતી.
કાર્યક્રમનું મંગલ ઉદઘાટન સંસ્થાના પ્રમુખ શાસ્ત્રી હરિપ્રસાદ દાસજી સ્વામી તથા મેનેજીંગ ટ્રસ્ટી કોઠારી અક્ષર મુક્ત દાસજી સ્વામીના વરદહસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્થાના ડાયરેક્ટર અને આચાર્યશ્રીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓની કૃતિઓને બિરદાવી હતી.
સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના આચાર્યશ્રી તથા સ્ટાફ મિત્રો દ્વારા કરવામાં આવ્યું હતું. ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે બોલપેન આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.


















Recent Comments