રાજ્યમાં પાણીની અછત ધરાવતા ગુજરાતના ૧૦ જિલ્લાના તમામ તાલુકાઓમાં ખેત તલાવડીમાં જીઓમેમ્બ્રેન એટલે કે ૫૦૦ માઈક્રોનના પ્લાસ્ટીક લેયર ફીટ કરી આપવાની યોજના જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગ દ્વારા અમલી બનાવાઈ છે. આ યોજના હેઠળ ગુજરાતના ૧૦ જિલ્લાના ૬૦ તાલુકાઓની કુલ ૨,૪૧૯ ખેડૂતોની અરજીઓ પારદર્શી રીતે પસંદગી કરવામાં આવી છે.
આ યોજના અંતર્ગત ૧૦ જિલ્લાઓમાં બનાસકાંઠા, મહેસાણા,પાટણ, કચ્છ, રાજકોટ, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, નર્મદા અને ડાંગનો સમાવેશ થાય છે. ખેડૂત ખાતેદારો દ્વારા આ યોજના અંતર્ગત લાભ મેળવવા માટે તા. ૫ મે સુધીમાં ઓનલાઈન અરજી મંગાવવામાં આવી હતી. આ અરજીઓનો આજે જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે ગાંધીનગર ખાતેથી ઓનલાઈન ડ્રો કરવામાં આવ્યો હતો. યોજના અંતર્ગત પસંદ થયેલા ખેડૂતોના નામની યાદી જળ સંપત્તિ વિભાગની વેબસાઈટ પર પ્રકાશિત કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ યોજનાથી અંદાજે ૧૨૫ લાખ ઘન મીટર વરસાદી પાણીનો સંગ્રહ થશે. જેના થકી ૨૫૦૦ હેકટર વિસ્તારને સપાટી જળથી સિંચાઈનો લાભ મળશે. રાજ્યમાં ભૂગર્ભ જળનું ખેંચાણ ઘટતા આ વિસ્તારોમાં ભૂગર્ભ જળની સ્થિતિમાં સુધારો થશે.
આ ઓનલાઈન ડ્રોમાં જળ સંપત્તિ વિભાગના ખાસ સચિવ શ્રી એમ. ડી. પટેલ તમામ ઝોનના મુખ્ય ઈજનેરશ્રીઓ તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments