ગુજરાત કોંગ્રેસની ઐતિહાસિક ‘જન આક્રોશ યાત્રા પરિવર્તનનો શંખનાદ’
૧૪૦૦ કિ.મી.ની બીજા ચરણની યાત્રાન સમાપન પ્રસંગે દાહોદ ખાતે આયોજિત
જનઆક્રોશ સભામાં પ્રચંડ જનસમર્થન.
ગુજરાત કોંગ્રેસની યાત્રા મધ્ય ગુજરાતનાં ૭ જિલ્લાઓમાં ૩૨ જાહેર સભાઓ (મહિલા સંવાદ, કારીગર સંવાદ સહિત), ૨૦૦ થી વઘુ સ્થાનિક સંસ્થાઓ અને લોકો દ્વારા સ્વાગત પોઇન્ટ, ૫ શહેરોમાં યુવા સાથીઓ સાથે બાઈક રેલી દ્વારા ૧૪૦૦ કિલોમીટરની રાહ કાપી જનઆક્રોશ યાત્રા લાખો લોકોને સ્પર્શી.
દાહોદ ખાતે જન આક્રોશ યાત્રાના સમાપન પ્રસંગે ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય અને આદિવાસી નેતા શ્રી મહેશભાઈ વસાવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રભારી શ્રી મુકુલ વાસનિકજી અને પ્રદેશ પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડાની હસ્તે કોંગ્રેસમાં જોડાયા
• આમ આદમી પાર્ટી ભાજપની જ રણનીતિનો ભાગ છે તેનો હેતુ મતવિભાજન કરીને ભાજપને ફાયદાઓ પહોંચાડવાનો છે : શ્રી મુકુલ વાસનિકજી
• આદિવાસી સમાજને જંગલ જમીનનો અધિકાર, અનામત, નોકરીઓ કોંગ્રેસની સરકારોએ આપી આજે ભાજપા એ બધું છીનવવા માંગે છે : શ્રી અમિતભાઈ ચાવડા
• આદિવાસીઓની જમીનો, જંગલો છીનવીને ઉધોગપતિઓને આપવા ષડયંત્ર રચી રહેલી ભાજપ સરકારને કહેવા માંગીએ છીએ કે આદિવાસી સમાજના હક્ક અને અધિકાર માટે ગોળી ખાવા, લાઠી ખાવા અને જરૂર પડે તો જેલમાં જવા પણ તૈયાર : શ્રી અમિતભાઈ ચાવડા
• હવે એ દિવસો દૂર નથી જ્યારે ગાંધીનગરની સત્તામાં બેઠેલા તમામ ભ્રષ્ટાચારી નેતાઓ અને અધિકારીઓને ખુલ્લા પાડી જેલમાં મોકલીશું : શ્રી અમિતભાઈ ચાવડા
• વિકાસ પ્રોજેક્ટના નામે આદિવાસીઓની જમીન હડપવામાં આવી રહી છે, જે સ્વીકાર્ય નથી આગામી સમયમાં ઉગ્ર આંદોલન થશે : શ્રી અમિતભાઈ ચાવડા
• ખેડૂતોની સંપૂર્ણ દેવા માફી, નશામુક્ત ગુજરાત બનાવવા, યુવાનોને કાયમી રોજગાર, મહિલાઓને સુરક્ષા સાથે સન્માન, ભ્રષ્ટાચારીઓને જેલભેગા કરવા કોંગ્રેસ પાર્ટી સંકલ્પબદ્ધ છે: શ્રી અમિતભાઈ ચાવડા
આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રભારી શ્રી મુકુલ વાસનિકજીએ જણાવ્યું કે આજે આદિવાસી વિસ્તારોમાં બાળકો કુપોષિત હાલતમાં જોવા મળે છે, સારા રોડ-રસ્તાઓનો અભાવ છે અને આદિવાસી વિસ્તારોમાં પૂરતી આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ નથી. ઉપરાંત રોડ-રસ્તાઓ બનાવવાના નામે મોટાપાયે આદિવાસીઓની જમીનોનું અધિગ્રહણ કરવામાં આવી રહ્યું છે અને યોગ્ય વળતર પણ આપવામાં આવી રહ્યું નથી. મનમોહન સિંહજી જ્યારે પ્રધાનમંત્રી હતા ત્યારે કોંગ્રેસની સરકારે એવો કાયદો બનાવ્યો હતો કે ગામમાં રહેતા લોકોને તેમની જમીનનું પૂરતું વળતર મળ્યા વિના અને તેમની સંમતિ વિના જમીન અધિગ્રહણ થઈ શકે નહીં, પરંતુ હાલની સરકાર આ વાત સાંભળવા તૈયાર નથી. અમે સરકારને સ્પષ્ટ કહીએ છીએ કે આદિવાસીઓની જમીન છીનવવા નહીં દઈએ અને આદિવાસી સમાજના હકો માટે સતત લડત રહીશું. અંતમાં તેમણે જણાવ્યું કે આમ આદમી પાર્ટી ભાજપની જ રણનીતિનો ભાગ બની લોકોને ગેરમાર્ગે દોરી રહી છે અને તેનો હેતુ માત્ર મતવિભાજન કરવાનો છે, જેથી મળેલા મત અંતે ભાજપની ઝોળીમાં જ જાય અને તેનો સીધો ફાયદો ભાજપને થાય.
જન આક્રોશ યાત્રાને સંબોધિત કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડાએ જણાવ્યું કે ભાજપ સરકાર આદિવાસી સમાજના હક્ક અને અધિકારો છીનવવા માંગે છે. આદિવાસી સમાજને જંગલ જમીનના હક્કો, અનામત અને નોકરીઓ કોંગ્રેસના શાસનમાં આપવામાં આવી, પરંતુ ભાજપની સરકાર ભારતમાલા પ્રોજેક્ટ, જળાશય, અભ્યારણો અને એરપોર્ટ બનાવવાના નામે આદિવાસીઓની જમીનો હડપવાનું કામ કરી રહી છે. આદિવાસી યુવાઓને જાતિના દાખલા આપવામાં નથી આવતા અને આદિવાસી વિસ્તારોમાં રોજગારી માટે કોઈ વ્યવસ્થાઓ કરવામાં આવતી નથી. રોજગારી ના મળતા આદિવાસી સમાજના ભાઈઓ અને બહેનોને રાજ્યના અલગ-અલગ સ્થળોએ મજૂરી કરવા જવું પડે છે. આ ભાજપ ક્યારેય આદિવાસીઓના હિત માટે કામ કરતી નથી. ભાજપ સરકાર આદિવાસીઓ પાસેથી બધું છીનવીને ઉદ્યોગપતિઓને આપવા માંગે છે, પરંતુ અમે ભાજપની સરકારને કહેવા માંગીએ છીએ કે આદિવાસી સમાજના હક્ક અને અધિકારોની લડાઈમાં કોંગ્રેસનો એક-એક આગેવાન આદિવાસી સમાજની સાથે છે. આદિવાસી સમાજના હક્ક અને અધિકારો માટે કોંગ્રેસ લાઠી ખાવા, ગોળી ખાવા અને જેલ જવા માટે પણ તૈયાર છે.
ભાજપના શાસનમાં નલ સે જલ, મનરેગા સહિતની યોજનાઓમાં ભાજપના મંત્રીઓ અને નેતાઓએ કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યું છે. તત્કાલીન મંત્રી બચુભાઈ ખાબડ જ્યારે મંત્રી હતા ત્યારે નરેન્દ્ર મોદીને સભાઓમાં સોનાના કડા અને મોટી સેરો પહેરાવતા લોકોને એવું લાગતું કે તેઓ ખૂબ ખર્ચો કરે છે, પરંતુ પાછળથી ખબર પડી કે મનરેગાના કૌભાંડમાંથી કમાયેલા પૈસાથી આ બધું કરવામાં આવતું હતું. જન આક્રોશ યાત્રાના સમાપન પ્રસંગે ગાંધીનગરની સત્તામાં બેઠેલા તમામ ભ્રષ્ટાચારી નેતાઓ અને અધિકારીઓને અમે કહેવા માંગીએ છીએ કે હવે એ દિવસો દૂર નથી જ્યારે જનતા તમને રસ્તાઓ પર દોડાવશે. કોંગ્રેસનો પણ સંકલ્પ છે કે એક પણ ભ્રષ્ટાચારીને છોડવાનો નથી અને તમામ ભ્રષ્ટાચારીઓને જેલના સળિયા પાછળ ધકેલવાના છીએ.
સભાના અંતમાં ઓલ ઇન્ડિયા આદિવાસી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ધારાસભ્ય શ્રી વિક્રાંત ભૂરિયાજીએ જણાવ્યું કે આદિવાસી સમાજ કોઈને છેડતો નથી, પરંતુ કોઈ છેડે તો તેને છોડતો પણ નથી અને ભાજપે આદિવાસીઓને છેડવાનો પ્રયાસ કર્યો છે. હું ડોક્ટર છું અને જેમ ડોક્ટર સર્જરી કરે છે તેમ અમે ભાજપની રાજકીય સર્જરી કરવા તૈયાર છીએ. આદિવાસીઓની સાચી લડાઈ માત્ર કોંગ્રેસ જ લડી શકે છે અને આઝાદી બાદ આદિવાસીઓ માટે સાચું કામ માત્ર કોંગ્રેસે જ કર્યું છે.ગુજરાતમાં તાપી નર્મદા યોજનાના નામે આદિવાસીઓની જમીન હડપવામાં આવી રહી છે, જે સ્વીકાર્ય નથી.
વધુમાં, ભાજપે મણિપુરમાં આદિવાસી બહેનોને નગ્ન હાલતમાં દોડાવી અને તેમની સાથે દુર્વ્યવહાર કર્યો. મધ્યપ્રદેશમાં આદિવાસી સમાજના વ્યક્તિ પર પેશાબ કરાયો, જે પણ ભાજપના જ લોકોએ કર્યું હતું, અને ગુજરાતમાં આદિવાસીઓની લડાઈ લડતા અનંત પટેલ પર હુમલો પણ ભાજપના લોકોએ જ કરાવ્યો. ભાજપ આદિવાસીઓને વનવાસી કહે છે, પરંતુ અમે મૂળનિવાસી છીએ અમે આદિવાસી છીએ.
૧૪૦૦ કિલોમીટર સંપન્ન થયેલી બીજા ચરણની જન આક્રોશ યાત્રાની દાહોદ ખાતે પૂર્ણાહૂતિ પ્રસંગે ગુજરાત કોંગ્રેસ પ્રભારી શ્રી મુકુલ વાસનિક, ગુજરાત પ્રદેશ સમિતિના પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા, ઓલ ઇન્ડિયા આદિવાસી કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી વિક્રાંત ભુરીયા, સહ પ્રભારી શ્રી રામકિશન ઓઝા, વરિષ્ઠ આગેવાન અને પૂર્વ સાંસદ શ્રી મધુસુધન મિસ્ત્રી, ધારાસભ્યશ્રી જીજ્ઞેશભાઈ મેવાણી, શ્રી અનંતભાઈ પટેલ, શ્રી કાંતિભાઈ ખરાડી, શ્રી અમરતજી ઠાકોર, શ્રી ગુલાબસિંહ ચૌહાણ, જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી હર્ષદભાઈ નીનામા, ગુજરાત કોંગ્રેસ આદિવાસી વિભાગના અધ્યક્ષ શ્રી રાજુભાઈ પારધી, પૂર્વ સાંસદ તથા પૂર્વ ધારાસભ્યશ્રીઓ, વરિષ્ઠ આગેવાનો સહિત મોટી સંખ્યામાં જિલ્લા તાલુકા પ્રમુખો, જિલ્લા પંચાયતના અને તાલુકા પંચાયતના સદસ્યો, મહિલા કોંગ્રેસ, યુથ કોંગ્રેસ, એન.એસ.યુ.આઈ, સેવાદળ, સોશિયલ મીડિયા, આદિવાસી ડિપાર્ટમેન્ટ સહિતના સર્વે સેલ ડિપાર્ટમેન્ટના આગેવાનશ્રીઓ, પ્રવક્તાશ્રીઓ, જન આક્રોશ યાત્રાના સર્વે પદાધિકારીઓ અને કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં જન આક્રોશ યાત્રામાં ભાગ લઈને જન આક્રોશ સભામાં ઉપસ્થિત રહ્યા હતા.


















Recent Comments