આરબીઆઇએ તમામ બેન્કને નોટબંધી સમયના સીસીટીવી ફૂટેજ સુરક્ષિત રાખવા આદેશ કર્યા
લગભગ સાડા ચાર વર્ષ પહેલા લાગુ થયેલી નોટબંધીના પગલે રાતોરાત ૫૦૦ અને ૧૦૦૦ની નોટોને બેન કરી દેવામાં આવી હતી.નોટબંધીનો મુદ્દો ફરી ચર્ચામાં છે. કારણકે રિઝર્વ બેન્કે તમામ બેન્કોને એક મહત્વની સૂચના આપીને કહ્યુ છે કે, નોટબંધી સમયે જે પણ સીસીટીવી ફૂટેજ છે તે સુરક્ષિત રાખવામાં આવે. નાણાકીય ગરબડો અને છેતરપિંડીના કેસોની તપાસ કરી રહેલી કેન્દ્રીય એજન્સીઓને આ ફૂટેજની જરૂર પડી શકે છે. બેન્કોને નોટબંધી દરમિયાન પોતાની તમામ બ્રાન્ચ અને કરન્સી ચેસ્ટના સીસીટીવી ફૂટેજ સુરક્ષિત રાખવા પડશે.
ઉલ્લેખનીય છે કે, ૮ નવેમ્બર, ૨૦૧૬ના રોજ પીએમ મોદીએ નોટબંધીની કરેલી જાહેરાત બાદ ૫૦૦ અને ૧૦૦૦ની ચલણી નોટો રાતોરાત નકામી થઈ ગઈ હતી. આવી કુલ ૧૫ લાખ કરોડ રૂપિયાની નોટો ચલણમાં હતી. આ નોટોનુ બેન્કે શુ કર્યુ તે અંગે એક પત્રકારે જ્યારે આરટીઈ એકટ હેઠળ જાણકારી માંગી હતી ત્યારે રિઝર્વ બેન્કે કહ્યુ હતુ કે, તેનો નાશ કરવામાં આવતો હોય છે.
રિઝર્વે બેન્કે આગળ કહ્યુ હતુ કે, નોટોનો કરન્સી વેરિફિકેશન પ્રોસેસિંગ સિસ્ટમ થકી નાશ કરવામાં આવે છે અને તેના ઝીણા ટુકડા કરવામાં આવતા હોય છે. આ ટુકડાને પછી કોમ્પ્રેસ કરીને તેમાંથી ઈંટોના આકારના ટુકડા બનાવવામાં આવે છે. કેટલાક મીડિયા રિપોર્ટસમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે, આ નોટોમાંથી ફાઈલ કવર, કાર્ડબોર્ડ જેવી વસ્તુઓ પણ બનાવવામાં આવતી હોય છે.
નોટબંધી સમયે જૂની નોટો પાછી આવી તે પછી દેશભરમાં ૫૯ મશિનો દ્વારા આ નોટો અસલી છે કે નહીં તેની પહેલા ચકાસણી પણ કરવામાં આવી હતી. એ પછી ૧૫ લાખ કરોડના મૂલ્યની આ નોટોને જમા કરવામાં આવી હતી અને તેનો નાશ કરવાની પ્રક્રિયા શરૂ કરાઈ હતી.
Recent Comments