લોકમુખે ચઢેલી વાત મુજબ, ગુજરાતમાં અષાઢી બીજ એટલે રથયાત્રાનો પવિત્ર દિવસ, જેની સાથે ચોમાસાની શરૂઆતની પરંપરા પણ જાેડાયેલી છે. કચ્છના લોકોમાં એવી માન્યતા છે કે અષાઢી બીજના દિવસે વરસાદ થવો એ સારા ચોમાસાનો સંકેત છે. આ વર્ષે મેઘરાજાએ આ મુહૂર્તને સાચું પાડીને લોકોની આશાઓને નવું બળ આપ્યું છે.
ગઈકાલે અષાઢી બીજના દિવસે સવારથી રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં મેઘરાજાની અસર જાેવા મળી રહી છે. જ્યારે આજે ૨૮ જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જુનાગઢ જીલ્લાનાં માળિયા હાટીનામાં ૬ ઈંચ જેટલો વરસાદ નોંધાતા તાલુકાનાં અનેક ગામો ડૂબી ગયા હતા. ગુજરાતનાં ૨૧૫ તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. આજે સવારે ૬ થી ૧૦ વાગ્યા સુધીમાં ૪૯ તાલુકામાં અડધા ઈંચ જેટલો વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડકથી લોકોને હાશકારો થયો હતો.
હવામાન વિભાગ દ્વારા આજે (૨૮ જૂન) શનિવાર માટે રાજ્યના ૨૮ જિલ્લામાં ઍલર્ટ જાહેર કરાયું છે જેમાં કચ્છ, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ જિલ્લામાં રેડ ઍલર્ટ જાહેર કર્યુ છે. જ્યારે આગામી ૧ જુલાઈ સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં અને ૨-૩ જુલાઈ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. ચાલો જાણીએ આગામી ૬ દિવસ ક્યા-કેવો રહેશે વરસાદી માહોલ.
છેલ્લા ૨૪ કલાકમાં મેઘરાજાએ ધબડાટી બોલાવતા જૂનાગઢમાં ૬ ઇંચ ,ગીર સોમનાથમાં ૫ ઈંચ તથા સાબરકાંઠામાં ૬ ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે નવસારી ૩ ઇંચ, વલસાડ ૨ ઇંચ, અમરેલી ૩ ઇંચ, દેવભૂમિ દ્વારકા ૩ ઇંચ, પોરબંદર ૩ ઇંચ, જામનગર , છોટાઉદેપુર , પાટણ, અરવલ્લી તથા મોરબી અઢી ઇંચ, બનાસકાંઠા અને મહેસાણા ૪ ઇંચ વરસાદ ખાબક્યો છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, આવતીકાલે (૨૯ જૂન) કચ્છ, બનાસકાંઠા, જામનગર, દેવભૂમિ દ્વારકામાં ઑરેન્જ ઍલર્ટ અને રાજકોટ, મોરબી, પાટણ, સાબરકાંઠા, નવસારી, વલસાડ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યુ છે.
૩૦ જૂનના રોજ કચ્છ, અમરેલી, ગીર સોમનાથ, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, છોટા ઉદેપુર, નર્મદા, જૂનાગઢ, પોરબંદર જિલ્લામાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદનું ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
૧ જુલાઈની આગાહી
૧ જુલાઈના રોજ નવસારી, વલસાડમાં ઑરેન્જ ઍલર્ટ અને અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, નર્મદા, સુરત, તાપી, ડાંગ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કરાયું છે.
૨ જુલાઈની આગાહી
આગામી ૨ જુલાઈથી રાજ્યભરમાં વરસાદનું જાેર વધતું જાેવા મળશે. ૨ જુલાઈએ ૨૦ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેમાં અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર જિલ્લામાં અતિભારે વરસાદનું ઑરેન્જ ઍલર્ટ અને કચ્છ, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, અમરેલી, ભાવનગર જિલ્લામાં ભારે વરસાદનું હવામાન વિભાગે યલો ઍલર્ટ જાહેર કર્યું છે.
૩ જુલાઈના રોજ ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, મહેસાણા, પાટણ જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ અને કચ્છ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, બોટાદ, ભાવનગર, અમરેલી જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
સરદાર સરોવર નર્મદા ડેમમાં હાલ પાણીની આવક ૨૮,૫૭૮ ક્યુસેક થઈ રહી છે. અને ડેમની સપાટી ૧૧૮.૮ મીટર નોંધાઈ છે. જ્યારે રીવર બેડ પાવર હાઉસથી ૩૪,૭૫૦ ક્યુસેક તથા કેનાલ હેડ પાવર હાઉસથી ૪૫૫૦ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ૪૬૪૩.૭૬ એમસીએમ પાણીના જથ્થાનું સ્ટોરેજ છે. ડેમની મહત્તમ સપાટી ૧૩૮.૬૮ મીટર છે.
હવામાન વિભાગની આગામી ૩ જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી; રાજ્યના ૨૮ જિલ્લામાં ઍલર્ટ

Recent Comments