જાણીતા હાસ્યકલાકાર , લેખક અને ઉમદા સમાજસેવક ડો. જગદીશ ત્રિવેદીએ તા.૧૨/૧૦/૨૦૧૭ ના રોજ પોતાના જીવનના પચાસ વર્ષ પુરા કર્યા ત્યારથી પોતાના દેશ- વિદેશના તમામ કાર્યક્રમોની સંપૂર્ણ આવક આરોગ્ય અને શિક્ષણમાં દાન કરે છે. એમાં એ વહીવટી ખર્ચ પણ લેતા નથી.
તદુપરાંત દર ૧૨ ઓક્ટોબરે એમના જન્મદિવસે આખા વરસનો વિગતવાર હિસાબ “Social Audit of Social service”નામથી પુસ્તક પણ પ્રગટ કરે છે.
એમની આ પારદર્શકતાથી પ્રભાવિત થઈ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પોતાના મનકી બાત કાર્યક્રમનાં એપીસોડ નં.૧૦૮ માં જગદીશ ત્રિવેદીની સેવા વિશે ૩.૪૨ મિનિટ સુધી બોલ્યા હતા અને વિગતવાર માહિતી આપી હતી.
આજરોજ જગદીશ ત્રિવેદીએ આઠમા વરસનું સેવાનું સરવૈયું પ્રગટ કર્યુ હતું. આજ દિવસ સુધીમાં એમણે ૧૯,૨૩,૫૭,૬૩૪/- રુપિયાનું દાન કર્યું છે. મઝાની વાત એ છે કે જગદીશ ત્રિવેદી કોઈપણ જાતના નાત-જાત-ધર્મ કે ભાષાના ભેદ વગર માનવમાત્રની સેવા કરે છે અને માત્ર આરોગ્ય અને શિક્ષણમાં દાન કરે છે.
આ ૧૯.૨૩ કરોડમાંથી એમણે ૧૩ સરકારી શાળાઓ ચણીને સરકારને દાનમાં આપી છે તથા બે શાળાઓ નિર્માણાધીન છે. તદુપરાંત નવ સાર્વજનિક પુસ્તકાલયો, એક છાત્રાલય અને એક બાળ આરોગ્ય સેવા કેન્દ્ર મળીને આઠ વરસમાં કુલ પચીસ જેટલી ઈમારતો ચણીને સમાજને અર્પણ કરી છે.
તદુપરાંત અનેક જરુરીયાતમંદ વિદ્યાર્થીઓ અને દર્દીઓને પણ એમણે સહાય કરી છે.
આજરોજ તા.૧૨/૧૦/૨૫ ના રોજ વઢવાણ ખાતે શ્રીમતી સદગુણાબહેન સી. યુ. શાહ પ્રસુતિગૃહ જ્યાં આજથી અઠ્ઠાવન વરસ પહેલા જગદીશ ત્રિવેદીનો જન્મ થયો હતો ત્યાં કેન્દ્રીય મંત્રી શ્રી મુળુભાઈ બેરા , સાંસદ શ્રી ચંદુભાઈ શિહોરા , વિધાનસભાના મુખ્ય દંડક અને વઢવાણના ધારાસભ્ય શ્રી જગદીશભાઈ મકવાણા, મ્યુનિસિપલ કમિશનર નવનાથ ગવ્હાણે, આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ શ્રી કમલેશભાઈ કોટેચા, શ્રી સ્વામિનારાયણ વિદ્યાર્થીભવનના પૂ. મહાત્માસ્વામી, જાણીતા તબીબ અને સમાજસેવક ડો. પી.સી.શાહ તથા વઢવાણના રાજવી પરિવારના શ્રી ભવાનિસિંહજી મૌર્ય તેમજ પ્રસૂતિગૃહના પ્રમુખ શ્રી નવીનભાઈ મણિયાર તેમજ મોટી સંખ્યામાં વિધવિધ ક્ષેત્રના મહાનુભાવોની ઉપસ્થિતિમાં જગદીશ ત્રિવેદીના પુસ્તક *Social audit of Social service* નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું તેમજ આ જન્મદિવસ નિમિત્તે સર્વરોગ નિદાન કેમ્પ તથા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઝાલાવાડના રાજપુત સમાજે ડો. જગદીશ ત્રિવેદી માટે પોતાનો સદભાવ વ્યક્ત કરતાં સૌપ્રથમ ૫૮ રાજપુત યુવક- યુવતીઓએ રક્તદાન કર્યું હતું. ડો. પી.સી.શાહ અને ડો. નેહલ મનીષ પંડ્યાએ આ પ્રસંગે ૧,૦૮,૦૦૦/- રુપિયા તથા પટેલસમાજના આગેવાન અને અમદાવાદનાં ઉદ્યોગપતિ ગોવિંદભાઈ વરમોરાએ ૫૮,૦૦૦/- રુપિયા જગદીશ ત્રિવેદીને એમના સેવાયજ્ઞ માટે આપ્યા હતા જે જગદીશ ત્રિવેદીએ નિર્માણધિન સ્વામી સચ્ચિદાનંદજી શાળાને અર્પણ કર્યા હતા.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી શ્રી મુળુભાઈ બેરા તરફથી પણ જગદીશ ત્રિવેદીનું શાલ અને પુસ્તક વડે સન્માન કરવામાં આવ્યું હતું.
જગદીશ ત્રિવેદીના જન્મદિવસે સર્વરોગ નિદાન તેમજ રક્તદાન કેમ્પનું ભવ્ય આયોજન


















Recent Comments