અમરેલી

અમરેલીના ભાયાવદર મુકામે અંદાજે રૂ. ૩૦ લાખના ખર્ચે પુરસંરક્ષણ દિવાલના વિકાસકામનું ખાતમુહૂર્ત કરતાં ઊર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયા

આજરોજ અમરેલીના ભાયાવદર, વાવડી અને વાવડીરોડ ખાતે ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે વિવિધ વિકાસકામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ભાયાવદર મુકામે કુલ રૂ. ૩૦ લાખના ખર્ચે પુરસંરક્ષણ દિવાલ બનાવવામાં આવશે, જેના થકી ચોમાસા દરમિયાન ગ્રામજનોને પુર સંકટનો સામનો કરવામાં મદદ મળશે.

વાવડી-ચોંકી-સનાળા-લાખાપાદર-ઈશ્વરીયા રોડ ઉપર કુલ ૪ નવા સ્લેબ ડ્રેઈન બનાવવામાં આવશે. માર્ગ અને મકાન વિભાગ રાજ્ય દ્વારા આ કામગીરી અંદાજે રૂ. ૨ કરોડથી વધુના ખર્ચે કરવામાં આવશે. આ ઉપરાંત વાવડીરોડ ખાતે હાલમાં ૨ તળાવ હયાત છે. જેમાં પાણીનો સંગ્રહ સારી રીતે થઈ શકે અને ખેડૂતોને જળ સંચયનો લાભ મળે તે માટે બંને તળાવના રીનોવેશનની કામગીરી કુલ રૂ. ૨૨ લાખના ખર્ચે હાથ ધરવામાં આવશે. આ કામગીરીનું પણ રાજ્યમંત્રીશ્રીએ ખાતમુહૂર્ત કર્યું હતું. ઉપરાંત તાલાળી મુકામે અંદાજે રૂ. ૨૫ લાખના ખર્ચે નવું પંચાયત ભવન આકાર પામશે. રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ કામગીરીનું ખાતમુહૂર્ત સંપન્ન કરવામાં આવ્યું હતું.

ભાયાવદર, વાવડી અને વાવડીરોડ અને તાલાળી મુકામે વિવિધ વિકાસકામોના ખાતમુહૂર્ત પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કિશોરભાઈ કાનપરીયા, તાલુકા પંચાયત સભ્યશ્રીઓ, ગ્રામ પંચાયતના સરપંચશ્રી અને સભ્યશ્રીઓ, સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts