અમરેલી

તા.૪ મેએ  અમરેલીના ૪ કેન્દ્રો પર  NEET – ૨૦૨૫ની પરીક્ષા યોજાશે

અમરેલી શહેરના ૪ કેન્દ્રો પર તા.૪ મે, ૨૦૨૫ રવિવારના રોજ NEET – ૨૦૨૫ પરીક્ષા યોજાશે. આ પરીક્ષા કેન્દ્રો પર શાંતિપૂર્ણ અને તંદુરસ્ત માહોલમાં પરીક્ષા પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે અમરેલી જિલ્લા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ હેઠળ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામુ પરીક્ષા કેન્દ્રોની ચતુર્દિશાની ચો તરફ ૧૦૦ મીટર ત્રિજ્યામાં આવેલા તમામ મકાનો તથા જગ્યા સ્થળ અને વિસ્તારમાં લાગુ પડશે.

પરીક્ષા કેન્દ્ર પર મોબાઈલ ફોન, સ્માર્ટ વોચ, બ્લુટુથ, ઇયરફોન, કેમેરા, લેપટોપ, ફેક્સ કે અન્ય પ્રકારના કોમ્યુનિકેશનના સાધનો ઈલેક્ટ્રોનિક વીજાણું યંત્રો લઈને પ્રવેશવું નહીં. તેમજ પરીક્ષા કેન્દ્રોની આસપાસ પ્રતિબંધિત વિસ્તારમાં ઝેરોક્ષ કોપી મશીનો તથા અન્ય પ્રકારના કોમ્યુનિકેશનના સાધનો પરીક્ષા સમય દરમિયાન બંધ રાખવા તેમજ પરીક્ષા સ્થળોની આસપાસના વિસ્તારમાં વિદ્યાર્થીઓને ખલેલ ન પહોંચે તે માટે લાઉડ સ્પીકર ના ઉપયોગ ઉપર પ્રતિબંધ રહેશે.

પરીક્ષાના સમય દરમિયાન પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મીટરની હદની અંદરના વિસ્તારમાં ચાર કે તેથી વધુ માણસો એકઠા થવાં પર પ્રતિબંધ છે.  પરીક્ષા કેન્દ્રોમાં પરીક્ષાર્થીઓ તથા ફરજ પરના સ્ટાફ કે અધિકૃત્ત વ્યક્તિ સિવાય અનઅધિકૃત્ત વ્યક્તિના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે. પરીક્ષાર્થી કે તેના સાથે સંકળાયેલા કોઈ પણ કર્મચારી તેઓના મોબાઈલ પરીક્ષા બિલ્ડિંગમાં લઈ જઈ શકશે નહિ. અનિવાર્ય સંજોગોમાં સ્થળ સંચાલક પોતાનો મોબાઈલ લઈ જઈ શકશે પરંતુ મોબાઈલ જે-તે સંસ્થાના આચાર્યશ્રીના રુમમાં, સેફ કસ્ટડીમાં રાખી તેનો દુરુપયોગ ન થાય તેની તકેદારી રાખવી.

આ ઉપરાંત કોઈ પણ તરકીબ વાપરી પરીક્ષાર્થીઓને પરીક્ષા વિષયક ચોરી કરવા કે કરાવવામાં સીધી કે આડકતરી મદદગારી કરવી નહિ, પરીક્ષા સંબંધી ચોરી ગણાય તેવી કોઈ પણ વસ્તુ ઈલેક્ટ્રોનિક આઈટમ/પુસ્તક, કાપલીઓ, મોબાઈલ ફોન, ઝેરોક્ષ નકલનું વહન કરવું નહિ કે કરાવવામાં મદદગારી કરવી નહિ. પરીક્ષા સ્થળના આસપાસના વિસ્તારમાં પરીક્ષાર્થીઓને ખલેલ ન પહોંચે તે માટે લાઉડ સ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધ રહેશે. પરીક્ષા દરમિયાન દરેક કેન્દ્રના સંચાલકોએ શાળામાં ઝેરોક્ષ મશીન, સ્કેનર સીલ કરીને રાખવા. 

જિલ્લા શિક્ષણાધિકારીએ આ અંગે ખરાઈ કરી અને આ બાબતનું પ્રમાણપત્ર કેન્દ્રના સંચાલક પાસેથી અચૂક મેળવી લેવું. આ હુકમ તા. ૪ મે, ૨૦૨૫ના રોજ સવારે ૧૦.૦૦ કલાકથી સાંજે ૦૬.૦૦ કલાક સુધી અમલી રહેશે. આ જાહેરનામાનો ઉલ્લંધન કરનારને ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ સજાપાત્ર છે.

જાહેરનામાના અમલ તથા તેના ભંગ બદલ પગલા લેવા અમરેલી જિલ્લા શિક્ષણાધિકારીશ્રી સંબંધિત દરેક પરીક્ષાના કેન્દ્રના કેન્દ્ર સંચાલકશ્રીઓ તથા અમરેલી જિલ્લા પોલીસ સ્ટેશનના થાણા અધિકારીશ્રીઓને અધિકૃત્ત કરવામાં આવ્યા છે.

Related Posts