રાષ્ટ્રીય

ઓડિશામાં નક્સલીઓએ ફરી એક વખત સુરક્ષા વ્યવસ્થાને પડકારી , ઓડિશાના રાઉરકેલામાં નક્સલીઓએ દોઢ ટન વિસ્ફોટક ભરેલી ટ્રક લૂંટી લીધી

ઓડિશાના રાઉરકેલામાં નક્સલીઓના એક મોટા સમૂહ દ્વારા દોઢ ટન વિસ્ફોટક ભરેલી ટ્રક લૂંટી લીધી છે. આ ઘટના બાદ ઝારખંડ અને ઓડિશા પોલીસ એલર્ટ પર છે. આ ટ્રક રાઉરકેલાના કેબલાંગ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બાંકો પથ્થરની ખાણ તરફ જઈ રહી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે નક્સલીઓએ ટ્રકને રોકીને તેના ડ્રાઈવરને બંધક બનાવી લીધો અને ટ્રકને બળજબરીથી સારંડાના ગાઢ જંગલ તરફ લઈ ગયા. ઘટના બાદથી ઝારખંડ અને ઓડિશા પોલીસ સંપૂર્ણ એલર્ટ પર છે.
આ ઘટના બાદ નક્સલવાદ ભારતના અનેક રાજ્યોમાં એક ગંભીર પડકાર બની ગયો છે. જેમાં ખાસ કરીને છત્તીસગઢ, ઝારખંડ, ઓડિશા અને મહારાષ્ટ્રના કેટલાક હિસ્સા સામેલ છે. તાજેતરના વર્ષોમાં સુરક્ષા દળોએ નક્સલીઓ વિરુદ્ધ ઘણા સફળ ઓપરેશન ચલાવ્યા છે, જેમાં કેટલાક મોટા નક્સલી કમાંડરોને ઠાર કરી દેવામાં આવ્યા છે અને કેટલાકે આત્મસમર્પણ કરી લીધું છે.
આ મહિને ૨૧ તારીખે છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં થયેલા એક મોટા એન્કાઉન્ટરમાં નક્સલી સંગઠન ભાકપા (માઓવાદી)ના મહાસચિવ નંબાલા કેશવ રાવ ઉર્ફે બસવરાજને ઠાર કરી દેવામાં આવ્યો હતો, જેના પર કુલ ૧૦ કરોડ રૂપિયાનું ઈનામ હતું. જાેકે, માડવી હિડમા જેવા અન્ય ઘણા ખૂંખાર નક્સલીઓ હજુ પણ ફરાર છે અને સુરક્ષા દળો માટે એક મોટો પડકાર છે.
ઉલ્લેખનીય છે કે, છત્તીસગઢમાં ૨૦૨૫માં નક્સલીઓ સામે ઘણા મોટા ઓપરેશન હાથ ધરવામાં આવ્યા હતા. ૨૧ મે ૨૦૨૫ના રોજ નારાયણપુરમાં થયેલા એન્કાઉન્ટરમાં ૨૭ નક્સલીઓ માર્યા ગયા હતા, જેમાં બસવરાજ જેવા મોટા નામ સામેલ હતા. બીજાપુર અને કાંકેરમાં ૧૧૩ નક્સલીઓ માર્યા ગયા હતા, ૧૦૪ની ધરપકડ કરવામાં આવી હતી અને ૧૬૪એ આત્મસમર્પણ કરી લીધુ હતું.

Related Posts