લોકભારતી અને ફ્રાન્સની તપોવન વિશ્વવિદ્યાલય વચ્ચે થયાં સમજૂતી કરાર
સણોસરા સ્થિત લોકભારતી વિશ્વવિદ્યાલય અને ફ્રાન્સની તપોવન વિશ્વવિદ્યાલય વચ્ચે વિદ્યાર્થીઓ અને અધ્યાપકોનું આદાન પ્રદાન થશે, આ માટે સંસ્થાઓનાં વડા શ્રી અરુણભાઈ દવે અને શ્રી કિરણભાઈ વ્યાસનાં નેતૃત્વમાં વસંત પંચમી પર્વે સમજૂતી કરાર સંપન્ન થયાં છે.ગોહિલવાડ અને ગુજરાતની ગૌરવરૂપ શિક્ષણ કેળવણી સંસ્થા સણોસરા સ્થિત લોકભારતી ( યુનિવર્સિટી ) અને ફ્રાન્સની તપોવન ( યુનિવર્સિટી ) વચ્ચે અભ્યાસકાર્ય વિસ્તરણ હેતુ વિદ્યાર્થીઓ અને અધ્યાપકોનું આદાન પ્રદાન થશે. લોકભારતીનાં વડા શ્રી અરુણભાઈ દવે અને તપોવનનાં વડા શ્રી કિરણભાઈ વ્યાસે પરસ્પર અભિનંદન પાઠવીને શુભેચ્છાઓ પાઠવી. સંસ્થાઓનાં વડાઓનાં નેતૃત્વમાં આ માટે વસંત પંચમી પર્વે સમજૂતી કરાર થયાં સંપન્ન થયાં છે.
પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિ, શિક્ષણ, સંગીત, સાહિત્ય અને અધ્યાત્મના સેતુ ગણાતા એવા પદ્મ શ્રી કિરણભાઈ વ્યાસ અને સાથી પ્રતિનિધિઓ લોકભારતીની ખાસ મૂલાકાતે આવ્યા હતાં અને આ શૈક્ષણિક સંપર્ક જોડાયો છે.પોંડીચરીના વિશ્વવિખ્યાત શ્રી અરવિંદ આશ્રમ શિક્ષણ કેન્દ્રના તેજસ્વી વિદ્યાર્થી ૮૧ વર્ષીય શ્રી કિરણભાઈ વ્યાસ છેલ્લા પાંચેક દાયકાથી ફ્રાન્સમાં રહી યુરોપના દેશોમાં યોગ, ધ્યાન, ભારતીય સંસ્કૃતિ અને આયુર્વેદનો વૈજ્ઞાનિક રીતે પ્રચાર-પ્રસાર કરી રહ્યા છે. યુનેસ્કો સહિતની વિશ્વની અનેક શૈક્ષણિક અને સાંસ્કૃતિક સંસ્થાઓ સાથે સક્રિય રીતે જોડાયેલ છે. ભારત સરકાર દ્વારા ‘પદ્મશ્રી’ સન્માનિત છે. ફ્રેંચ અને અંગ્રેજીમાં પચાસેક જેટલાં પુસ્તકો લખનાર અભ્યાસુ–ચિંતક દ્વારા ફ્રાન્સનાં પ્રસિદ્ધ ઐતિહાસિક સ્થળ નોરમેન્ડી વિસ્તારમાં ‘તપોવન ઓપન યુનિવર્સિટી ઓફ યોગા એન્ડ આયુર્વેદા’ સ્થાપના કરેલી છે.
આ ફ્રેંચ પ્રતિનિધિઓ લોકભારતીની મુલાકાત દરમિયાન અહીની વિચારધારા અને પ્રવૃત્તિઓથી પ્રભાવિત થયા અને સાથે આવેલ સુશ્રી કુરીનજીએ અહોભાવ વ્યક્ત કરી કહ્યું કે, એક નાનકડા ગામમાં આવું વૈશ્વિક કક્ષાનું કામ થઈ રહ્યું છે એ દિવ્ય ઘટના છે. તેમણે ભાવ વ્યક્ત કર્યો કે, બાળપણથી જેવા સ્થળની કલ્પના કરતી અને સપના જોતી એવી કોઈ જગ્યા આ પૃથ્વી પર ખરેખર હોઈ શકે એ માન્યામાં જ નથી આવતું.
આ મુલાકાત દરમિયાન બંને સંસ્થાઓ પ્રકૃતિ શિક્ષણ અને ભારતીય જીવનમૂલ્યો જેવા સમાજ હેતુઓ માટે જ કામ કરે છે ત્યારે બંનેના સંવાહકોએ સાથે મળીને સમજૂતી કરાર ( એમ. ઓ.યુ. ) કર્યા છે જેમાં વિદ્યાર્થીઓ અને અધ્યાપકો આદાન પ્રદાન કરી એકબીજાનાં દેશમાં જઈ સંયુક્ત સંશોધન તેમજ વિસ્તરણની પ્રવૃત્તિઓ હાથ ધરી શકે.આમ, લોકભારતી વિશ્વવિદ્યાલય ધીમા પણ મક્કમ પગલે વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં પોતાની આગવી ગાંધીયન વિચારશૈલીને આગળ ધપાવી રહી છે.
Recent Comments