રાષ્ટ્રીય

હકીકતે પાકિસ્તાન દિવસેને દિવસે લાચારીમાં ધકેલાઇ રહ્યું છે

ભારતના અભિન્ન અંગ એવા જમ્મુ કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકોના મોત થયા હતા. ત્યારબાદથી ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ છે. એક તરફ ભારતીય નૌસેના યુદ્ધાભ્યાસ કરી રહી છે, ત્યારે બીજી તરફ તૂર્કિયેનું એક યુદ્ધ જહાજ TCG Büyükada પાકિસ્તાનના કરાચી બંદર પર પહોંચ્યું છે, જેને બંને દેશો વચ્ચે દરિયાઈ સહયોગ વધારવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું ગણવામાં આવી રહ્યું છે.

પાકિસ્તાની નૌસેનાના અનુસાર, ‘આનો ઉદ્દેશ્ય પાકિસ્તાન અને તૂર્કિયેની નૌસેના વચ્ચે વ્યાવસાયિક સંકલન અને વ્યૂહાત્મક સહયોગ વધારવા માટે. કરાચી પહોંચતા જ પાકિસ્તાની અને તૂર્કિયેના અધિકારીઓ દ્વારા તૂર્કિયેના યુદ્ધ જહાજનું સ્વાગત કરવામાં આવ્યું.’

કરાચીમાં TCG Büyükada ના રોકાણ દરમિયાન તેના ક્રૂ પાકિસ્તાન નૌકાદળના અધિકારીઓ સાથે વિવિધ પ્રોફેશનલ ગતિવિધિઓમાં ભાગ લેશે. આ વિકાસ ભારત માટે મહત્ત્વપૂર્ણ છે કારણ કે જ્યારે દિલ્હીમાં પાકિસ્તાનને આતંકવાદી હુમલાનો જવાબ આપવા માટે વ્યૂહરચના બનાવવામાં આવી રહી છે, ત્યારે આવા સંરક્ષણ સંપર્કો પ્રાદેશિક સંતુલન અંગે નવી ચિંતાઓ ઉભી કરી શકે છે.

આતંકવાદને પોષવા માટે પાકિસ્તાન પર દુનિયાભરમાંથી માછલા ધોવાઇ રહ્યા છે. અને આતંકવાદ સામે કોઇ નિર્ણાયક કામગીરી નહીં કરવાના કારણે અન્ય દેશો તેનો ભોગ બની રહ્યા છે. બીજી તરફ ભારત આરપારની લડાઇ માટે સજ્જ બન્યું છે. અને એક પછી એક વ્યુહાત્મક નિર્ણયો લઇને પાકિસ્તાનને વધુમાં વધુ હાંસિયામાં ધકેલી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, કે તૂર્કિયે લાંબા સમયથી પાકિસ્તાનનો વ્યૂહાત્મક ભાગીદાર રહ્યો છે. તેણે પાકિસ્તાનની સબમરીનને આધુનિક બનાવવામાં મદદ કરી છે અને લશ્કરી ડ્રોન સહિત અન્ય સંરક્ષણ સાધનો પૂરા પાડ્યા છે. બંને દેશો વચ્ચે નિયમિત સંયુક્ત લશ્કરી કવાયતો પણ થઈ છે. જ્યારે, ભારત અને તૂર્કિયે વચ્ચે તણાવપૂર્ણ સંબંધો છે. 

Related Posts