26 જાન્યુઆરીએ ઠાકોર સેનાનું મોટું સંમેલન, ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનો હુંકાર-1 લાખ યુવાનો-યુવતીઓ સેનામાં જોડાશે
રાજ્યના પાટનગર ગાંધીનગરના ટાઉનહોલ ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સમાજના સામાજિક, શૈક્ષણિક અને રાજકીય વિષયો પર મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી. સંસ્થાના અધ્યક્ષ અને ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની આગેવાની હેઠળ યોજાયેલી આ બેઠકમાં સમાજના સર્વાંગી વિકાસ માટેની સંરચિત યોજના રજૂ કરવામાં આવી. આ બેઠકનો મુખ્ય હેતુ ઠાકોર સેનાના આગામી એક વર્ષના કાર્યક્રમો અને રણનીતિનો રોડ મેપ નક્કી કરવાનો હતો, જેમાં સામાજિક સુધારણા, વ્યસનમુક્તિ અને રાજકીય પ્રતિનિધિત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો.
ગાંધીનગર ટાઉનહોલ ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા વિશાળ શિબિર ધારાસભ્ય ધવલસિંહ ઝાલા (બાયડ) પણ ઉપસ્થિત રહ્યા હતા. MLA ધવલસિંહ ઝાલાએ કહ્યું કે, યુવાનોને શિક્ષણને જીવનનું મુખ્ય ધ્યેય બનાવવાની પ્રેરણા આપી તથા વ્યસનોને અલવિદા કરવાની પ્રતિજ્ઞા લેવડાવી હતી. આ તરફ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ યુવાનો દ્વારા એક સ્વરે શિક્ષણને પ્રાથમિકતા આપવાની તથા વ્યસન મુક્તિ માટે જીવનભર પ્રતિબદ્ધ રહેવાની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.
અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે, 26 જાન્યુઆરીએ ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા એક વિશાળ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે મોટી બેઠક થાય ત્યારે રાજનીતિની વાત પણ સ્વાભાવિક રીતે થાય છે. આમ છતાં અમારી મુખ્ય અગ્રતા સમાજસેવા છે. માત્ર અમારું નહીં, પણ દરેક સમાજના લોકોનું ઉત્થાન થાય તે જરૂરી છે.
આ સાથે ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે ઉમેર્યું કે, “છેવાડાના લોકોનો વિકાસના પ્રવાહમાં સમાવેશ થાય તે માટે સેના સતત પ્રયત્નશીલ છે. દરેક વ્યક્તિની અપેક્ષા હોય છે કે તેને રાજનીતિમાં સ્થાન મળે અને સક્રિય તથા સક્ષમ વ્યક્તિઓને સમયાનુકૂળ તક મળી રહે છે.”
ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના ઉપ-પ્રમુખ અને બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ બેઠકમાં જણાવ્યું કે, “આ કોઈ શક્તિ પ્રદર્શન નથી, પરંતુ સમાજને જાગૃત કરવાનો અને કુરિવાજો દૂર કરવાનો પ્રયાસ છે. અમે ગામડાઓમાં જઈને ઠાકોર સમાજને એકજૂટ કરીશું અને આગામી એક વર્ષ માટે રોડ મેપ તૈયાર કરીશું.” ધવલસિંહ ઝાલાએ ભારપૂર્વક જણાવ્યું કે ઠાકોર સેનાનો હેતુ સમાજના સર્વાંગી વિકાસ અને રાજકીય પ્રતિનિધિત્વ મેળવવાનો છે.
આ બેઠકમાં ચર્ચા કરવામાં આવેલ મુદ્દાઓ-
રાજકીય પ્રતિનિધિત્વ : ઠાકોર સેનાના ઉપ-પ્રમુખ ધવલસિંહ ઝાલાએ જણાવ્યું કે, “દરેક સમાજની ઈચ્છા હોય છે કે તેમના નેતાઓ મંત્રી બને. અમારી આશા છે કે ઠાકોર સમાજના નેતૃત્વને સરકારમાં યોગ્ય સ્થાન મળે.” ઉલ્લેખનિય છે કે, પાછલા કેટલાક સમયથી ઠાકોર સેના રાજકીય રીતે સંગઠિત થઈને પોતાની માંગણીઓને વધુ અસરકારક રીતે રજૂ કરી રહ્યો છે, પરંતુ હજું પણ તેમાં સુધારા કરીને રાજકીય રીતે સમાજની ભૂમિકા વધારવા અને સમાજને આર્થિક રીતે મજબૂત બનાવવા તરફ પ્રયાણ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે.
વ્યસનમુક્તિ અભિયાન : ઠાકોર સમાજ દ્વારા દારૂના વેચાણ અને સેવન પર કડક પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. દારૂ પીનારા કે વેચનારને 11,000 રૂપિયાનો દંડ અને સમાજમાંથી બહિષ્કારની સજા નક્કી કરવામાં આવી છે.
સમૂહ લગ્ન અને પહેરામણી પ્રથાનો અંત : સમાજે વર્ષમાં બે વાર સમૂહ લગ્નનું આયોજન કરવાનો નિર્ણય લીધો છે. જાન્યુઆરી 2026માં 21 દીકરીઓના કન્યાદાન માટે માત્ર 1 રૂપિયાની ટોકન ફી લેવામાં આવશે. ઉપરાંત, પહેરામણી પ્રથાને નાબૂદ કરીને માત્ર 11 રૂપિયાની પહેરામણી લેવાની અપીલ કરવામાં આવ્યું છે.
શિક્ષણ અને સ્વરોજગાર : મહિલા સ્વરોજગારી અને દીકરીઓના શિક્ષણનું સ્તર સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. વિદેશમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આર્થિક સહાય પૂરી પાડવાની યોજના પણ ચર્ચા કરવામાં આવી હતી.
આર્થિક સહાય : જરૂરિયાતમંદ પરિવારોને 21,000 રૂપિયાની આર્થિક સહાય અને યુવાનોને વ્યવસાય શરૂ કરવા માટે સમાજ તરફથી મદદ આપવાનો નિર્ણય લેવાયો છે.



















Recent Comments