અમરેલી

ભાવનગર ઝોન હેઠળ આવેલ અમરેલી જિલ્લાની નગરપાલિકાઓમાં ‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૫’ અંતર્ગત ‘સ્વચ્છોત્સવ’ની ભવ્ય ઉજવણી: સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ”

ભારત સરકારના સ્વચ્છ ભારત મિશન હેઠળ આ વર્ષે મિશનના ૧૧ વર્ષની ઉજવણીના ભાગરૂપે “સ્વચ્છતા હી સેવા-૨૦૨૫” ને “સ્વચ્છોત્સવ” તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકાર દ્વારા તા. ૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૫ થી તા. ૨ ઓક્ટોબર, ૨૦૨૫ સુધી “સ્વચ્છતા હી સેવા-૨૦૨૫“ પખવાડિયાનું આયોજન કરવામાં આવેલું. રાજ્ય સરકાર દ્વારા નિર્મળ ગુજરાત ૨.૦ની કામગીરી અને આગામી સ્વચ્છ સર્વેક્ષણની પ્રાધાન્યતાને ધ્યાને લઈને, આ અભિયાનને તા. ૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૫ થી તા. ૩૧ ઓક્ટોબર, ૨૦૨૫ સુધી લંબાવવામાં આવ્યું હતું. આ ઝુંબેશના અનુસંધાને, ભાવનગર ઝોન હેઠળની અમરેલી જિલ્લાની તમામ નગરપાલિકાઓ દ્વારા ‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૫’ કેમ્પેન અંતર્ગત શહેરવ્યાપી સઘન સફાઈ અને જનજાગૃતિની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી.

આ ઝુંબેશ દરમિયાન, પબ્લિક ટ્રાન્સપોર્ટ હબ અને હાઈવેની સફાઈ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. જેમાં બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન વિસ્તારો, તમામ રિક્ષા/ટેક્ષી સ્ટેન્ડ્સ, સાઇકલ સ્ટેન્ડ અને જાહેર પાર્કિંગની સંપૂર્ણ સાફ-સફાઈ કરવામાં આવી. આ ઉપરાંત, શહેરી વિસ્તારમાં આવેલ તેમજ પસાર થતા રાજ્યના/રાષ્ટ્રીય ધોરી માર્ગો અને રીંગ રોડની સફાઈ કરાઈ. મહત્વનું છે કે કચરાનાં એકત્રીકરણ અને વર્ગીકરણનાં તમામ સાધનોની પણ સફાઈ હાથ ધરવામાં આવી હતી.

સ્વચ્છતા હી સેવા અભિયાન હેઠળ, ધાર્મિક અને પ્રવાસન સ્થળોની સફાઈ તથા વોટર બોડીસ/નાળાની સફાઈની કામગીરીને પ્રાધાન્ય આપવામાં આવ્યું. ધાર્મિક સ્થળો,  પ્રવાસન સ્થળો, બાગ-બગીચાઓ, ઐતિહાસિક સ્થળોની સઘન સફાઈ કરવામાં આવી. જળસ્રોતોની વાત કરીએ તો, નદી, તળાવ, સરોવર, સમુદ્ર કિનારાની સફાઈ તેમજ વરસાદી પાણીના નાળા અને ચેક પોઈન્ટ્સની સફાઈ દ્વારા પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા સુનિશ્ચિત કરાઈ.

શહેરી સૌંદર્ય અને સ્વચ્છતા જાળવવા માટે સર્કલ/સિગ્નલ્સ, પ્રતિમાઓ અને ખુલ્લા પ્લોટ, શેરીઓની સફાઈ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું. સર્કલ/ચાર રસ્તા, સિગ્નલ્સ અને શહેરમાં પ્રસ્થાપિત પ્રતિમાઓની સફાઈ ઉપરાંત, ખુલ્લા પ્લોટ માંથી કચરો હટાવીને સ્વચ્છ કરવામાં આવ્યા. વ્યાપારી ગતિવિધિઓ ધરાવતા વિસ્તારોની સ્વચ્છતા માટે માર્કેટ અને વાણિજ્ય વિસ્તારની સઘન સફાઈ કરવામાં આવી, જેમાં APMC, શાકભાજી માર્કેટ, ફૂડ માર્કેટ સહિત તમામ વાણિજ્યિક વિસ્તારો આવરી લેવાયા.

અમરેલી જિલ્લાની નગરપાલિકાઓ દ્વારા હાથ ધરવામાં આવેલ આ વ્યાપક ઝુંબેશ નિર્મળ ગુજરાત ૨.૦ના લક્ષ્યને સિદ્ધ કરવામાં અને આગામી સ્વચ્છ સર્વેક્ષણમાં ઉત્તમ પ્રદર્શન માટે પાયો નાખશે.

Related Posts