લૉકડાઉનની મહારાષ્ટ્રના અર્થતંત્ર પર ગંભીર અસર પડશેઃ ઔદ્યોગિક સંગઠનો
દેશના વિવિધ ઔદ્યોગિક સંગઠનોએ બુધવારે ભય વ્યક્ત કર્યો હતો કે મહારાષ્ટ્રમાં લદાયેલા કડક લૉકડાઉનથી રાજ્યના અર્થતંત્રને માઠી અસર થશે.
તેમણે જણાવ્યું હતું કે સંચારબંધીથી કોરોના વાઇરસના રોગચાળાને નાથવામાં મદદ મળશે, પરંતુ તેની ઘણી ગંભીર અસર રાજ્યના અર્થતંત્ર પર પડશે. ફેડરેશન ઑફ ઇન્ડિયન ચેમ્બર્સ ઑફ કૉમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (ફિક્કી)એ જણાવ્યું હતું કે અમે મહારાષ્ટ્ર સરકારની સાથે આ બાબતમાં ચર્ચાવિચારણા કરી હતી અને અમારા સભ્યોએ નીતિ તેમ જ કામકાજના સંબંધમાં વ્યક્ત કરેલા વિચાર સરકારને જણાવ્યા હતા. ફેડરેશન ઑફ ઇન્ડિયન ચેમ્બર્સ ઑફ કૉમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના મહારાષ્ટ્ર એકમનાં અધ્યક્ષા સુલજ્જા ફિરોદિયા મોટવાણીએ જણાવ્યું હતું કે અમે માનીએ છીએ કે મહારાષ્ટ્ર સરકારે લાદેલા આ નિયંત્રણથી કોરોના વાઇરસનો રોગચાળો ફેલાતો અટકશે, પરંતુ તેની રાજ્યના અર્થતંત્ર પર ઘણી માઠી અસર થશે. અમારું સંગઠન રાજ્ય સરકારની સાથે મળીને આ અસર ઓછી કરવા પ્રયાસ કરી રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે ઔદ્યોગિક ક્ષેત્રે પુરવઠા અને માગની સ્થિતિ ચિંતાજનક છે.
મહારાષ્ટ્રમાંની અનેક કંપની રાજ્યમાં ઉત્પાદન કરીને માલ બીજા રાજ્યોમાં પહોંચાડે છે. લૉકડાઉનથી ઉત્પાદન અને તેની હેરફેરને માઠી અસર થાય છે. સુલજ્જા ફિરોદિયા મોટવાણીએ જણાવ્યું હતું કે છૂટક વેપારીઓનું કામકાજ બંધ રહેવાથી માગ ઘટશે. આ લૉકડાઉન ૩૦ એપ્રિલથી વધારે લંબાવવું ન જાેઇએ. એસૉસિયેટેડ ચેમ્બર્સ ઑફ કૉમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (એસોચેમ)એ જણાવ્યું હતું કે અમે પંદર દિવસની સંચારબંધીની અર્થતંત્ર પર પડનારી માઠી અસર ઓછી કરવા કેન્દ્ર અને રાજ્ય સરકાર સાથે મળીને કામ કરી રહ્યા છીએ. અમે ઉદ્યોગોને આ કઠિન સમયમાં રાહત આપવા સરકારને વિનંતિ કરીએ છીએ.
Recent Comments