અમરેલી

જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરિમલ પંડ્યાના અધ્યક્ષ સ્થાને અમરેલીની આર્ય ભટ્ટ અંગ્રેજી માધ્યમ શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાયો

 કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવના આજે ત્રીજા દિવસે અમરેલી જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત આર્ય ભટ્ટ અંગ્રેજી માધ્યમ શાળા શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરિમલ પંડ્યના અધ્યક્ષ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં બાલવાટિકાના ભૂલકાઓ અને ધો.૦૧માં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓને ઉત્સાહભેર શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.
જિલ્લા વિકાસ અધિકારીશ્રીના અધ્યક્ષ સ્થાને બાલવાટિકાના ૩૩ ભૂલકા અને ધો. ૦૧ના ૦૫ વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ અપાવી અને તેમની વિદ્યાયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો.
વિદ્યાર્થીઓના ઘડતરમાં વાલી અને શિક્ષકોનો સમાંતર ફાળો છે તેમ જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ જણાવ્યુ હતુ. બાળકનું પ્રથમ ઘડતર માતા કરે છે અને તેનો સર્વાંગી વિકાસ શિક્ષકો દ્વારા થાય  છે. વિદ્યાર્થીઓને અભ્યાસ ઉપરાંત કળા, રમતગમત સહિત વિવિધ ઈત્તર પ્રવૃત્તિઓમાં અને સ્પર્ધાઓમાં તેમને જોડવા જોઈએ.    
રાજ્ય સરકારના શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ વિશે કહ્યુ કે, ‘રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય વિભાગના માધ્યમથી તમામ શાળાઓમાં આરોગ્ય તપાસણી કરવામાં આવે છે. આ તપાસણી દરમિયાન કોઈ વિદ્યાર્થીને ગંભીર બીમારી જણાઇ આવે તો તેની સંપૂર્ણ સારવાર રાજય સરકાર દ્વારા કરવામાં આવતા વિદ્યાર્થીના વાલીઓને તે સારવાર નિઃશુલ્ક થાય છે. આમ, રાજ્ય સરકાર વિદ્યાર્થીના અભ્યાસ સાથે આરોગ્યની કાળજી પણ રાખે છે.
આ પ્રસંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અધ્યક્ષ શ્રી તુષારભાઈ જોશીએ પ્રાસંગિક ઉદ્ધબોધન કર્યુ હતું. તેમણે જણાવ્યુ કે, સમગ્ર જિલ્લામાં આ એકમાત્ર શાળા શિક્ષણ સમિતિના સંચાલિત સરકારી અંગ્રેજી માધ્યમની શાળા છે. ૭૮ વિદ્યાર્થીઓના પ્રવેશ દ્વારા વર્ષ ૨૦૨૨માં શરુ થયેલી આ શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા અત્યારે ૨૦૪ છે અને વધુ પ્રવેશ માટે પણ કતાર છે.
શાળાએ વિવિધ પ્રવૃત્તિઓમાં ઉતકૃષ્ટ દેખાવ કરી અને ગત વર્ષના ગુણોત્સવમાં A++ ગ્રેડ પ્રાપ્ત કરી અને વિદ્યાથીઓનો સર્વાંગી વિકાસ કર્યો છે. કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) અને અન્ય સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓનું આ પ્રસંગે સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું. કાર્યક્રમમાં નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના વાઇસ ચેરમેન શ્રી ડી. સી. ગોલ, શાસનાધિકારી શ્રી જોશી, શાળાના આચાર્યશ્રી, એસ.એમ.સીના સભ્યો, વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts