આગામી ફેબ્રુઆરી અને માર્ચ-૨૦૨૬માં યોજાનારી ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની બોર્ડ પરીક્ષાઓને ગેરરીતિમુક્ત, પારદર્શક અને શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ સંદર્ભે જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, અમરેલી દ્વારા જિલ્લાની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્યશ્રીઓને માર્ગદર્શન આપી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં પરીક્ષાલક્ષી કાયદાઓની જાગૃત્તિ પ્રસરાવવા માટે જિલ્લા શિક્ષણાધિકારીશ્રીનો આચાર્યશ્રીઓને અનુરોધ કરવામાં આવ્યો છે.
રાજ્ય સરકાર દ્વારા જાહેર પરીક્ષાઓમાં ગેરરીતિ અટકાવવા માટે અમલમાં મુકાયેલા “The Gujarat Public Examination (Prevention of Unfair Means) Act, 2023” તથા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ કાયદો, 1972 ની કલમ-43 મુજબ કડક જોગવાઈઓ અમલમાં છે ઉક્ત કાયદા મુજબ પ્રશ્નપત્ર ફોડવું, નકલ કરવી કે કરાવવી, ઇલેક્ટ્રોનિક સાધનોનો ગેરકાયદેસર ઉપયોગ, પરીક્ષા કેન્દ્રમાં અનધિકૃત પ્રવેશ, દસ્તાવેજોમાં ચેડાં કરવું જેવી ગેરરીતિઓ ગંભીર ગુનાઓ ગણાય છે. આ પ્રકારના ગુનાઓ બદલ કાયદેસરની સજા તથા દંડની જોગવાઈ કરવામાં આવી છે
જિલ્લા શિક્ષણાધિકારીશ્રીએ તમામ આચાર્યશ્રીઓને સૂચના આપી છે કે શાળા સ્તરે વિદ્યાર્થીઓ, વાલીઓ તથા શિક્ષકમંડળને કાયદાની જોગવાઈ અંગે માહિતગાર કરવામાં આવે, પરીક્ષા પૂર્વે જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવે અને પરીક્ષા દરમિયાન નિયમોનું કડક પાલન સુનિશ્ચિત કરવામાં આવે
બોર્ડ પરીક્ષા વિદ્યાર્થીઓના શૈક્ષણિક ભવિષ્ય સાથે સંકળાયેલી મહત્વપૂર્ણ પ્રક્રિયા હોવાને કારણે તેમાં પારદર્શિતા અને નિષ્પક્ષતા જળવાઈ રહે તે માટે શિક્ષણ તંત્ર દ્વારા જરૂરી માર્ગદર્શન અને સુચનાઓ આપવામાં આવી છે.
અમરેલી જિલ્લામાં બોર્ડ પરીક્ષાઓ ગેરરીતિમુક્ત અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે તમામ શૈક્ષણિક સંસ્થાઓને સહકાર આપવા અપીલ કરવામાં આવી છે .


















Recent Comments