અમરેલી તા.૬ મે, ૨૦૨૫ (મંગળવાર) અમરેલી જિલ્લામાં પ્રાકૃતિક કૃષિના વ્યાપ વધારવા માટે બહેનોની પણ નવીન અને અદની ભૂમિકા જોવા મળશે. મહિલાઓના નેતૃત્વના આયમોના વ્યાપમાં ઉમેરો થયો છે. હવે સખી મંડળ અને કૃષિ સાથે જોડાયેલા બહેનો પણ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની તાલીમ આપશે.
ખરીફ વાવેતર પૂર્વે જ બહેનો પ્રાકૃતિક કૃષિની તાલીમ આપે તે માટે સ્વ સહાય જૂથ એટલે કે સખી મંડળની ૪૬ બહેનોને અમરેલીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક કૃષિના વિવિધ આયામોની તાલીમ આપવામાં આવી રહી છે.
આ બહેનો પાંચ દિવસની તાલીમ મેળવ્યા બાદ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની તાલીમ આપવાનું શરુ કરશે. હાલ ૪૬ જેટલા સખી મંડળના અને કૃષિ સાથે જોડાયેલા બહેનોને પ્રાકૃતિક કૃષિના ટ્રેઇનર બનાવવા માટે તાલીમ આપવામાં આવી રહી છે.
આ બહેનોને ગામેગામ તાલીમ આપવામાં મદદરુપ થઈ શકે તે માટે એક પુરુષ કોમ્યુનિટી રિસોર્સ પર્સન પણ હશે, જે ગામે ગામ તાલીમ આયોજન કરવામાં અને તાલીમ આપવામાં મદદરુપ બનશે.
આ તાલીમ મેળવી રહેલી બહેનોને પ્રાકૃતિક કૃષિના મૂળભૂત સિદ્ધાંતોની તાલીમ આપવાની સાથે તાલીમ દરમિયાન પ્રાકૃતિક કૃષિના મોડલ ફાર્મની પણ મુલાકાત કરાવવામાં આવશે.
હાલમાં અમરેલી કૃષિ વિજ્ઞાન કેન્દ્રના હેડ અને સિનિયર સાયન્ટિસ્ટ શ્રી મીનાક્ષીબેન બારૈયાના માર્ગદર્શનમાં બહેનોને પ્રાકૃતિક કૃષિની તાલીમ આપવામાં આવી રહી છે.
નેશનલ મિશન ફોર નેચરલ ફાર્મિંગ અંતર્ગત ત્રણ ગામોનું એક ક્લસ્ટર બનાવવામાં આવ્યું છે. આ ત્રણ ગામો માટે એક બહેન અને એક પુરુષ કોમ્યુનિટી રિસોર્સ પર્સન રહેશે.
આ કોમ્યુનિટી રિસોર્સ પર્સન ગામડાઓમાં પ્રાકૃતિક કૃષિના તાલીમના આયોજનમાં મદદરુપ બનશે, જે બહેનો ખેડૂતો માટે જે તાલીમનું આયોજન કરશે તેના માટે નિયત થયેલ મહેનતાણું બહેનોને આપવામાં આવશે.
આગામી સમયમાં સખીમંડળ અને કૃષિ સાથે જોડાયેલી વધુ બહેનોને પ્રાકૃતિક કૃષિની તાલીમ આપી શકે તે માટે તૈયાર કરવામાં તે માટે પણ જરુરી આયોજન કરવામાં આવ્યું છે, તેમ આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી મહેશ ઝીડ અને ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી દિલીપ ચાવડાએ જણાવ્યુ હતુ.
કૃષિ સખી બનવા માટે બહેનો ધોરણ – ૭ પાસ, સખી મંડળના સભ્ય, પોતાની ખેતી અને પ્રાકૃતિક કૃષિમાં રસ ધરાવતા હોવા જોઈએ, તેવી જ રીતે કોમ્યુનિટી રિસોર્સ પર્સન બનવા માટે પ્રાકૃતિક કૃષિમાં રસ ધરાવવાની સાથે પોતાની જમીન અને સાત ધોરણ – ૭ પાસ હોવા જોઈએ. આમ, કૃષિ સખી અને બ્લોક રિસોર્સ પર્સન બનવા લાયકાત ધરાવનારે આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર – અમરેલીની કચેરી અથવા તાલુકા કક્ષાએ બ્લોક ટેકનોલોજી મેનેજર- આત્માનો સંપર્ક કરવાનો રહેશે.
Recent Comments