ગુજરાત

સાબર ડેરી દ્વારા ભાવફેરમાં પશુપાલકોને અન્યાય મામલે અરવલ્લી જિલ્લાના ગામોના પશુપાલકો દૂધ મંડળીમાં દૂધ ન ભરીને રસ્તા પર ફેંક્યું

થોડા દિવસ અગાઉ સાબર ડેરી દ્વારા ભાવફેરમાં પશુપાલકોને અન્યાય મામલે પોલીસ અને પશુપાલકો વચ્ચે ઘર્ષણ થયું હતું. તે પછી હવે અરવલ્લી જિલ્લાના મેઢાસણ, ખંભીસર, હફસાબાદ, સીણાવાડ સહિત બુટાલ, કોલવડા, નવાગામ અને આકરૂન્દ ગામોના પશુપાલકો દૂધ મંડળીમાં દૂધ ન ભરીને રસ્તા પર ઢોળી રહ્યા છે. જ્યારે શીણાવાડ, ખંભીસર સહિતના કેટલાય ગામોમાં સાબર ડેરીના ચેરમેન, ડિરેક્ટરોની નનામી કાઢી અંતિમ વિધી કરીને પણ વિરોધ કરાયો હતો.
સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાની સાબરડેરીમાં ગત વર્ષે સંચાલક મંડળ દ્વારા ૧૪ તાલુકાના સભાસદોને ૧૭ ટકા મુજબ ૬૦૨ કરોડ રૂપિયાના દૂધ ભાવ ફેર નફો વહેંચવામાં આવતો હતો. ગમે તે કારણોસર કે પછી કથિત બાકી ઓડિટના નામે ચાલુ વર્ષે જુલાઈ માસમાં મોડે મોડે સાબર ડેરીના શાસકો દ્વારા ૯.૭૫ ટકા મુજબ ૩૫૦ કરોડ રૂપિયાની જાહેરાત કરાઈ હતી. આ સાથે જ આ વર્ષે ૭.૨૫ ટકા નફો ઓછો જાહેર કરાતાં કે ૨૫૨ કરોડ રૂપિયા ઓછા ચૂકવાતા લાખો સભાસદોમાં છુપો અસંતોષ વર્તાયો હતો.
ત્યારબાદ તેમની આ કચવાટની લાગણીને કેટલાક સહકારી નેતાઓ, રાજ નેતાઓ એ નેતૃત્વ પુરૂ પાડતાં રવિવારના રોજ સાબર ડેરીએ એકઠા થયેલા હજારો દૂધ મંડળીના સભાસદો, પશુપાલકોમાં ભારોભાર આક્રોશ જાેવા મળ્યો હતો અને જાેતજાેતામાં આ આક્રોશે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં સભાસદો અને પોલીસ વચ્ચે ધર્ષણ સર્જાયું હતું. ભારે પથ્થરમારા સામે ટીયર ગેસ સેલ છોડાતાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. પરિણામે એક ખેડૂતનું મોત નિપજ્યું હતું અને કેટલાય પશુપાલકોની અટકાયત કરાઈ હતી.
સતત ત્રીજા દિવસે મંડળીઓએ સભાસદોને દૂધ ન ભરાવી રસ્તા ઉપર ઢોળ્યું હતું. આ સિવાય અનેક જગ્યાએ સાબર ડેરીના ચેરમેન સહિત સ્થાનિક ડિરેક્ટરોના છાજીયા લઈ વિરોધ કરવામાં આવ્યો હતો.

Related Posts