અમરેલી

રાજ્ય સરકાર દ્વારા ખરીફ માર્કેટિંગ સીઝન ૨૦૨૫-૨૬ અંતર્ગત ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદી

ભારત સરકાર દ્વારા ખરીફ માર્કેટિંગ સીઝન ૨૦૨૫-૨૬ માટે ટેકાનો ભાવ ડાંગર (કોમન) માટે રૂ. ૨૩૬૯ પ્રતિ ક્વિન્ટલ, ડાંગર (ગ્રેડ એ) માટે રૂ. ૨૩૮૯ પ્રતિ ક્વિન્ટલ, મકાઈ માટે રૂ. ૨૪૦૦ પ્રતિ ક્વિન્ટલ, બાજરી માટે રૂ. ૨૭૭૫ પ્રતિ ક્વિન્ટલ  (ઉપરાંત વધારાનું બોનસ રૂ. ૩૦૦ પ્રતિ ક્વિન્ટલ), જુવાર (હાઈબ્રીડ) રૂ. ૩૬૯૯ પ્રતિ પ્રતિ ક્વિન્ટલ, (ઉપરાંત વધારાનું બોનસ રૂ. ૩૦૦ પ્રતિ ક્વિન્ટલ), જુવાર (માલદંડી) રૂ. ૩૭૪૯ પ્રતિ ક્વિન્ટલ (ઉપરાંત વધારાનું બોનસ રૂ. ૩૦૦ પ્રતિ ક્વિન્ટલ), તથા રાગી માટે રૂ. ૪,૮૮૬ પ્રતિ ક્વિન્ટલ  (ઉપરાંત વધારાનું બોનસ રૂ. ૩૦૦ પ્રતિ ક્વિન્ટલ) નિયત કરવામાં આવેલ છે. ખેડૂતોને તેઓના ઉત્પાદનના પોષમક્ષમ ભાવ મળી રહે તે માટે ખરીફ માર્કેટિંગ સીઝન ૨૦૨૫-૨૬ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે ડાંગર, મકાઈ, બાજરી, જુવાર, તથા રાગીની ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લી. મારફતે કરવામાં આવનાર છે.

લઘુતમ ટેકાના ભાવે ડાંગર, મકાઈ, બાજરી, જુવાર, તથા રાગીનું વેચાણ કરવા ઇચ્છા ધરાવતા ખેડૂતોની ઓનલાઈન નોંધણી સમગ્ર રાજ્યમાં સ્થાનિકે ગ્રામ્ય કક્ષાએ વી.સી.ઈ મારફતે તા. ૦૧.૧૦.૨૦૨૫ થી ૩૧.૧૦.૨૦૨૫ સુધી કરવામાં આવશે. તેમજ ડાંગરની ખરીદી તા. ૦૧.૧૧.૨૦૨૫ થી ૩૧.૦૧.૨૦૨૬ સુધી તથા મકાઈ,બાજરી, જુવાર, તથા રાગીની ખરીદી તા. ૦૧.૧૧.૨૦૨૫ થી તા. ૩૦.૦૧.૨૦૨૬ સુધી કરવામાં આવશે. ખેડૂતોને નોંધણી કરાવવા અપીલ છે. ખેડૂત ખાતેદારોના બાયોમેટ્રિક ઓથેન્ટીકેશન દ્વારા નોંધણી કરવામાં આવશે જેની ખાસ નોંધ લેશો.

નોંધણી માટે જરૂરી પુરાવા જેવા કે, આધારકાર્ડની નકલ, અદ્યતન ગામ નમુનો, ૭-૧૨, ૮-અ, તેમજ પાકની વાવણી અંગેની એન્ટ્રી ૭-૧૨ કે ૮-અ માં ન થઈ હોય તો તલાટીના સહી સિક્કા વાળો દાખલો, ખેડૂતના નામના બેંક ખાતાની વિગત, બેંક પાસબુકની ઝેરોક્ષ અથવા કેન્સલ ચેકની નકલ સાથે લાવવાની રહેશે. રાજ્યના ખેડૂતો તેઓનો પાક લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છુક હોય તો તેઓની ઓનલાઈન નોંધણી ફરજિયાત હોઈ આ માટે સંબંધિત ગ્રામ પંચાયતનો સંપર્ક કરી નોંધણી કરાવવા ખાસ અનુરોધ છે.

ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્ટ્રેશન કરાવેલ ખેડૂતોને એસ.એમ.એસ મારફતે ખરીદી અંગેની જાણ કરવામાં આવશે. ખરીદી સમયે ખેડૂતે પોતાનું આધારકાર્ડ અને ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે. ખેડૂત ખાતેદાર બાયોમેટ્રીક ઓથેન્ટીકેશન દ્વારા જ જથ્થો ખરીદી કરવામાં આવશે જેની નોંધ લેશો. ડોક્યુમેન્ટની ચકાસણી દરમિયાન જો ખોટા ડોક્યુમેન્ટ અપલોડ કરાયા હોવાનું ધ્યાને આવશે તેવા કિસ્સામાં આપનો ક્રમ રદ થશે. અને ખરીદી માટે આપને જાણ નહી કરવામાં આવે તેની ખેડૂતોએ નોંધ લેવાની રહેશે. નોંધણી બાબતે કોઈ મુશ્કેલી જણાય તો હેલ્પલાઈન નં. ૮૫૧૧૧ ૭૧૭૧૮ તથા ૮૫૧૧૧ ૭૧૭૧૯ ઉપર સંપર્ક કરવાનો રહેશે તેમ ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લી. અમરેલીની એક યાદીમાં જણાવવામા આવ્યુ છે.

Related Posts