ગુજરાત

“ના ખાઉંગા, ના ખાને દુંગા” પ્રધાનમંત્રીના સુત્રને સાર્થક કરી બતાવો, ૧૦૦ કરોડના વ્યાપક ભ્રષ્ટાચારની વિજીલન્સ તપાસ કરાવો : અમિત ચાવડા

● તપાસમાં ઘરના ભુવા, ઘરના જાગરિયા, ભ્રષ્ટાચાર જેની નજર સામે થયો એવા તાલુકા વિકાસ અધિકારીને તપાસ કેમ સોંપાઈ? : અમિત ચાવડા
● મંત્રીના પરિવારના લોકો સીધી રીતે સંડોવાયેલા હોઈ વિજિલન્સ તપાસ માટે સરકાર ચુપ કેમ? : અમિત ચાવડા
● ભાજપના કાર્યકરો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જ ભાષણોને ધોઈને પી ગયા છે, હવે હજાર – લાખ નહી, કરોડોના જ ભ્રષ્ટાચાર કરતા થઈ ગયા : અમિત ચાવડા

ગુજરાત વિધાનસભામાં આજે દાહોદ જિલ્લામાં ગરીબોની મનરેગા યોજનામાં થયેલા ૧૦૦ કરોડ રૂપિયાના ભ્રષ્ટાચાર મુદ્દે ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શ્રી અમિત ચાવડાએ પ્રશ્ન પૂછ્યો હતો જેમાં સરકારે ૧૦૦ કરોડના ભ્રષ્ટાચારમાં મંત્રીના નજીકના લોકોની સંડોવણી હોય, તપાસના નામે કેસનું પોટલું વાળવા, ભ્રષ્ટાચારની તપાસ ટીડીઓ કક્ષાના અધિકારીને સોંપી છે.
આ મુદ્દે શ્રી અમિત ચાવડાએ જણાવ્યું કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં હતા ત્યારે ભાષણો કરતા હતા કે “હું ખાતો નથી ને ખાવા દેતો નથી” પરંતુ, તેમના ગુજરાતના અનુયાયી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જ ભાષણોને ધોઈને પી ગયા છે, હવે હજાર-લાખ નહી, આ લોકો હવે કરોડોના જ ભ્રષ્ટાચાર કરતા થઈ ગયા છે અને હવે ગરીબોની બેલી યોજના એવી મનરેગા ને પણ નથી છોડતાં.
વધુમાં શ્રી અમિત ચાવડાએ જણાવ્યું કે જે મનરેગા યોજનાને ભાંડવામાં કશું જ બાકી નહોતા રાખતા એ મનરેગા યોજના રોજગાર આપનારી વિશ્વની શ્રેષ્ઠ યોજના છે એવું આખા વિશ્વએ સ્વીકાર્યું છે. મનરેગા યોજના ૧૦૦ દિવસ રોજગારી આપનારી યોજના છે, પણ ગુજરાતમાં દાહોદના લોકો એમ કહે છે કે મનરેગા યોજના ૧૦૦ દિવસ રોજગારી આપનારી યોજના તો બરાબર પણ, ૧૦૦ કરોડનો ભ્રષ્ટાચાર આ યોજનામાં દાહોદ જિલ્લામાં થયો છે. એ અંગે લોકોએ વારંવાર પહેલા પણ ફરિયાદો કરી છે, અમે પણ સરકારને વારંવાર લેખિતમાં અને સ્થળ પરની હકીકતોના એફોડેવીટ સાથે રજુઆતો કરી છે, તેમ છતાં પણ સરકાર પોતાના મંત્રીઓ અને મળતીયાઓને બચાવવાના પ્રયત્નો કરી રહી છે.
અમિત ચાવડાએ જણાવ્યું કે આજે વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં ૮ નંબરના પ્રશ્નમાં દાહોદ જિલ્લામાં મનરેગા યોજનામાં જે ગેરરીતિઓ છે એ બાબતે પ્રશ્ન પૂછવામાં આવ્યો. જેમાં સરકારે પણ સ્વીકાર્યું છે કે અનેક ફરિયાદો મળી છે. પરંતુ, આ ફરીયાદોની તપાસ કોણ કરે? તો સરકારે જવાબ આપ્યો છે કે તાલુકા વિકાસ અધિકારી દ્વારા મોટાભાગની ફરીયાદોની તપાસ કરવામાં આવી, જેની સામે ભ્રષ્ટાચાર, ગેરરીતિમાં સામેલ હોવાની ફરિયાદો હોય, જેની આંખો નીચે, જેના મેળાપીપણાથી ફરિયાદો અને ભ્રષ્ટાચાર થયો હોય એ જ લોકો એની તપાસ કરે તો એમાં શું નીકળવાનું?
યોજનામાં થયેલા ભ્રષ્ટાચાર મુદ્દે મંત્રીએ આક્ષેપ કર્યો છે કે આજે વિધાનસભામાં અમે માંગણી કરી કે જાન્યુઆરી મહિનામાં લેખિત પુરાવા સાથે દાહોદ જીલ્લાના દેવગઢ બારિયા, ધાનપુર તાલુકા, ફતેપુરા વિસ્તારમાં ૧૦૦ કરોડ રૂપિયા કરતા વધારેનો ભ્રષ્ટાચાર થયો છે એની તપાસ રાજ્ય સરકાર કરાવે, અને આ તપાસ ત્યાંના સ્થાનિક અધિકારીઓ દ્વારા જો કરવામાં આવે તો પોતે જ સંડોવાયેલા છે એટલે એમાં કશું જ નથી નીકળવાનું, તો આ તપાસ રાજ્ય સરકાર વિજીલન્સ મારફત કરાવવા માંગે છે કે કેમ? તો સરકારે જવાબમાં ના પાડી કે વિજીલન્સ મારફત તપાસ નથી કરવી એનો સ્પષ્ટ મતલબ છે કે મંત્રીના મળતિયાઓ, કે જેમની સામે સ્પષ્ટ આક્ષેપો, પુરાવાઓ છે, એ રાજ કન્સ્ટ્રકશન હોય, રાજ ટ્રેડર્સ હોય એવી જે એજન્સીઓ છે જેમાં મંત્રીના પરિવારના લોકો સીધી રીતે સંડોવાયેલા છે એ એજન્સીઓએ કામ કર્યા વગર કરોડો રૂપિયાના બીલો એને ચુકવવામાં આવ્યા છે, પૈસા ઉપાડી લેવામાં આવ્યા છે એની તપાસ આ સરકાર કરાવવા માંગતી નથી.
શ્રી અમિત ચાવડાએ જણાવ્યું કે જયારે કોંગ્રસની ટીમ આ સ્થળોની તપાસ કરવા ગઈ ત્યારે સ્થળ પર કામો નહોતા, રાતોરાત ત્યાં બોર્ડ મૂકી દઈને કામો થઇ ગયા હોય તેવા પુરાવા ઉભા કરવાનો પણ પ્રયત્ન થયો છે. આ જે બોર્ડ મુકવામાં આવ્યા છે તેમાં સ્પષ્ટ બતાવે છે કે એમાં કામ ક્યારે પૂર્ણ થયું તેની તારીખ પણ નથી, એની બાકીની વિગતો પણ લખવામાં નથી આવી. એનો સ્પષ્ટ મતલબ છે કે સરકાર પોતાના મળતિયાઓ, મંત્રીના આશીર્વાદથી જે પરિવારના સભ્ય મનરેગા યોજનામાં દાહોદ જિલ્લામાં ભ્રષ્ટાચાર કરી રહ્યા છે એની વિજીલન્સ તપાસ કરવા માંગતી નથી. અમે સરકારને ચેલેન્જ કરીએ છીએ કે જો તમે સાચા હોય, ખાતો નથી ને ખાવા દેતો નથી એ સુત્ર વડાપ્રધાનનું સાર્થક હોય તો વિજીલન્સ મારફત દાહોદ જીલ્લાના મનરેગાના કામોની તપાસ કરાવો. ધાનપુર, દેવગઢ બારિયા, ફતેપુરા હોય કે જે તાલુકામાં વધારેમાં વધારે ફરિયાદો મળી છે, અને જે મંત્રી અને એના પરિવારના લોકો સામે સીધા આક્ષેપો છે એમણે પણ પોતે જો સાફ હોય સામે આવીને કહેવું જોઈએ કે વિજીલન્સની તપાસ અમે તપાસ માટે તૈયાર છીએ. વિજીલન્સ જયારે પણ તપાસ કરવા આવે ત્યારે કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો પુરાવા સાથે સ્થળ પર તપાસમાં એમને સહયોગ આપવા તૈયાર છે. ત્યારે સરકાર પાસે ફરી માંગણી કરીએ છીએ કે જો પારદર્શક વહીવટ હોય, ભ્રષ્ટાચાર ના થયો હોય, કોઈપણ મંત્રી કે એમના પરિવારની સંડોવણી ના હોય તો દાહોદ જીલ્લાના મનરેગાના કામોની વિજીલન્સ તપાસ કરાવો એવી માંગણી કરીએ છીએ.

Related Posts