સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયાના અધ્યક્ષ સ્થાનેથી “વિશ્વ શૌચાલય દિવસ” નિમિત્તે આપણું શૌચાલય, આપણું ભવિષ્ય અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત અમરેલી જિલ્લામાં તા.૧૯ નવેમ્બરથી તા.૧૦ ડિસેમ્બર સુધી વિશેષ ઝુંબેશ હાથ ધરીને વ્યક્તિગત તથા સાર્વજનિક શૌચાલયને સુવિધાયુક્ત બનાવવા માટે જરૂરી કામગીરી કરવામાં આવશે.
“સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ” હેઠળ ભારત સરકારના જન શક્તિ મંત્રાલય દ્વારા તા.૧૯ નવેમ્બર ૨૦૨૫ના રોજ વિશ્વ શૌચાલય દિવસ નિમિત્તે સ્વચ્છતા અંગે જન-જાગૃતિ વધારવા માટે વિશેષ અભિયાન જાહેર કર્યું છે, તેના સુચારું અમલીકરણ માટે સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયાએ અધ્યક્ષ સ્થાનેથી જરૂરી માર્ગદર્શન અને સૂચનો કર્યા હતા.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી, ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી, ઉપરાંત જિલ્લા પંચાયતના વિવિધ શાખાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે સ્વચ્છ ભારત મિશન હેઠળ સરકારની સહાયથી શૌચાલય બનાવવા માટે ત્રણ લાભાર્થીઓને વહીવટી મંજૂરીના હુકમો પણ એનાયત કરવામાં આવ્યા હતા.
આ અભિયાનના સંદર્ભે જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ જણાવ્યું હતું કે, સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ જિલ્લામાં વિશેષ ઝુંબેશ હાથ ધરાશે. જેમાં ગ્રામ્ય સ્તરે તથા બસ સ્ટેન્ડ, બજાર વિસ્તાર, ધાર્મિક અને પ્રવાસન સ્થળો આંગણવાડી અને આરોગ્ય કેન્દ્ર ખાતે બંધ હાલતમાં હોય તેવા વ્યક્તિગત તથા સામુહિક શૌચાલયની ખરાઈ કરી તેમાં જરૂરિયાત મુજબનું સમારકામ કરીને સુવિધાયુક્ત બનાવવામાં આવશે, તેમ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.




















Recent Comments