સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી-૨૦૨૫ – તા.૧૬ ફેબ્રુઆરી-રવિવારે મતદાન

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય, મધ્યસત્ર કે પેટા ચૂંટણીઓ તા.૧૬ ફેબ્રુઆરી, ૨૦૨૫ને રવિવારના રોજ યોજાશે. લોક પ્રતિનિધિત્વ ધારા-૧૯૫૧ની કલમ-૧૩૫ (બી)(૧), કારખાના ધારા-૧૯૪૮ હેઠળના ઔદ્યોગિક એકમો, કારખાના, બિલ્ડિંગ એન્ડ અધર કન્સ્ટ્રકશન વર્કસ એક્ટ-૧૯૯૬ અન્વયે કામ કરતા અને સાઈટ પર કામ કરતા હોય તેવા શ્રમયોગીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે તા.૧૬ ફેબ્રુઆરી, ૨૦૨૫ને રવિવાર – મતદાનના દિવસે તેમને સવેતન રજા આપવી.
આ જોગવાઈ અનુસાર રજા જાહેર કરવાના કારણે સંબંધિત શ્રમયોગીઓ કે કર્મચારીઓના પગારમાંથી કોઈ કપાત કરવી નહિ. રજાના કારણે જો શ્રમયોગી કે કર્મચારી પગાર મેળવવાનો હક ન ધરાવતો હોય તેવા સંજોગોમાં જે તે વ્યક્તિ રજા જાહેર ન થઈ હોય અને જે પગાર મળવા પાત્ર થતો હોય તેટલો પગાર ચૂકવવાનો રહેશે.
જે મતદારની ગેરહાજરીથી કામગીરીમાં જોખમ સર્જાઇ તેવી સંભવના હોય અથવા જે વ્યવસાય અને રોજગાર સાથે સંકળાયેલા હોય તે રોજગારમાં મોટા પ્રમાણમાં વ્યાપક નુકસાન થવા સંભવ હોય તેવા કિસ્સામાં અથવા સતત પ્રક્રિયાવાળા કારખાનામાં કામ કરતાં શ્રમયોગીઓ કે કર્મચારીઓ તેમના મત આપવાનો અધિકાર ભોગવી શકે તે માટે તેમની ફરજના સમયમાંથી મતદાનના સમયગાળા દરમિયાન ઓછામાં ઓછા ત્રણ થી ચાર કલાક મતદાન માટે સવેતન રજા આપવી.
જો કોઈ કારખાનેદાર માલિક કે નોકરી દાતા આ જોગવાઈ થી વિરુદ્ધ વર્તન કરશે તો ઉક્ત કાયદા હેઠળ શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે, તેમ જૂનાગઢ ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરીના નાયબ નિયામકશ્રીએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
Recent Comments