જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે, જેને ધ્યાને રાખી ભારતીય વાયુસેના ભારત-પાકિસ્તાન સરહદના દક્ષિણ ભાગમાં મોટાપ્રમાણમાં હવાઈ હુમલાનો અભ્યાસ કરશે. ભારતે પાકિસ્તાન સરહદ પર યુદ્ધાભ્યાસ માટે NOTAM એટલે કે નોટિસ ટૂ એર મિશન સિસ્ટમ જાહેર કર્યું છે.
આજે દેશભરનાં 244 જિલ્લાઓમાં એક મોક ડ્રીલ યોજાવાની છે, તેથી નોટમને તેનો જ ભાગ હોવાનું કહેવાઈ રહ્યું છે. નોટમ એટલે કે નોટિસમાં કોઈપણ એરોનોટિકલ સુવિધા, સેવા, પ્રક્રિયા અથવા જોખમની સ્થાપના, સ્થિતિ અથવા ફેરફાર સંબંધીત માહિતી હોય છે. આવતકાલે પાકિસ્તાન સરહદ પાસેના અનેક જિલ્લાઓમાં મોક ડ્રિય યોજાઈ શકે છે, આવી સ્થિતિમાં ભારતે પહેલાથી જ નોટમ જારી કરીને તમામને સાવચેત કરી દીધા છે.
ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલ આતંકવાદીઓએ આડેધડ ગોળીબાર કરી 26 લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા, જેમાં મોટાભાગે પ્રવાસીઓ હતા. આ ઉપરાંત હુમલામાં 17 લોકો પણ ઈજાગ્રસ્ત થયા હતા. હુમલા બાદ ભારત સરકારે આતંકી સંગઠનોને આશ્રય આપતા પાકિસ્તાન વિરુદ્ધ આકરી કાર્યવાહી કરી છે. ભારતે સિંધુ જળ કરાર સસ્પેન્ડ કરવાની સાથે પાકિસ્તાન સાથે વિઝા સહિતના તમામ વ્યવહારો બંધ કરી દીધા છે, જ્યારે પાકિસ્તાને પણ ભારત માટે પોતાની એરસ્પેસ બંધ કરવાના સહિતના નિર્ણય લીધા છે. બંને દેશો વચ્ચે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે, ત્યારે ભારત સરકારે તાજેતરમાં જ તમામ રાજ્યોને મોક ડ્રીલ યોજવાના આદેશ આપ્યા છે. આ દરમિયાન હવાઈ હુમલાની ચેતવણીની સાયરન, કંટ્રોલ રૂમ, વાયુસેના દ્વાર હૉટલાઈન અને અગ્નિશામક સહિત મહત્ત્વની સેવાઓ ચકાસાશે.





















Recent Comments