અમરેલી

અખંડ અને આધુનિક ભારતના શિલ્પી, ભારત રત્ન *સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતી ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ભવ્ય ઉજવણી

સમગ્ર ભારતમાં અખંડ અને આધુનિક ભારતના શિલ્પી, લોહપુરુષ, ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતી અને ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ભવ્ય ઉજવણી હાથ ધરવામાં આવી છે. આ અંતર્ગત આજરોજ અમરેલી સ્થિત સરદાર સર્કલ (સેન્ટર પોઈન્ટ)થી ‘રન ફોર યુનિટી’ને રાજ્યના કાયદો અને ન્યાયતંત્ર, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ તથા વૈધાનિક અને સંસદીય બાબતોના રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાએ લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ કાર્યક્રમમાં સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયા, જિલ્લા કલેક્ટર શ્રી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી પરિમલ પંડ્યા સહિત પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ ઉમળકાભેર જોડાયા હતા.

ઉલ્લેખનીય છે કે, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અમરેલી સ્થિત સરદાર સર્કલ થી પૂ.હરિરામબાપા ચોક, નાગનાથ મંદિર, રાજકમલ ચોક સહિતના વિસ્તારોમાં  ‘રન ફોર યુનિટી’ માર્ચ યોજાઈ હતી. જેમાં ડી.એલ.એસ.એસના બાળકો, વિવિધ શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, પોલીસ જવાનો, નાગરિકો જોડાયા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો-અધિકારીશ્રીઓ સહિત સૌ નાગરિકોએ રાષ્ટ્રીય એકતા દિવસના શપથ લીધા હતા.

‘રન ફોર યુનિટી’ અંતર્ગત શહેરના નાગરિકો સહિત સૌ ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ને ‘વિકસિત ભારત’ બનાવવવા માટે સહિયારો પુરુષાર્થ કરવા સંકલ્પબદ્ધ થયા હતા.

વર્ષ ૧૯૪૭માં ભારત દેશ અંગ્રેજ શાસનથી મુક્ત થયો અને આઝાદ થયો હતો. સ્વતંત્રતા સંગ્રામની મહાન લડાઈમાં પૂ. ગાંધીજી, ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ સહિત અનેક નામી-અનામી સ્વાતંત્ર્ય સેનાનીઓ, વીરો,વીરાંગનાઓએ પોતાના બલિદાનો આપ્યા છે. ઉપરાંત લોહપુરુષ શ્રી વલ્લભભાઈ પટેલે પોતાનું અનન્ય યોગદાન આપીને સમગ્ર ભારતને એક તાંતણે બાંધી અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું.

અમરેલી સ્થિત નગરપાલિકા હસ્તગતના સરદાર સર્કલનું નવીનીકરણનું કાર્ય બી.એ.પી.એસ શ્રી સ્વામિનારાયણ મંદિર સંસ્થા,અમરેલી દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું છે. જેમાં શહેરના અનેક દાનવીરોએ પોતાનું યથાયોગ્ય યોગદાન આપ્યું છે. નવા રંગ-રૂપ સાથે નવીનીકરણ થયેલ સરદાર સર્કલનું રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા સહિતના મહાનુભાવોએ વિધિવત રીતે લોકાર્પણ કર્યું હતું. આ સર્કલ અમરેલી શહેરની નવી ઓળખ પ્રસ્થાપિત કરે છે.

‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ભવ્ય ઉજવણીમાં અમરેલી જિલ્લા પંચાયત અને નગરપાલિકાના હોદ્દેદારો, પદાધિકારીશ્રીઓ, અમરેલી બી.એ.પી.એસ શ્રી સ્વામિનારાયણ મંદિરના સંતો, ઇન્ચાર્જ પોલીસ વડાશ્રી, પ્રાંત અધિકારીશ્રીઓ, જિલ્લા પંચાયતના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ, પોલીસ જવાનો, વિવિધ શાળા કોલેજના વિદ્યાર્થીઓ, નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

Related Posts