અમરેલી

સાવરકુંડલામાં તંત્રની ઘોર બેદરકારી: રઘુવંશી અગ્રણી મુકુંદભાઈ નાગ્રેચાએ જનહિતમાં તંત્રની ઊંઘ ઉડાડવા વીડિયો કર્યો વાયરલ

રસ્તા વચાળે જાળ બિછાવી છે                      ક્યાં સુધી?

બેદરકારીની હદ આ વધારી છે                       ક્યાં સુધી?

​જાગૃત જનોનો સાદ જો તંત્ર 

ન સાંભળે,

તો પૂછવું પડે કે ઊંઘ તમારી છે                      ક્યાં સુધી?

–“પાંધી સર”

સાવરકુંડલા શહેરમાં આવેલ ફ્રેન્ડ સોસાયટી ખાતે આવેલ પ્રસાદ બંગલા વિસ્તારમાં રોડ કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવેલા અધૂરા કામ અને તંત્રની ગંભીર બેદરકારી સામે રઘુવંશી સમાજના અગ્રણી અને સેવાભાવી વરિષ્ઠ નાગરિક શ્રી મુકુંદભાઈ નાગ્રેચાએ અવાજ ઉઠાવ્યો છે. ફેબ્રુઆરી ૨૦૨૫ થી રોડની વચ્ચોવચ જોખમી રીતે પડેલા વાદળી કેબલ અને માટીના ઢગલાને કારણે સ્થાનિકો પરેશાન છે.

​આ વિસ્તારમાં ગુરુકુળ આવેલું હોવાથી દરરોજ ૨૦૦ થી ૩૦૦ જેટલા નાના બાળકો અને વાલીઓ આ માર્ગનો ઉપયોગ કરે છે. મુકુંદભાઈ નાગ્રેચાએ જણાવ્યું હતું કે, આ કેબલ અને માટીના ઢગલાને કારણે અનેક બાળકો ઠોકર ખાઈને પડ્યા છે. આ અંગે અગાઉ પૂર્વ કાઉન્સિલર ધર્મેન્દ્રભાઈ મહેતાને પણ રજૂઆતો કરવામાં આવી છે. આ વિસ્તારમાં ધારાસભ્યશ્રીનું નિવાસસ્થાન હોવા છતાં તંત્રની આ નિષ્ક્રિયતા આશ્ચર્યજનક છે. તંત્ર વહેલી તકે જાગે અને કોઈ મોટી જાનહાનિ થાય તે પહેલાં આ સમસ્યાનું નિરાકરણ લાવે તેવા ઉમદા ઉદ્દેશ્ય સાથે મુકુંદભાઈએ આ વિગતવાર વીડિયો રજૂ કરી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો છે.

Related Posts